બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / તમારા કામનું / ફફડાટના માહોલ વચ્ચે દીપડાથી બચવા આટલું અવશ્ય ધ્યાને લેજો, કામ લાગશે
Last Updated: 02:12 PM, 22 July 2026
દીપડાની અવરજવર જોવા મળતા વિસ્તારોમાં રહેતા લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. વન વિભાગે લોકોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને માનવ તથા વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ પણ ટાળી શકાય.
ADVERTISEMENT

ADVERTISEMENT
વન વિભાગના જણાવ્યા મુજબ ઘર, રહેણાંક વિસ્તાર અને સોસાયટીની આસપાસ ઉગી નિકળેલી બિનજરૂરી ઝાડી-ઝાંખરા તેમજ કુદરતી વનસ્પતિઓને સમયસર દૂર કરીને સમગ્ર વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. આવા ઝાડીવાળા વિસ્તારોમાં દીપડા સહિતના વન્યપ્રાણીઓ સંતાઈ શકે છે. સાથે જ મરઘાં, કુતરા જેવા પાલતું પ્રાણીઓને ખુલ્લામાં રાખવાના બદલે સુરક્ષિત જગ્યાએ રાખવા જોઈએ જેથી વન્યપ્રાણીઓ તેમની તરફ આકર્ષાય નહીં. જો ઘરમાં માંસાહાર બનાવવામાં આવે તો વધેલો ખોરાક, હાંડકા અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ ઘરની બહાર ફેંકવી નહીં. આવા ખોરાકની ગંધથી વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ આકર્ષાઈ શકે છે, જેના કારણે જોખમ વધી શકે છે.

ADVERTISEMENT
વન વિભાગે ઘરની આસપાસ પૂરતું અજવાળું રાખવાની પણ સલાહ આપી છે. ખાસ કરીને રાત્રિના સમયે ઓસરી, ફળિયા અથવા ખુલ્લી જગ્યામાં સૂવાના બદલે ઘરની અંદર જ આરામ કરવો જોઈએ. વાડી અથવા ખેતર વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ રાત્રે અથવા સાંજના સમયે ખુલ્લામાં ન્હાવું, કપડાં ધોવા કે વાસણ ધોવા જેવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ.
ADVERTISEMENT
વહેલી સવાર, મોડી સાંજ અથવા અંધકાર દરમિયાન ખુલ્લામાં ફરવું કે બેસવું નહીં. આ સમયગાળા દરમિયાન દીપડાની અવરજવર વધુ રહેવાની શક્યતા હોવાથી ખાસ સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને બાળકોને રાત્રે, વહેલી સવાર અથવા મોડી સાંજના સમયે એકલા રમવા દેવા નહીં અને તેમની દેખરેખ હેઠળ જ રમાડવા. રાત્રિના સમયે ઝાડીવાળા અથવા નિર્જન વિસ્તારમાં એકલા જવાનું ટાળવું જોઈએ. જો જવું જરૂરી હોય તો બે કે ત્રણ વ્યક્તિઓ સાથે સમૂહમાં જવું. અવરજવર દરમિયાન હાથમાં ટોર્ચ અને લાકડી રાખવી જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય.
ADVERTISEMENT
જો કોઈ કારણસર રાત્રે એકલા જવું પડે તો શાંતિથી જવાના બદલે વાતચીત કરતા અથવા અવાજ કરતા આગળ વધવું. તેનાથી વન્યપ્રાણીઓને માણસની હાજરીની જાણ થઈ જાય છે અને તેઓ સામાન્ય રીતે ત્યાંથી દૂર જતાં રહે છે. વન વિભાગે વધુમાં જણાવ્યું છે કે જો તમારી સામે અથવા રહેણાંક વિસ્તારમાં અચાનક કોઈ વન્યપ્રાણી આવી ચડે તો ગભરાશો નહીં અને દોડધામ પણ કરશો નહીં. પહેલા પરિવારજનો અને આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડો અને ત્યારબાદ તરત જ વન વિભાગને જાણ કરો જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા, ખડકાયો પોલીસ કાફલો
વન્યપ્રાણીઓને લગતો કોઈ પ્રશ્ન, મુશ્કેલી અથવા માહિતી મળે તો મદદ માટે તરત જ વન વિભાગનો સંપર્ક કરવો. આ માટે વન વિભાગે ૧૯૨૬ હેલ્પલાઇન નંબર તેમજ ૭૬૦૦૦૦૯૮૪૫ સંપર્ક નંબર જાહેર કર્યો છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે વન્યજીવનું રક્ષણ કરીએ, સાવધાની એ જ સલામતી. દરેક વ્યક્તિ આ સરળ સૂચનાઓનું પાલન કરશે તો દીપડા સહિતના વન્યપ્રાણીઓથી થતા અકસ્માતો ટાળી શકાય છે અને માનવ તથા વન્યજીવો વચ્ચેનું સંતુલન જાળવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.