ઝારખંડમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી જોકે નવા 239 કેસો નોંધાયા છે.
ઝારખંડમાં કોરોનાની ઘાતકતા ઘટી
ચોવીસ કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં
24 કલાકમાં કોરોનાના નવા ફક્ત 239 કેસો
રાજ્યમાં 17 જૂન સુધી લોકડાઉન
દેશમાં હવે કોરોના નબળો પડતો જાય છે. બીજી લહેરમાં વધુ એક સારા સમાચાર છે. છેલ્લા 2-3 મહિનામાં સેંકડો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી કાબૂમાં આવતી દેખાય છે. ઝારખંડ તેનું તાજું ઉદાહરણ છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ફક્ત 239 નવા કેસો
ઝારખંડમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 239 નવા કેસો નોંધાયા છે. 239 નવા કેસો સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,43,304 પર પહોંચી છે. પૂર્વ સિંહભૂમિ જિલ્લામાં સૌથી વધારે 51 કેસો નોંધાયા છે ત્યાર બાદ રાંચીમાં 27 અને હજારીબાગમાં 23 કેસો નોંધાયા છે. ઝારખંડમાં સરકારે 17 જુન સુધી લોકડાઉન જાહેર કરેલું છે. લોકડાઉનને કારણે ઝારખંડમાં કોરોના કાબુમાં આવ્યો છે.
દેશમાં છેલ્લા 6 દિવસથી નોંધાઈ રહ્યા છે ઓછા કેસો
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં જ્યારે સમગ્ર દેશમાં ચાર લાખથી વધુ કેસો સામે આવી રહ્યા હતા, હવે આ કેસમાં સારા સમાચાર એવા છે કે આ કેસમાં એક લાખથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયે આપેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 80,834 કેસો સામે આવ્યા છે અને 3303 દર્દીઓના કોરોના વાયરસને કારણે મોત થયા છે. આ આંકડા છેલ્લા 71 દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી ઓછા આંકડા છે.
દેશમાં કુલ આટલા કેસો છે એક્ટિવ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 10 લાખ 80 હજાર 690 એક્ટિવ કેસ છે. જ્યારે 2 કરોડ 79 લાખ 11 હજાર 384 લોકો સાજા થઈ પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 લાખ 67 હજાર 81 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મોટી રાહત મળતી જોવા મળી રહી છે.