જતિન નાકરાણીની મદદ માટે VTV NEWSએ મહાઅભિયાન ઉપાડ્યું
સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ કે જે ક્યારેય ના ભૂલી શકાય તેવી ઘટના હતી. જેને ગઇ કાલે 3 વર્ષ પૂર્ણ થયા. આ ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાથીઓના ભોગ લેવાયો હતો. પરંતુ આ ઘટનાનો એક હીરો પણ સામે આવ્યો હતો. જેણે 14 બાળકોના જીવ બચાવ્યા હતા. પરંતુ ચોથા માળેથી કૂદકો મારતા માથામાં થયેલી ઈજાના કારણે કોમામાં સરી પડ્યો હતો. ત્યારે આજે આ હીરો જતિન નાકરાણી 3 વર્ષથી પથારીવશ છે અને 3 વર્ષ બાદ પણ કોઈ તેની વહારે નથી આવ્યું. ત્યારે 14 બાળકોને બચાવનાર રિયલ હીરો જતિન નાકરાણીની મદદ માટે VTV NEWSએ મહાઅભિયાન ઉપાડ્યું છે.
બેન્ક લોનના હપ્તા નહીં ભરી શકતા બેંકે ઘર જપ્તીના આદેશ આપ્યા છે
અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ખુદ ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે. ત્યારે ત્રણ વર્ષથી ઘરે સુમસામ બેસેલ તક્ષશિલા અગ્નિકાંડનો હીરો બેન્ક લોનના હપ્તા નહીં ભરી શકતા બેંકે ઘર જપ્તીના આદેશ આપ્યા છે. અનેક બાળકોની જિંદગી બચાવનાર જતિન નાકરાણી પાછળ અત્યાર સુધીમાં જતીનની સારવાર માટે 40 લાખ જેટલો ખર્ચ થયો છે. ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરો. VTVની ઝુંબેશમાં તમે પણ મદદ માટે જોડાઓ.
BANK : Central Bank of India
NAME : BHARAT SAVJIBHAI NAKRANI
ACCOUNT NO : 3256241217
IFSC CODE: CBIN0280516
જતિન આજે ખુદ પોતાની જિંદગી બચાવવા જંગ લડી રહ્યો છે
તક્ષશિલા અગ્નિકાંડને ના તો ક્યારેય આખાય ગુજરાતના લોકો ભૂલી શકશે અને ના તો ક્યારેય સુરતના લોકોના દિલમાંથી તેના ડામ રુઝાશે. કારણ કે 22 વિદ્યાર્થીઓના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા. પરંતુ આ અગ્નિકાંડમાં જતીન નાકરાણી નામનો શખ્સ વિદ્યાર્થીઓ માટે દેવદૂત બનીને આવ્યો હતો. જેણે 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો હતો. પરંતુ 14 જિંદગી બચાવનાર જતિન આજે ખુદ પોતાની જિંદગી બચાવવા જંગ લડી રહ્યો છે.
આગની જ્વાળાઓથી બચવા જતિને ચોથા માળેથી કૂદકો મારતા તે કોમામાં સરી પડ્યો હતો
કારણ કે, આગની જ્વાળાઓથી બચવા જતિને પણ ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં માથામાં થયેલી ઈજાના કારણે તે કોમામાં સરી પડ્યો હતો અને ત્યાર બાદ લકવાગ્રસ્ત અને માનસિક નબળાઈના કારણે છેલ્લાં 3 વર્ષથી તે પથારીવશ છે.
જતિન પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું
તક્ષશિલા અગ્નિકાંડનો હીરો કહેવાતો જતિન કે જેણે તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી અને હજુ તો માંડ-માંડ ધંધો સેટ થયો હતો ત્યાં તો 24 મે 2019ના દિવસે તેની દુકાન આગમાં ખાક થઈ ગઈ હતી. બીજી બાજુ વિદ્યાર્થીઓને બચાવવા જતા પણ તેની જિંદગી પણ નર્ક સમાન બની ગઈ. પરિવારનો આધારસ્તંભ કહેવાતો જતિન જ પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું. જેથી પરિવાર રસ્તા પર આવી ગયો હતો. પરંતુ ઉચ્ચ નેતાઓએ મધ્યસ્થી કરતાં 24 કલાક પછી બેંકે રિકવરી પ્રોમિસ લખાવી સીલ ખોલી આપ્યું હતું અને આજે દીકરાની સારવારની જવાબદારી નિવૃત્ત પિતા પર આવી છે. જેના કારણે જતિનનો પરિવાર પાઈપાઈ માટે તરસી રહ્યો છે.
જતિનનો પરિવાર આજે પાઇપાઇ માટે તરસી રહ્યો છે
એક તરફ બેંકનું દેવું વધી રહ્યું છે તો બીજી તરફ જતિનની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. ત્યારે હવે આ દેવદૂતની સારવાર કરવવા માટે પણ તેના પરિવાર પાસે રૂપિયા નથી. ત્યારે આજે જતિનનો આ પરિવાર બેંકનું દેવું ચૂકવવા પાઇપાઇ માટે તરસી રહ્યો છે.