90 લાખ લોકોને ઘર છોડી દેવાનો સ્થાનિક પ્રશાસનનો આદેશ
વાવાઝોડાના કારણે 2ના મોત અને 3 લાખ ઘર વીજવિહોણા
જાપાનમાં સુપર ટાયફૂન નાનમાડોલ તોફાન તબાહી મચાવી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે 2 લોકોના મોત થયા છે. આ તોફાનની ભયાનકતાનો અંદાજ તો તમે એ વાત પરથી લગાવી શકશો કે સ્થાનિક પ્રશાસને 90 લાખથી વધુ લોકોને પોતાના ઘરની બહાર આવી જવા માટે કહી દીધું છે.
સુપર ટાયફૂન નાનમાડોલ કે જે સૌથી ખતરનાક તોફાનોમાંનું એક માનવામાં આવે છે. જેના કારણે જાપાનમાં સ્થિતિ હાલ વણસી ગઈ છે. રિપોર્ટ અનુસાર, ફુકુઓકા વિસ્તારમાં તોફાનથી બચવા માટે આશ્રય લેવા જઈ રહેલા એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિયાઝાકી વિસ્તારમાં પૂરગ્રસ્ત ખેતરમાં ડૂબેલી એક કારમાંથી નીકાળવામાં આવેલી અન્ય એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. મિયાઝાકી પ્રીફેરલ ઓફિસરના જણાવ્યા અનુસાર, 40 વર્ષના એક વ્યક્તિના ગુમ થયાના અહેવાલ છે.
જાપાન એરલાઇન્સ દ્વારા અંદાજે 600 ફ્લાઇટો રદ કરાઇ
જાપાનમાં આ વર્ષનું આ 14મું તોફાન છે. સોમવારના રોજ બપોરે યામાગુચી વિસ્તારના હાગી નજીક અંદાજે 20 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. તેના કેન્દ્રમાં 975 હેક્ટોપાસ્કલના વાયુમંડળનો દબાવ હતો. જેમાં મોટા ભાગે 162 કિમી પ્રતિ કલાક સાથે 108 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાતો હતો. સ્થાનીય માહિતી અનુસાર, ખરાબ હવામાન વચ્ચે 70થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. સોમવારના ક્યુશુમાં બુલેટ ટ્રેનોને સસ્પેન્ડ કરી દેવાઇ અને દેશની બે મુખ્ય એરલાઇન્સ એએનએ અને જાપાન એરલાઇન્સ દ્વારા લગભગ 600 ફ્લાઇટો રદ કરી દેવામાં આવી.
લગભગ 3,50,000 ઘરોમાંથી વીજળી જ ગાયબ
મંગળવાર સુધીમાં તોફાન જાપાનના સૌથી મોટા ટાપુ હોંશુ સુધી પહોંચવાની શક્યતા રહેલી છે. જાપાનની હવામાન એજન્સીએ તેજ પવન, ઉચ્ચ ભરતી અને કાદવ સ્લાઇડ માટે ચેતવણીઓ પણ જાહેર કરી છે. હજારો લોકોએ રવિવારની રાત ઇમરજન્સીના આશ્રયસ્થાનોમાં વિતાવી અને લગભગ 3,50,000 ઘરોમાં વીજળી નહોતી.