ભાવનગરઃ મીઠીવીરડી ખાતે સ્થાપનારો અણુપ્લાન્ટ રદ નથી થયો. પરંતુ અન્ય જગ્યાએ ફેરવવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર શહેર અને જીલ્લાની જનતામાં લોક જાગૃતિ લાવીને આ પ્લાન્ટ ફરી ભાવનગર આવી શકે છે. તેમ પરમાણુ ઉર્જા જાગૃતિ મહોત્સવની સભ્ય નીલમ ગોયલે જણાવ્યું હતું.
જો કે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી અહિંયા પ્લાન્ટ ન સ્થપાય તે માટેનું આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે નીલમ ગોયલ દ્વારા મીઠીવીરડીના અણુ પ્લાન્ટ સંદર્ભેની તરફેણ કરતા આ મામલે ફરી એકવાર આંદોલન છેડાઈ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અંદાજે 750 હેકટર જમીનમાં 6 હજાર મેગાવોટના ન્યુક્લીયર પાવર પ્લાન્ટ માટે સરકારે અગાઉ જાહેરાત કરીને જમીનની પસંદગી કરી હતી.
પરંતુ અહીના ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. અને તેની સામે આંદોલન છેડતા હાલ આ પ્લાન્ટ અન્ય જગ્યાએ બનાવવાની જાહેરાત કરાઇ છે. મહિલા આગેવાન નીલમ ગોયલે આ પ્લાન્ટની તરફેણ કરવા માટે છેલ્લા 5 મહિનાથી ભાવનગરમાં પડાવ નાખ્યો છે. અને હવે તેઓ લોકજાગૃતિ માટે આગામી 24 એપ્રિલે ભાવનગરમાં વિશાલ રેલી યોજશે.