સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કારણે અમદાવાદની જામા મસ્જિદ ખાતે ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો કરાયો નિર્ણય
ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો નિર્ણય
ઘરમાં જ નમાજ પઢવા અપીલ કરાઇ
ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઈદ નિમિત્તે જામા મસ્જિદમાં નમાજ પઢવામાં આવશે નહિં. જામા મસ્જિદના ઈમામ શબ્બીર અહેમદે DCP મકરંદ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોનાનું સંકરણ વધ્યું છે ત્યારે અમદાવાદમાં જામા મસ્જિદ ખાતે ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના તમામ મુસલમાનોને અપીલ કરી છે કે પોતાના ઘરમાં જ બે ટાઈમની નમાજ અદા કરે અને અલ્લાહની ઈબાદત કરે. તમામને વિનંતી કરી છે કે તેઓ ઈદ નિમિત્તે જામા મસ્જિદમાં ન આવે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 8 મનપા સહિતના 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે.
કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૧૨ મે-ર૦ર૧ થી તા. ૧૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ - આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ધાર્મિક સ્થળો બંધ
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
શું બંધ રહેશે ?
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે.