છેલ્લાં પચાસ વર્ષોથી જ્યારથી શિમલા એગ્રીમેન્ટ કરવામાં આવ્યો ત્યારથી જયારે પણ કાશ્મીર સમસ્યાનો ઉલ્લેખ થતો ત્યારે કોઈ પણ સરકારની એક જ નીતિ રહી છે કે કાશ્મીર કોઈ આંતરરાષ્ટ્રીય મુદ્દો નથી. પરંતુ હાલમાં જ EUના આશરે બે ડઝન જેટલાં સાંસદોની મુલાકાતથી વિપક્ષને તો સરકારને ઘેરવાનો મોકો તો મળી જ ગયો પરંતુ સાથે સાથે કાશ્મીર મુદ્દો ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર જોર-શોરથી ચર્ચાનું કેન્દ્ર બની ગયો.
EU સાંસદોની મુલાકાતથી કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય થઈ ગયાની ચર્ચા
કલમ 370 હટાવ્યા પશ્ચિમી નેતાઓએ કાશ્મીર મુદે નિવેદન કર્યા
સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે બંધ બારણે થઈ બેઠક
યુ.કે.ના સાંસદે EU સાંસદોની કાશ્મીર મુલાકાતને 'PR સ્ટંટ' ગણાવી
EU સાંસદોની મુલાકાતથી કાશ્મીર મુદ્દાનું થયું આંતરરાષ્ટ્રીયકરણ?
પાકિસ્તાન તરફથી હંમેશા આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉછાળવાનાં પ્રયાસો કરવામાં આવે છે. જોકે ભારત હંમેશા તેનો વિરોધ કરતું આવ્યું છે. ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષને મધ્યસ્થી બનવા દીધું નથી, પછી ભલે તે સંયુક્ત રાષ્ટ્ર પણ કેમ ન હોય. ભારત પહેલેથી કાશ્મીર સમસ્યાને દ્વિપક્ષીય મુદ્દો માને છે અને આપણે જોયું છે આર્ટિકલ 370 રદ્દ થયા બાદ પણ મોદી સરકાર દ્વારા આ જ રટણ કરવામાં આવી રહ્યું હતું.
2014માં વિધાનસભા ચૂંટણીમાં 66 ટકા મતદાન થયું
1990થી રાજ્યમાં સેના તહેનાત હોવા છતાં એ ભારતની કુટનીતિનું જ પરિણામ રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય સમુદાયને સમજાવવામાં સફળ રહ્યું. છેલ્લા દાયકામાં કાશ્મીરમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો જેમાં કાશ્મીરમાં હિંસામાં ઘટાડો જોવા મળ્યો આટલું જ નહીં લોકોએ ચૂંટણી પ્રક્રિયામાં પણ આગળ આવીને ભાગ લીધો. 2014માં જમ્મુ કાશ્મીરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતનાં કોઈ અન્ય રાજ્યની જેમ જ અહીં 66 ટકા મતદાન થયું હતું.
જમ્મુ કાશ્મીરથી છીનવાયો વિશેષ દરજ્જો
પરંતુ મોદી સરકારનાં એક નિર્ણયથી જમ્મુ કાશ્મીર ફરીથી એ જ સમસ્યા તરફ આગળ વધી ગયું છે. મોદી સરકારે ઓગસ્ટમાં કલમ 370 નાબૂદ કરી અચાનક જ તેનો વિશેષ દરજ્જો હટાવી દીધો. એટલું જ નહીં જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું અને ખરેખરમાં જમ્મુ કાશ્મીરનું છેલ્લા બે દાયકામાં સૌથી વધારે આંતરરાષ્ટ્રીયકરણ હવે આ નિર્ણય બાદ થયું છે.
કાશ્મીર આંતરિક મુદ્દો આંતરરાષ્ટ્રીય બની ગયો?
જમ્મુ કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં દાયકાઓમાં પ્રથમ વખત ઉચ્ચસ્તરીય ચર્ચા અમુક અઠવાડિયા પહેલાં ત્યારે થઈ જ્યારે યુનાઈટેડ નેશન્સ સિક્યુરીટી કાઉન્સિલમાં બંધ બારણે આ મુદ્દે ચર્ચા થઈ. 'જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય મુદ્દો નથી' તેવો ભારત સરકારનો દાવો સંયુક્ત રાષ્ટ્રની બંધ બારણે થયેલી બેઠકે નબળો પાડી દીધો તેમ ચર્ચા થઈ રહી છે.
આ તો માત્ર શરૂઆત હતી, ત્યાર બાદ જ પશ્ચિમના દેશોના ઘણા નેતાઓએ કાશ્મીર મુદ્દે નિવેદનો આપવાના શરુ કરી દીધા જેમાં ઘણા નેતાઓએ ભારત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો ખુલીને વિરોધ કર્યો અને સરકારની ટીકા કરી હતી. 22મી સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના મોટા દાવેદાર બર્ની સેન્ડર્સે પોતાની સરકારનો તે કહીને વિરોધ કર્યો કે સરકારે કાશ્મીર મુદ્દા પર મૌન કેમ ધારણ કર્યું છે? એટલું જ નહીં કાશ્મીર સમસ્યાને ટાંકીને કહ્યું કે "માનવાધિકાર કટોકટી આપણી નજર સામે જ થઈ રહી છે"
અમેરિકાના રાષ્ટ્રપતિ પદની અન્ય એક દાવેદાર એલીઝાબેથ વોરન પણ કાશ્મીર મુદ્દા પર બોલી ચૂક્યાં છે કે તે કાશ્મીરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધ અને સંચાર માધ્યમો પર પ્રતિબંધથી ચિંતિત છે.
કાશ્મીર સમસ્યા પર થઇ આંતરરાષ્ટ્રીય દાખલગીરીની માંગણી
ગ્રેટ બ્રિટનની મુખ્ય વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીએ કાશ્મીર અમસ્યા પર આંતરરાષ્ટ્રીય દખલગીરીની માંગ કરી. આ સિવાય યુરોપિયન યુનિયને કાશ્મીર સમસ્યાનું સમાધાન લાવવા પાકિસ્તાન સાથે વાત કરવા કહ્યું છે. આમ જોવા જઈએ તો ભારત સરકારને ગમે કે ના ગમે પરંતુ હવે જમ્મુ કાશ્મીર મુદ્દનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ ચુક્યું છે.
તાજેતરમાં જ UNએ કરી હતી ટકોર
EU સાંસદોની મુલાકાત દરમ્યાન જ સંયુક્ત રાષ્ટ્રએ ભારત સરકારને ટકોર કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાં નાગરિકોને તમામ માનવધિકારો જલ્દીથી પરત કરવામાં આવે. 29 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર હ્યુમન રાઈટ્સ હાઈકમિશ્નરના પ્રવક્તા રૂપર્ટ કૉલવિલે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું 'અઘોષિત કર્ફ્યું જમ્મુ અને લદ્દાખના ઘણા વિસ્તારોમાંથી થોડાક જ દિવસમાં હટાવી દેવામાં આવ્યું હતું. પરંતુ કાશ્મીર ઘાટીના મોટા ભાગનાં વિસ્તારોમાં આજે પણ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. લોકો શાંતિપૂર્વક પણ તેમના પ્રતિભાવ મૂકી શકતા નથી. લોકોની ધર્મ આસ્થા, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.'
EU સાંસદોને પરવાનગી આપતાં વિશ્વમાં છવાઈ ગયો કાશ્મીર મુદ્દો
ભારત સરકાર વારંવાર કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ ન કરવા અપીલ કરતું રહે છે જ્યારે ભારત સરકારે પોતે જ યુરોપિયન સંઘના સાંસદોને જમ્મુ કાશ્મીરમાં મુલાકાતની પરવાનગી આપી વિશ્વને આ મુદ્દા પર બોલવાનો મોકો આપી દીધો. યુરોપિયન સંઘના બે ડઝન જેટલા સાંસદો કાશ્મીર પ્રવાસ કરવા ભારત આવ્યા, એટલું જ નહીં તે કાશ્મીરના પ્રવાસે જાય તે પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરી. જ્યારે આ ડેલીગેશન કાશ્મીર પ્રવાસ પર ગયું તેની સમગ્ર દુનિયાની મીડિયાએ નોંધ લીધી અને જમ્મુ કાશ્મીર ફરી વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બની ગયું.
EU સાંસદોની મુલાકાતથી સવાલો ઊભાં થયા
ભારત સરકાર દ્વારા યુરોપિયન સંઘમાંથી અમુક સાંસદોને કાશ્મીર જવાની પરવાનગી આપી હતી. 23 સાંસદોના આ ડૅલિગેશનમાં ઇટલી, યુકે, ફ્રાંસ, જર્મની, ચેક રિપબ્લિક અને પોલેન્ડથી સાંસદો શ્રીનગર આવ્યા હતા. જેમાંથી ચાર સાંસદો યુકેની બ્રેક્ઝીટ પાર્ટીના હતા.ઘણા લોકોએ એમ પણ આરોપ લગાવ્યા હતા કે મોટા ભાગના સાંસદો રાઈટ વિંગ પાર્ટીના છે.
સવાલ 1 - માદી શર્મા કોણ?
આ સિવાય આ મુલાકાત પાછળ માદી શર્માનું ભેજું પણ સવાલ ઉભા કરી રહ્યાં છે. આખરે માદી શર્મા કોણ છે જેને આ ટુર આયોજન કરી હતી તેવું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર માદી શર્માએ જ આ સાંસદોનો સંપર્ક કર્યો હતો અને પોતે પ્રધાનમંત્રી મોદી માટે કામ કરે છે તેવા દાવા કરતી માદી શર્માએ સાત ઓક્ટોબરે મોકલેલા પોતાના એક ઇમેલમાં લખ્યું હતું કે તે યૂરોપભરના દળોના એક પ્રતિનિધમંડળને ભારત લઇ જવાના આયોજનનું સંચાલન કરી રહી છે. આ VIP પ્રતિનિધિમંડળની પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરાવશે અને બીજા દિવસે કાશ્મીરની મુલાકાત કરાશે.
ઇ મેલ મુજબ માદી શર્માની એક એનજીઓ છે. ઇ મેલમાં એમ પણ લખ્યું છે કે સાંસદોના આવવા અને જવાનુ ભાડુ અને રોકાવાનું આયોજન એક અન્ય સંસ્થા કરશે. આ સંસ્થાની ઓફિસ દિલ્હીના સફદરજંગમાં છે. માદી શર્માનું ટ્વિટર એકાઉન્ટ પણ છે. જેના પર ત્રણ હજાર ફોલોઅર્સ છે. માદી શર્માની પ્રધાનમંત્રી મોદી સાથે ઘણી તસવીરો પર છે.
યુનાઇટેડ કિંગડમના લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના સાંસદ ક્રીસ ડેવિસે દાવો કર્યો કે જયારે તેમણે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમણે જમ્મુ કાશ્મીરના નાગરિકો સાથે ખુલીને ચર્ચા કરવાનું કહેતાં ભારત સરકારે ના પાડતા તેમનું આમંત્રણ રદ્દ કરી દેવામાં આવ્યું. તેમણે આ પ્રવાસને PR stunt પણ કહ્યું હતું.
વિદેશી નિરીક્ષકોને જમ્મુ કાશ્મીરમાં પરવાનગી આપીને ભારત સરકારે પોતે જ આ મુદ્દા આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો છે. ભારત સરકારે વિદેશ નીતિ હવે વધુ સતર્કતાથી કામ કરવું પડશે.
સવાલ 3- આમ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે?
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી જ મોદી સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારની ઈમેજ સારી રાખવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પગલાંથી મોદી સરકારને વિશ્વમાં ઈમેજ સુધારવામાં મદદ થશે.
સવાલ 4 - શું આ સાંસદોએ નાગરિકોની વાત સાંભળી ?
યુરોપિયન સંઘથી આવેલા આ સાંસદો જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈને આવ્યા ત્યારે એ સવાલ પણ ઉભા થાય છે જે શું તેમણે ત્યાં કોઈ નાગરિકોની વાત સાંભળી છે ? અને શું સરકાર આ સાંસદોના પ્રતિભાવથી કામ કરશે ?
સવાલ 5- દેશના વિપક્ષી નેતાઓને કાશ્મીર જવાની પરવાનગી મળશે?
જ્યારે યુરોપિયન સંઘના આ સાંસદોને કાશ્મીરમાં પ્રવાસ કરવાનું છૂટ આપવામાં આવી ત્યારે દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓએ પણ કાશ્મીર જવાની માંગ કરી. ઘણા નેતાઓએ કહ્યું કે જો વિદેશી લોકોને ત્યાં જવાની પરવાનગી મળી શકે તો અમને કેમ નહિ ?. ઉલ્લેખનીય છે કે જયારે રાહુલ ગાંધી અમુક નેતાઓને લઈને કાશ્મીર ગયા ત્યારે તેમને એરપોર્ટથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા.