મંગળવારે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી યોજના અમલમાં મૂકી. જેમાં રાજધાનીની મહિલાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ યોજનાની ઘોષણા અગાઉ કરી દેવાાં આવી હતી જેનો આ અઠવાડિયાથી અમલ કરવામાં આવ્યો છે. ભાઈબીજના દિવસે આ યોજનાનો અમલ શરુ થયો છે. ત્યારે જોવા જઈએ તો અર્બનાઈઝેશનની માત્ર વાતો કર્યા વગર લોકોના જીવનને વધુને વધુ સરળ બનાવવા માટે આવા પ્રયોગો કરવા જોઈએ ત્યારે જાણીએ કે કેજરીવાલની આ મફત સવારી ખરેખરમાં અન્ય બીજા પરિબળોમાં પણ કેવી રીતે ફાયદો કરાવી શકે?
દેશની રાજધાનીની મહિલાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે
આવી યોજના વધુને વધુ શહેરોમાં લાગુ કરવી જોઈએ
સફળ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન શહેરના યોગ્ય વિકાસની નિશાની છે
દિલ્હીમાં પ્રદુષણ ખૂબ મોટી સમસ્યા છે. આ ઉપરાંત દેશની રાજધાની મહિલા સુરક્ષામાં પણ ઘણું પાછળ છે. રાજધાની દિલ્હીમાં ઉંચી ઉંચી ઈમારતો છે અને વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. પરંતુ કમનસીબે દિલ્હી પાસે શ્રેષ્ઠ પરિવહન સુવિધાઓ નથી.હવે મુખ્યમંત્રી કેજરીવાલની આ યોજના સમસ્યા સામે લડવામાં મદદરૂપ થશે.
દેશના શહેરોમાં છે પબ્લિક ટ્રાન્સપોર્ટને લાગતી ઘણી સમસ્યાઓ
ભારતમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે. ગામડાથી શહેરો તરફ સ્થળાંતરે હદ વટાવી છે જેના લીધે ભારતના મોટા શહેરો પર વસ્તીનું ભારણ વધી રહ્યું છે. શહેરીકરણની પ્રક્રિયા આગામી અમુક દાયકાઓ સુધી ચાલુ જ રહેવાની છે ત્યારે શહેરોમાં વધતી સમસ્યાનું શહેરો માટે બનતી અલગ અલગ પોલીસીના આધારે ઓછી કરી શકાય છે. મોટા ભાગના શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ખૂબ મોટી સમસ્યા છે. લોકો અવરજવર માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા નથી તેનું મુખ્ય કારણ પરિવહન સુવિધાઓનો અભાવ છે. શહેરોમાં મોટા પાયે મેટ્રો ઉભી કરી દેવામાં આવે છે પણ તે મોંઘી અને અંતરિયાળ સફર સુધી પહોંચી શકે તેમ નથી.
કઈ રીતે ઘણી બધી સમસ્યામાં ઉપયોગી છે આ યોજના
જો કે કેજરીવાલની મહિલાઓને બસમાં ફ્રી મુસાફરીની યોજનાથી સીધી રીતે દિલ્હીની બસની ગુણવત્તામાં કોઈ ફાયદો થવાનો નથી. ઉલ્ટાનું બસોની અનિયમિતતા અને જે પ્રકારની વ્યવસ્થા હાલમાં છે તેનાથી તો કદાચ નુકસાન વધારે દેખાઈ રહ્યું છે. પરંતુ જો આ પગલું સફળ રહ્યું તો ફાયદો ચોકક્સ છે. જાહેર પરિવહનની બસોમાં જો મહિલાઓનો ધસારો વધશે તો સ્વાભાવિક રીતે બસની ગુણવત્તા વધારવા પર સાથે જ સમયબદ્ધત્તા પર તંત્રએ ધ્યાન આપવું જ પડશે. તેની વ્યવસ્થામાં સુધારા માટેના પગલાં લેવા પડશે.
પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગથી રસ્તા પરના ટ્રાફિકમાં ઘટાડો આવી શકે
આ ઉપરાંત રસ્તાઓ પરથી કાર અને અન્ય વાહનોની સંખ્યમાં ઘટાડો આવશે. જેનો સીધો ફાયદો ટ્રાફિકમાં ઘટાડાના રૂપમાં થશે. ઘણી વખત મહિલાઓ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વોથી બચવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી બચે છે ત્યારે દિલ્હી સરકારે તેનો પણ ઉકેલ કાઢી લીધો છે. દિલ્હીની તમામ બસોમાં હવે સુરક્ષા માટે માર્શલ તહેનાત કરવામાં આવી રહ્યા છે. જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખૂબ મોટા સુધારા તરીકે જોવાઈ રહ્યું છે. આ સિવાય દિલ્હીની સંસ્થાઓને હજુ પણ સુધારા વધારાની જરૂર પડે તો તેની પણ છૂટ આપવામાં આવી છે.
મહિલાઓને વિનામૂલ્યે મળશે 'પિંક ટીકીટ'
જોકે આ બધું આ યોજના કઈ રીતે અમલી બને છે તેના પર નિર્ભર કરે છે. હવેથી દિલ્હીની મહિલાઓએ બસમાં વિનામૂલ્યે 'પિંક ટીકીટ' કંડકટર પાસેથી લેવાની રહેશે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનને દિલ્હી સરકાર તરફથી એક મહિલાની સામે 10 રૂપિયા આપવામાં આવશે. DTC બસોની આ યોજનાની માહિતી દરેક મહિલા સુધી પહોંચાડવાની જવાબદારી પણ કૉર્પોરેશનની રહેશે.
યોજનાનો વિપક્ષી પક્ષોએ કર્યો વિરોધ
દિલ્હી સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમનું કહેવું છે કે આ માત્ર ચૂંટણી જીતવા માટે કેજરીવાલના સ્ટંટ છે. આપને જણાવી દઈએ કે આવતાં વર્ષે દેશની રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ જો કેજરીવાલની આ યોજના પર સવાલ કરવામાં આવું રહ્યા છે તો ભાજપે તેના પર પણ જવાબ આપવો જોઈએ કે લોકસભા ચૂંટણીના થોડાક સમય પહેલાં જ વડાપ્રધાન મોદીએ ખેડૂતના ખિસ્સામાં પૈસા મુકવાની યોજના શા માટે મૂકી હતી?
લોકોની વધુ ભાગીદારીથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લાવી શકાય છે મોટા ફેરફાર
ચર્ચા એવી થઈ રહી છે કે ઘણા લોકો આવી યોજનાઓને વખોડી કાઢે છે. ઘણા બુદ્ધિજીવીઓ તર્ક આપી રહ્યા છે કે આવી યોજનાઓથી ટેક્સ ભરનારા લોકો પર ભારણ વધે છે અને પૈસા વેડફાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ એ નાગરિકોની સુવિધા માટે બનવવામાં આવ્યા છે. જો તેમાં સુધારા લાવવામાં આવશે, સરળતાથી ઉપયોગ કરી શકાય તેવા બનાવવામાં આવશે તો સીધી રીતે વધુ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઈ શકશે. આમ કરવાથી લોકોના જીવનને સરળ બનવવામાં ખૂબ મદદ થશે.
યોજનાનો લાભ લઇ રહેલી મહિલાઓમાં ખુશી
દિલ્હીની જે મહિલાઓએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે તે સરકારના આ ફેસલાથી ખૂબ ખુશ છે. તેમનું માનવું છે આ યોજના બાદ હવે તે વધુ બચત કરી શકશે અને ઘરની બહાર વધુ સમય વિતાવી શકશે. આ કોઈ પણ શહેર માટે ખૂબ સારી વાત કહી શકાય. મુખ્યમંત્રી કેજરીવાલનું કહેવું છે કે એકવાર યોજના અમલમાં મૂકી દેવામાં આવે અને તેના અધ્યયન બાદ અમે આ યોજનાનો વિસ્તાર કરીને વરિષ્ઠ નાગરિકોને પણ તેમાં આવરી લઈશું.
દેશના અન્ય શહેરો પણ આવી યોજનાથી પરિવહન સુવિધાઓમાં લાવી શકે છે ફેરફાર
ગુજરાત સહિત દેશના અન્ય શહેરો પણ આ યોજનાથી શીખ લઇ શકે તેમ છે. દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની યોજનાની નકલ ભલે ના કરવામાં આવે પણ શહેરોમાં સસ્તાં ભાવે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ કરાવી આપવાની યોજનાઓ નાગરિકો માટે ઉપયોગી નીવડે તેવી છે. આ સિવાય દેશના બધા શહેરોની અર્બન પોલીસીમાં પ્રયોગ કરવાની ખાસ જરૂર છે. ઝડપથી શહેરીકરણ કરી રહેલા ભારત માટે આવી યોજનાઓ સામાન્ય નાગરિકોના જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. જૂની-પુરાણી પદ્ધત્તિઓથી દેશને છૂટકારો આપવામાં આવી યોજનાઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી રાષ્ટ્રનિર્માણમાં દેશના જવાબદાર અને જાગૃત નાગરિકોને પણ તેમાં સામેલ કરી શકાય