રાજ્યમાં કાયઝાલા એપ્લિકેશનનો શિક્ષકો દ્વારા કરાયેલ વિરોધ બાદ અંતે સરકાર ઝૂકી છે. હવે કાયઝાલા એપ્લિકેશન લોન્ચ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જોકે હવે આવતીકાલથી બાયોમેટ્રિક સિસ્ટમથી શિક્ષકોની અટેન્ડન્સ લેવાશે. રાજ્યના તમામ શિક્ષકોએ શાળામાં આવવાના અને પરત જવાના સમયે ઓનલાઈન હાજરી પુરવાની રહેશે.
શિક્ષકોના વિરોધ વચ્ચે હવે કાયઝાલા એપ્લિકેશન લોન્ચ નહીં થાય. શિક્ષકસંઘના વિરોધ વચ્ચે સરકારે આ નિર્ણય કર્યો. સરકાર દ્વારા શિક્ષકોની સ્કૂલમાં હાજરી નિયમિત કરવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં શિક્ષકો પોતાના મોબાઇલમાં કાયઝાલા એપડાઉન લોડ કરે અને તેનાથી હાજરી પૂરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ શિક્ષકોએ તેનો વિરોધ કરતા સરકારે કાયઝાલા એપ્લિકેશન લોન્ચ નહીં કરવાનો નિર્ણય કર્યો.
જો કે, ઓનલાઈન અટેન્ડન્સની પ્રક્રિયા શરૂ કરવા સરકાર મક્કમ છે. જેને લઈને હવે બાયોમેટ્રિક સિસ્ટમથી શિક્ષકોની હાજરી લેવામાં આવશે. જેમાં શિક્ષકોને બે ટાઈમ ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. શિક્ષકોની હાજરી માટે બાયોમેટ્રિક સિસ્ટમમાં આઈ સ્કેનર અથવા ફીંગર પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર દ્વારા આવતીકાલ ગુરૂવારે શિક્ષક દિને ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ લોન્ચ કરાશે.