મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની આજે હાઇલેવલની એક બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી. ત્યારબાદ દ્નારા સરકારે લીધેલા મહત્વના નિર્ણય અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને DyCM નીતિન પટેલે પત્રકાર પરિષદ મારફતે જાણકારી આપી. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ આવતીકાલથી રાત્રિ કરફ્યુ રહેશે. તો તેમણે લગ્નને લઈને પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.
લગ્ન પ્રસંગોને લઇને સરકારની મોટી જાહેરાત
સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરીથી યોજી શકાશે લગ્ન
રાત્રિના બદલે સવારે પ્રસંગો યોજાવાની કરી અપીલ
DyCM નીતિન પટેલે જાણકારી આપતા કહ્યું હતું કે, લગ્નના આયોજનને લઇને સરકારે નાગરિકોને અપીલ કરી છે. શક્ય હોય તો સવારના લગ્નનું આયોજન કરો. નાયબ મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન પ્રસંગોને લઇને મંજૂરી આપવામાં આવશે પરંતુ 200 લોકોની યાદી સ્થાનિક પોલીસ મથકે આપવી પડશે.
અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યૂ માટેના નિયમો (21 અને 22 નવેમ્બર)
લગ્નપ્રસંગના આયોજન કરી શકાશે, સ્થાનિક પોલીસની લેવી પડશે મંજૂરી
અતિઆવશ્યક ચીજ વસ્તુઓ, ATM -બેંકિગ, દૂધ અને દવાની દુકાનો ચાલુ
દવાઓની હોમ ડિલીવરી કરતા કર્મચારીઓને છૂટ
ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓ છૂટ
ખાનગી સિક્યુરિટી સેવાઓ ચાલુ
નોંધ : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં અચોક્કસ મુદ્દતનો રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યૂ રહેશે.
અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કરફ્યૂ
કોરોનાના વધતા કેસના પગલે અમદાવાદ શહેરમાં 2 દિવસનો કરફ્યુ અને ત્યારબાદ આગામી સુચના સુધી રાત્રિ કરફ્યુની જાહેરાત કરાઇ હતી. ત્યારે હવે સુરત, વડોદરા અને રાજકોટમાં કેસનો વધારો ન હોવા છતા આગોતરા પગલારૂપે કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલથી સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યું રહેશે. ચારેય મોટા શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાગુ રહેશે. અનિશ્ચિતકાળ સુધી રાત્રિ કરફ્યુ લાગૂ રહશે.
અમદાવાદની હોસ્પિટલમાં જગ્યા નથી તે વાત ખોટીઃ DyCM નીતિન પટેલ
નીતિન પટેલે ખાલી બેડને લઇને આંકડાકિય માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મોટા પ્રમાણમાં કોરોનાનું ટેસ્ટિંગ સરકારે શરૂ કર્યું છે. તો નાગરિકોએ પણ જાતે ટેસ્ટિંગ કરાવ્યું છે. તો અલગ અલગ હોસ્પિટલોમાં દર્દીઓના દાખલ કરવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં એવું વાતાવરણ ઉભુ કર્યું છે કે પથારીઓ ભરાઇ ગઇ છે, દર્દીઓના રાખવાની જગ્યા નથી. પરંતુ અમદાવાદની હોસ્પિટલમાં જગ્યા નથી તે વાત ખોટી છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની કે અફવામાં આવવાની જરૂર નથી.
1200 બેડની હોસ્પિટલમાં 971 દર્દીઓ સારવાર હેઠળ છે. 1200 બેડની હોસ્પિટલમાં હજુ 60 ICU બેડ ખાલી છે. 1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે. સોલામાં હાલ 400 આઇસોલેશન વોર્ડ અને ICUના 50 બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય 270 દર્દી સારવાર હેઠળ છે. ગાંધિનગર સિવિલમાં પણ 230 નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.
મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી
મહત્વનું છે કે, આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં મનપા વિસ્તારમાં કોરોના કંટ્રોલ એક્શન મુદ્દે ચર્ચા થઇ હતી. તો કરફ્યુ, વાહનવ્યવહાર, લગ્ન સમારોહ અને જીવનજરૂરિયાત ચીજ વસ્તુ મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠકમાં રાજીવ ગુપ્તા, જયંતિ રવિ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે.
ગુજરાતમાં કયાંય પણ લોકડાઉનની શકયતા નથીઃ CM રૂપાણી
જોકે આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અંબાજી યાત્રાધામ ખાતે જગતજનની અંબેમાનાં દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે લોકોએ ભયભીત થવાની જરૂર નથી. ગુજરાતમાં કયાંય પણ લોકડાઉનની શકયતા નથી. અમદાવાદમાં આ ફકત વીક એન્ડ કરફયુ છે.
અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
તો આ તરફ અમદાવાદ પોલીસ કમિશ્રર દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લગ્ન પ્રસંગ માટે મંજૂરી આપવામાં આવી છે, જો કે લગ્ન માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી અનુસાર લોકો એકઠા થઈ શકશે. તો આ સાથે જ અંતિમ વિધીમાં 20 લોકોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં 2 દિવસીય કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે ત્યારે તમામ તબીબી સેવાઓ કર્મચારીઓ, રેલવે અને હવાઇ મુસાફરી કરનાર લોકો, દુધ અને મેડિકલની દુકાનો, ATM -બેંકિગ સેવા, દવાઓની હોમ ડિલીવરી કરતા કર્ચમારીઓ અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓને છૂટ આપવામાં આવી છે.