ચૂંટણી પહેલાના ઉત્તર ગુજરાતના મંથનમાં ગ્યાસુદ્દીન શેખના ચાબખાં, કોંગ્રેસના નેતાએ કોંગ્રેસના કાર્યકર્તાને અને મેનેજમેન્ટને ખરી ખોટી સંભળાવી
ગ્યાસુદ્દીન શેખનું પક્ષ વિરોધી નિવેદન
"કાર્યકરોને કારણે કોંગ્રેસ હારે"
"મેનેજમેન્ટ કરવાની જરૂર"
કોંગ્રેસની દશા અને દિશા તો જુઓ શું આવી રીતે પરિવર્તન લાવશે? આ પ્રશ્ન એમ જ નથી થઈ રહ્યો કારણ કે કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યો કોંગ્રેસના મેનેજમેન્ટ સામે જ સવાલ ઊભા કરી રહ્યા છે. ગઈકાલે ધારાસભ્ય શિવા ભુરિયાએ પણ પક્ષ વિરોધી નિવેદન આપ્યું હતું. તો આજે ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીના આયોજન અને કોંગ્રેસ કાર્યકર્તાને લઈ પક્ષ સામે સવાલ ઊભા કર્યા છે.
કોંગ્રેસના પોલિંગ એજન્ટ ન હોવાના કારણે ભાજપ EVMમાં બટનો દબાવે છે- ગ્યાસુદ્દીન શેખ
ઉત્તર ગુજરાતના કોંગ્રેસના મંથનમાં ગ્યાસુદ્દીન શેખે પક્ષ વિરોધી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ EVMના કારણે નહીં, પરંતુ ચૂંટણી મેનેજમેન્ટના અભાવથી હારે છે. કોંગ્રેસના કાર્યકરો ચૂંટણીના 2 દિવસ અગાઉ કામ કરતા નથી. ઉપરાંત કોંગ્રેસના પોલિંગ એજન્ટ ન હોવાથી ભાજપ EVMમાં બટનો દબાવે છે. કાર્યકર્તા આખી રાત ચવાણું -ભજીયા ખાય અને મતદાન સમયે સુઈ જાય છે. જેથી હાર પાછળ માત્ર EVMને જવાબદાર ઠેરવી શકાય નહીં. વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ મતદારોને મતદાન મથક સુધી લઇ જવામાં નિષ્ફળ નિવળી છે. જેથી પાર્ટીએ લોકસંપર્કમાં વધારો કરવાની જરૂર છે. સભા, રેલી અને બેઠકો કર્યા પહેલાં કોંગ્રેસે ચૂંટણી મેનેજમેન્ટ કરવાની જરૂર છે.
ઇવીએમ મશીન ખોટા નથી હોતા કમળનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવી રહી છે: શિવા ભૂરિયા
ગઈકાલે વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સભા યોજાઇ હતી. આ તકે દિયોદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. સભા સંબોધન વેળાએ શિવા ભુરીયાએ જણાવ્યુ હતું કે, ચૂંટણી આવે એટલે બેઠકોનો દૌર શરૂ થઇ જાય છે પરંતુ મતદાન વેળાએ ભાજપનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવે છે. વધુમાં શિવા ભુરીયાએ જણાવ્યુ હતું કે, હારનું ઠીકરું મશીન પર ફોડતા હોઈએ છીએ પણ ચુંટણીમાં ઇવીએમ મશીન ખોટા નથી હોતા કમળનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવી રહી છે. આથી હવે આગામી ચૂંટણીમાં જાગૃત બનીએ અને દેશમાં લોકશાહી રાખવી હોય તો આ સરકાર બદલવા લોકોને ટકોર કરી હતી.
કોંગ્રેસના મેનેજમેન્ટમાં સુધારની જરૂર
આમ ચૂંટણી પહેલા ધારાસભ્યોનો આવો બફાટ માંડ માંડ ગુજરાતમાં ઊભી થઈ રહેલી કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. મેનેજમેન્ટ થકી કાર્યકર્તાના પર ગ્યાસુદ્દીન શેખે સીધા પ્રહાર કર્યા હતા જે તેના જુસ્સાને ઑછો કરી શકે છે. હજુ સુધી પણ કોંગ્રેસ દ્વારા બંને ધારાસભ્યો વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી કે કોઈ ટકોર સુદ્ધા પણ કરવામાં આવી નથી કે બફાટ નિવેદનો પર રોક લગાવો... ત્યારે ખરેખર હવે કોંગ્રેસના મેનેજમેન્ટ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.