ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જળસંચય પર કામ થઈ રહ્યું છે. એવામાં અનેક એવા ગામ પણ છે જ્યાંના તળાવને ઊંડા કરીને પાણીનો સંગ્રહ કરવાનું બીડું ગુજરાતના નામી વેપારીઓએ લીધું છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર જળસંચય કાર્યક્રમ ચલાવી રહી છે. આ કાર્યક્રમના આધારે સરકાર ગામના જૂના તળાવને ઊંડા કરીને વરસાદના પાણીનો વધારે ને વધારે સંગ્રહ કરવાનું કામ કરી રહી છે. જો કે કેટલાક એવા ગામો પણ છે જ્યાંના તળાવોને ઊંડા કરીને પાણીનો સંગ્રહ કરવાનું બીડું ગુજરાતના નામી વેપારીઓએ ઉઠાવ્યું છે.
આ વેપારીઓમાં એક નામ છે સુરતના ડાયમંડ કિંગ સાવજી ધોળકિયાનું. તેઓએ પોતાના ગામ અમરેલીના દુધાલાના તળાવને પોતાના ખર્ચે ઊંડું કરાવ્યું છે. હવે વરસાદને કારણે આ તળાવ સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ તળાવના ઉદ્ધાટન સમારોહમાં પહોંચ્યા. આ અવસરે મુખ્યમંત્રીની સાથે સાવજી ધોળકિયાએ તળાવમાં સ્પીડ બોટની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે વીતેલા કેટલાક મહિનામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું તે ફક્ત 8 ટકા વરસાદનું પાણી જ સાચી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે. આ રીતે જોવામાં આવે તો 90 ટકાથી વધારે વરસાદનું પાણી વહી જાય છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી. દેશમાં જે રીતે જળસંકટ છે તેના આધારે વર્ષા જળ સંરક્ષણ મહત્વનું છે.