Dr Rajiv Gupt and his series of controversial decisions
વિવાદ /
ગુજરાતના ACS રાજીવ ગુપ્તા વિવાદિત નિર્ણયો માટે જાણીતા, સિંહોનો ખોટો વીડિયો શૅર કરી ફરી ચર્ચામાં
Team VTV03:24 PM, 21 May 21
| Updated: 03:34 PM, 21 May 21
ગુજરાતના સિનિયર IAS અધિકારી ડૉ રાજીવ ગુપ્તા જેઓ વનવિભાગ ખાતા સાથે જોડાયેલા છે તેમણે સિંહોનો સાઉથ આફ્રિકાનો વીડિયો ટ્વીટ કરીને તેને ગીરના સિંહો જણાવી દેતા વિવાદ ઉભો થયો છે.
તૌકતે વાવાઝોડા પછી ગુજરાતમાં સિંહો સુરક્ષિત છે એમ સત્તાપક્ષના નેતાઓને જણાવીને યશ ખાટવા માટે ગુજરાતના સિનિયર IAS અધિકારી ડૉ રાજીવ ગુપ્તા એટલા અધીરા બની ગયા કે તેમણે સિંહોનો સાઉથ આફ્રિકાનો વીડિયો ટ્વીટ કરીને તેને ગીરના સિંહો જણાવી દઈને દાવો કર્યો કે ગીરમાં સિંહો સુરક્ષિત છે.
વનવિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડૉ રાજીવ ગુપ્તાએ આ ભાંડો ફૂટી જતાં ટ્વીટ ડિલીટ કરીને માફી માંગવાને બદલે દોષનો ટોપલો IFS અધિકારી શ્યામલ ટિકાદાર ઉપર ઢોળી દીધો હતો.
શું આવી રીતે સિંહોનું સંરક્ષણ થશે?
જો વન વિભાગના અધિકારીઓ જ એશિયટીક સિંહોને ઓળખી નહીં શકે અને આવા ફેક વિડિયો પોસ્ટ કરીને વાહવાહી લેવાનો પ્રયત્ન કરશે તો સિંહોનું સંરક્ષણ કેવી રીતે થશે તેની ઉપર સવાલો ઉઠયા છે.
ગીર રેન્જમાં ગેસ ઓઇલ પાઇપલાઇન મુદ્દે વિવાદ
સિંહોના સંરક્ષણ મુદ્દે વાઈલ્ડ લાઈફ બોર્ડનો ગેસ-ઓઈલ પાઈપલાઈન માટે અભ્યારણ્યમાં મંજૂરીનો મુદ્દો ચગ્યો હતો. ગીરમાં પાઈપલાઈનના પ્રોજેક્ટથી સિંહોને નુકસાન થવાની અરજી હતી. અભ્યારણ્યમાં પાઈપલાઈનના વિવાદ પછી અધિકારીઓએ પાઈપલાઈન પ્રોજેક્ટ પર કોઈ નિર્ણય ન લીધો.
અમદાવાદમાં કોવિડ મુદ્દે વિવાદિત નિર્ણય માટે હાઈકોર્ટે ગુપ્તાની ઝાટકણી કાઢી હતી
અમદાવાદમાં કોરોના મહામારી માટે સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી તરીકે રાજીવ ગુપ્તાને મુકવામાં આવ્યા છે. આ ફ્રન્ટ આ પહેલા IAS વિજય નહેરા સાંભળી રહ્યા હતા જેમને અચાનક બદલીને ગુપ્તાને મુકવાના આવતા પ્રજામાં અસંતોષ ફેલાયો હતો. આ દરમિયાન કોરોનાની બીજી લહેર જ્યારે ટોચ ઉપર હતી ત્યારે ગુપ્તાએ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દી ફરજિયાત 108માં ન આવ્યો હોય તો તેને દાખલ ન કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો. ત્યાર બાદ હાઇકોર્ટે આ મુદ્દે ઠપકો આપતા સરકારે ગુપ્તાનો આ તગલખી નિર્ણય પાછો ખેંચ્યો હતો.
2018ના કેનાઇન ડિસટેમ્પર વાયરસ મુદ્દે વિવાદ
ગેસ તેમજ ઓઈલ પાઈપલાઈન ગીર રેન્જમાંથી કેવી રીતે પસાર થાય તેવું નિષ્ણાતો સમજી શકતા નથી. આ પહેલા કેનાઇન ડિસટેમ્પર વાયરસ અને અન્ય મુદ્દાઓને કારણે સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટ રાજ્ય સરકારને ઝાટકી ચૂકી છે. દેશની સર્વોચ્ચ અદાલત પણ 2018માં સિંહના મૃત્યુ મુદ્દે રાજ્ય અને કેન્દ્રને ખુલાસો પૂછી ચૂકી છે
2018ના સપ્ટેમ્બર મહિનાથી ઓક્ટોબર સુધીમાં 23 સિંહોના મોત થયા હતા. 11 સિંહના મોત એક જ મહિનામાં ઈન્ફેક્શનના કારણે થયા હતા.12 સિંહના મોત સલામત સ્થળે ખસેડ્યા પછી થયા હતા.
આ ઉપરાંત અભ્યારણ્યમાં રેલવે વિભાગને ફાળવાયેલી જમીન વિશે અરજી થઈ હતી. આ વિવાદમાં 150 હેક્ટર જમીન બ્રોડ ગેજ-ટ્રેક ઈલેક્ટ્રિફિકેશન માટે ન આપવામાં આવે એવી માગ હતી.
શું સરકાર (બે)જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેશે?
CM રૂપાણીએ કહ્યું હતું કે સરકાર અધિકારીની બેદરકારી અંગે પણ તપાસી રહી છે. 2018માં જે સિંહોના મોત થયા હતા તે વાયરસ હજુ જાણી શકાયો નથી. આ સંદર્ભે સિંહના મોત મામલે જવાબદાર અધિકારીઓએ શું પગલા લીધા તે પણ સવાલ છે અને સરકારે અધિકારીઓ સામે શું પગલાં લીધા તે પણ એક સવાલ છે.