મહારાષ્ટ્રના હિંગોલી શહેરમાં ગધેડીનું દૂધ વેચાઈ રહ્યું છે. દૂધ વેચનારા લોકો દાવો કરી રહ્યાં છે કે ગધેડીનું દૂધ પીવાથી શરીરમાં ઈમ્યુનિટી વધે છે અને તે ખૂબ શક્તિશાળી છે. કોરોના મહામારી સામેની લડાઈમાં આ ખૂબ અસરકારક સાબિત થાય છે. હિંગોલીમાં ગધેડીનું દૂધ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. ગધેડીના દૂધ લિટર 10 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
લીટર 10 હજાર રૂપિયે વેચાઈ રહ્યું છે ગધેડીનું દૂધ
ગધેડીનું દૂધ વેચનારા લોકોનો દાવો, અનેક બિમારીઓ થશે દૂર
આ દૂધ કોરોનાના દર્દીની ઈમ્યુનિટી વધારે છે
એક ચમચી દૂધ પીવો અને બિમારીમાંથી મુક્ત થાઓ
હિંગોલીમાં શેરી-શેરીમાં ફરીને લોકો ગધેડીનું દૂધ વેચી રહ્યાં છે અને ફેરિયાઓ જોરજોરથી અવાજ લગાવી રહ્યાં છે કે એક ચમચી દૂધ પીવો અને દરેક પ્રકારની બિમારીથી મુક્ત થાઓ. આ સારું દૂધ છે. આ દૂધ પીવાથી ઘણાં ફાયદા થાય છે. બાળકોને નિમોનિયા થતો નથી. આ ઉપરાંત તાવ, ખાંસી, કફ જેવી બિમારીની સાથે ગધેડીનું દૂધ કોરોનાના દર્દીની ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. દૂધ વેચનારા લોકો આવો દાવો કરી રહ્યાં છે.
અનેક બિમારીઓ થાય છે દૂર
ગધેડીનું દૂધ વેચનારા બાલાજી મેસેવાડે જણાવ્યું કે તાજુ દૂધ નિકાળીને વેચીએ છીએ. આ દૂધ પીવાથી ઘણી બિમારીઓ દૂર થઈ જાય છે. એક ચમચી દૂધની કિંમત 100 રૂપિયા અને એક લીટર દૂધ 10 હજાર રૂપિયામાં વેચીએ છીએ. આ સાથે ગધેડીનું દૂધ સ્કીન અને શરીર બંને માટે પોષક તત્વોથી ભરપૂર છે. જો બાળકોનો જન્મ થયા બાદ આ દૂધ દરરોજ પીવડાવવામાં આવે તો લાંબી ઉંમર સુધી ફાયદો થાય છે.
ડૉકટર શું કહે છે?
ડૉકટર વીએન રોડગેનું કહેવુ છે કે ગધેડીનું દૂધ 10 હજાર રૂપિયે લીટર વેચાઈ રહ્યું છે. આ ખરેખર ખોટુ છે. ગધેડીનું દૂધ પીવાથી કોરોના મહામારીથી સ્વસ્થ થઇ જશો આ સાચુ નથી. તબીબની સલાહ પર દવા લેવી જોઈએ. કોઈની પર આંખો બંધ કરીને વિશ્વાસ ના કરવો જોઈએ.