ગુજરાતી ફિલ્મોનો ફરી એક વાર ઉદયકાળ થઈ રહ્યો છે ત્યારે સરકારી કામકાજ હજુય ગુજરાતી ચલચિત્રોને ગામ, ગોકીરોને, ગોદરોથી ઉપર ઉઠવા નથી દેવા માંગતુ. ગુજરાતી ફિલ્મ પરીક્ષણ સમિતિ બનાવવામાં આવી છે જેમાં મૃત વ્યક્તિનું નામ સામેલ કરાતા વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. જેમને ફિલ્મો સાથે નહાવા નીચોવાનોય સંબધ ન હોય તેવા લોકોને આ પરીક્ષણ સમિતિમાં સામેલ કરતા ખુદ ફિલ્મ ઉદ્યોગના લોકો જ તેનો વિરોધ કરી રહ્યા છે.
સ્વર્ગસ્થ કેમેરામેન રણદેવ ભાદુરીનું નામ છે લીસ્ટમાં
દરેક વિભાગમાં 10 ને બદલે 204નો કાફલો
ફિલ્મ સ્ક્રીનીંગ કમિટીના કુલ 7 વિભાગ હોય
ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2019 જાહેર કરવામાં આવી છે. જેથીગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે.આ માટે રાજ્ય સરકારે 4 નવેમ્બરના રોજ ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2019 જાહેર કરી છે. જેને અનુસંધાને ચલચિત્ર પરીક્ષણ સમિતિ એટલે કે ફિલ્મ સ્ક્રિનિંગ કમિટીની જાહેરાત પણ કરવામાં આવી છે.
સ્વર્ગસ્થ કેમેરામેન રણદેવ ભાદુરીનું નામ
ફિલ્મ સ્ક્રિનિંગ કમિટીમાં સમાવેશ કરાયેલાઓની યાદીમાં સિનેમેટોગ્રાફી અને વીએફએક્સ વિભાગમાં પ્રખ્યાત કેમેરામેન રણદેવ ભાદુરીનું નામ છે, જેમનું અવસાન થયાને છ થી સાત મહિનાનો સમય થયો છે. માહિતી ખાતા પાસે આટલી પણ માહિતી નથી. જેનો મતલબ એ થયો કે આ કમિટી પણ ખાલી બનાવવા ખાતર જ બનાવવામાં આવી છે બાકી હોતી હૈને ચલતી હૈની જેમ જ કામ કરાઈ રહ્યુ છે. આ એક એવી કમિટી છે જેના સભ્યોના મુલ્યાંકનના આધારે કોઇ ફિલ્મને સબસિડી મળશે કે નહીં તે નક્કી કરવામાં આવશે.
ફિલ્મ સ્ક્રીનીંગ કમિટીના કુલ 7 વિભાગ હોય
ફિલ્મ સ્ક્રીનીંગ કમિટીના કુલ 7 વિભાગ હોય છે. સ્ટોરી-સ્ક્રીનપ્લે-ડાયલોગ, દિગ્દર્શન, ગીત-સંગીત(લિરીક્સ -મ્યુઝિક) , સાઉન્ડ, સિનેમેટોગ્રાફી, એડીટીંગ, પરર્ફોમન્સ. ત્યારે દરેક વિભાગમાં વધીને દસ લોકોની જરૂર હોય એટલે 70 લોકો માંડ થયા પણ અહીં તો 204 માણસોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આવડા અમથી ઈન્ડ્રસ્ટ્રીમાં આટલા બધા પરીક્ષણ મેમ્બર્સ?
ફિલ્મ ઉદ્યોગના લોકો ઉઠાવી રહ્યા છે સવાલ
હવે આ સમિતિમાં કેટલાક એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેની સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી જ સવાલ ઉઠી રહ્યા છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ યાદીમાં એક મૃત વ્યક્તિના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે રાજ્ય સરકારના માહિતી ખાતાની કામગીરી સામે સવાલ ઉભા કરે છે!