ગુજરાત સહિત દેશના ચાર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં સ્થિતિ વધુ વણસી છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી હતી. શુક્રવાર સુધીમાં કોરોનાની સ્થિતિને લઇને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે હવે રૂપાણી સરકાર દોડતી થતી છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
હવે લગ્ન સમારંભોમાં 100 લોકોને જ મંજૂરી
અંતિમવિધીમાં પણ 50 વ્યક્તિઓ જ થઈ શકશે સામેલ
રાત્રે લગ્ન પ્રસંગોને નહીં મળી શકે મંજૂરી
સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકાર દોડતી થઇ છે અને કોર્ટના આદેશને ગંભીરતાથી લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને તાત્કાલિક અસરથી આજે કોર કમિટીની એક બેઠક યોજવામાં આવી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે લગ્નપ્રસંગો અને અંતિમ વિધિને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને લગ્ન પ્રસંગો, ઉજવણીઓ અને અંતિમ સંસ્કાર વિધિમાં વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારનો નિર્ણય
લગ્ન/સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે.
મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ/ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે.
જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યુ સમય દરમિયાન લગ્ન/સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાઇ બેઠક
ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ અને તેની સામે લેવામાં આવી રહેલા પગલા મુદ્દેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે શુક્રવાર સુધીમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેનો એક રિપોર્ટ રજૂ કરવાનો છે.
સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર
સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામ એમ ચાર રાજ્યો પાસેથી કોરોનાની કામગીરી અંગે રિપોર્ટ માંગ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે આ રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ બેકાબૂ બની રહી છે ત્યારે આ રાજ્યો 2 દિવસમાં રિપોર્ટ સબમીટ કરે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે.
અમદાવાદમાં પરિસ્થિત વધારે ખરાબ
જ્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં રોજના 300થી વધુ કેસ થઈ ગયા છે. છેલ્લાં 5 દિવસમાં 1631 કેસ નોંધાયા છે, જ્યારે 32ના મોત થયા છે. અમદાવાદમાં કુલ મૃતાંક 1982 પર પહોંચ્યો છે ત્યારે તંત્રએ અહીં આકરા પગલા લેવાની ફરજ પડી છે.
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો 2 દિવસ સુધી કડક રીતે અમલ કરવામાં આવ્યો હતો. જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ પુરો થશે અને જનજીવન રાબેતા મુજબ થશે તેવી જાહેરાત કરી હતી. સાથે યુવાનોને પણ બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.