બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલ 'નાયક'ના રોલમાં, એક બે નહીં 9 અધિકારીઓને ઘરભેગા કર્યા, અન્યોમાં ફફડાટ પેઠો
Last Updated: 10:33 PM, 5 July 2024
દાદા તરીકે ઓળખાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છાપ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની છે. અત્યાર સુધી સૌએ તેમનું મૃદુ સ્વરૂપ જોયુ છે. હવે દાદાએ અચાનક નાયકના રોલમાં આવીને મક્કમ મુખ્યમંત્રી તરીકેની છાપના દર્શન કરાવતા ભ્રષ્ટ અધિકારીઓમાં સોપો પડી ગયો છે. રાજકોટના અગ્નિકાંડ બાદ એકશનમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક માસમાં 9 ક્લાસ વન-ટુ ઓફિસરને ફરજીયાત નિવૃત્ત કરીને નોકરીમાંથી પાણીચું આપી દીધું છે. આજે એક જ દિવસમાં GAS કેડરના એક અધિકારી અને જીએસટી વિભાગના બે ડેપ્યુટી કમિશનરને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે. અત્યાર સુધી નાના માછલાઓ પર તવાઈ ઊતરતી હતી પરંતુ હવે મોટા મગરમચ્છોને નોકરીમાંથી હાંકી કાઢવાનું શરૂ કરાતા GAS અને IAS-IPS લોબીમાં સન્નાટો છવાઈ ગયો છે.
ADVERTISEMENT


ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલ સરકારે 3 ઓક્ટોબર 2023ના રોજ સિવિલ સર્વિસ રૂલ્સમાં ફેરફાર કરીને જાહેર કરાયું હતું કે સરકાર સરકાર પોતાના કર્મચારી કે અધિકારીને અકાળે એટલે કે નિયત નિવૃતિ વય પહેલાં, 50 કે 55 વર્ષે પણ નિવૃત કરી શકે છે. સરકારને આ પ્રકારની સતા મળેલી છે. અગાઉની સૂચના રદ્દ કરીને નવા નિયમો તથા માપદંડ જારી કરવામાં આવ્યા હતા.ત્યારે કોઈને સપનેય ખ્યાલ નહોતો કે આ નિર્ણય દાદાના મૃદુમાંથી મક્કમ રૂપ બતાવવાની તૈયારીના ભાગરૂપે હશે. એ દરમિયાનમાં રાજકોટમાં અગ્નિકાંડ થયો અને દાદાએ એ વખતે જ નક્કી કરી લીધું કે સરકારમાં ખાઈ બનેલા સનદી અધિકારીઓ અને કલાસ વન-ટુ અધિકારીઓને સીધા જ ઘર ભેગા કરવા. આ નિર્ણયનો પહેલો પરચો સરદાર સરોવર નિગમના અધિક્ષક ઇજનેર જે. જે. પંડ્યાને મળ્યો. થોડા દિવસ પહેલા જ તેમને ફરજિયાત નિવૃત્ત કરતો આદેશ જારી કરાયો હતો. જે. જે. પંડ્યાએ તેમની ફરજ દરમિયાન સરકારને જંગી નાણાકીય નુકસાન પહોંચાડ્યુ હોવાનું બહાર આવતા તેમને તાત્કાલિક અસરથી 55 વર્ષની વય પછી સેવામાંથી ફરજિયાત અપરિપક્વ નિવૃત્તિનો આદેશ કર્યો હતો. તેમની સામે અગાઉની ખાતાકીય તપાસમાં તેમની સામેના તમામ સાત આરોપોમાં સરકારને મોટું નાણાકીય નુકસાન થયું હોવાની બાબતને સરકારે ગંભીરતાથી લઇને ઇજનેરી સેવા વર્ગ-1 સંવર્ગના અધિકારીને જાહેર હિતમાં 21 જુને બપોર પછી સરકારી સેવામાંથી હાંકી કાઢ્યા હતા. નર્મદા કેનાલની અન્ડરગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખવાના કામમાં તપાસ પછી આ પગલા લેવાયા હોવાનું મનાય છે.
ADVERTISEMENT

દાદાનો બીજો શિકાર હતો સહકાર વિભાગના સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડે. ભૂતકાળમાં લોખંડે સામે એન્ટી કરપ્શન બ્યુરોને લગતા કેસમાં તેમને કોર્ટ દ્વારા બેનિફિટ ઓફ ડાઉટના આધારે નિર્દોષ છોડવામાં આવ્યા હતા તે બાબતને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. કૃષિ અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની તાજેતરમાં બેઠક યોજાઇ હતી. જેમાં લોખંડે સામે રાજકોટના એસીબીના એક કેસના 2022માં આવેલા ચૂકાદામાં તેમને સેશન્સ કોર્ટ દ્વારા પુરાવાના આધારે નહીં પણ શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવામાં આવ્યા હતા તેની નોંધ લેવાઇ હતી. તે સાથે જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો. ઓપ. સોસાયટીની નોંધણીની કામગીરીમાં પરિપત્રની સૂચનાનો ભંગ કરવા બદલ પણ દોષિત ઠર્યા હતા.
ADVERTISEMENT

ત્યારબાદ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વિકાસ અધિકારી બી.ડી.સોલંકીને નિવૃત્તીના 6 વર્ષ પહેલા નોકરીમાંથી ફરજિયાત રિટાયર્ડ કરવાનો આદેશ કરાયો હતો.પંચાયત વિભાગના ક્લાસ-2 અધિકારી અને ભિલોડા તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકીને 1 જુલાઈ સોમવાર બપોર પછી તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ કરાયો હતો. બી.ડી.સોલંકી રાજ્યમાં અલગ -અલગ તાલુકાઓમાં ફરજ દરમિયાન સતત વિવાદમાં રહ્યા હતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય અને પ્રધાન મંત્રી આવાસ યોજના સહિત અને સરકારી યોજનાઓમાં કરોડો રૂપિયા ઉસેડી લીધા હોવાના આક્ષેપ સહિત સરકારી કામકાજ દરમિયાન પણ અરજદારો પાસેથી રૂપિયા ખંખેરતા હોવાના ગંભીર આક્ષેપ લાગતા સરકારે ફરજીયાત નિવૃત્તિનો દંડો ઉગામ્યો હતો.
ADVERTISEMENT
દરમિયાનમાં ગઇકાલે ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર એફ. એમ. કુરેશી, ડી. ડી. ચાવડા અને આર. આર. બંસલને ભ્રષ્ટાચારના કેસમાં રાજ્ય પોલીસવડા વિકાસ સહાયની સહીથી ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ કરાતા પોલીસબેડામાં સોંપો પડી ગયો છે. આ ત્રણેય પોલીસ અધિકારીઓ સામે એસીબીની તપાસ ચાલુ હતી તેમજ અન્ય ગેરરીતિઓ મામલે પણ ખાતાકીય તપાસ ચાલુ હતી. જ્યારે આજે GAS કેડર (સિનિયર સ્કેલ)ના અધિકારી એસ. જે. પંડયાને જાહેરહિતમાં રાજ્ય સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરી દેવાયા હતા. જેને અત્યાર સુધીમાં ચાર ચાર્જશીટ આપવામાં આવી હતી અને તેની સામે એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આવી જ રીતે નાણાં વિભાગ હસ્તકના રાજ્ય વેરા વિભાગ ( GST)ના બે નાયબ કમિશનર ડી. પી. નેતા અને એસ. એચ. ગાંધીને તેમની સેવામાંથી તાત્કાલિક અસરથી અપરિપક્વ નિવૃત્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અધિકારી નેતા જીએસટી ચીફ કમિશનરની કચેરીમાં કોર્પોરેટ સેલમાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા જ્યારે ગાંધી હાલ સસ્પેન્શન હેઠળ હતા.
આ પણ વાંચો: અમદાવાદીઓ ધ્યાન આપે! રથયાત્રાને જોતાં વૈકલ્પિક રૂટ જાહેર, પોલીસે આપી માહિતી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સુરતની ડુમસની કરોડો રૂપિયાની જમીનના પ્રકરણમાં સનદી અધિકારી આયુષ ઓકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટની આગના બનાવમાં મ્યુનિસિપલ કમિશનર IAS આનંદ પટેલ અને પોલીસ કમિશનર IPS રાજૂ ભાર્ગવની તાત્કાલિક અસરથી બદલી કરીને વેઇટિંગ ઇન પોસ્ટિંગમાં મોકલી દેવાયા છે. આમ, મુખ્યમંત્રીએ ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓ સામે લાલ આંખ કરતાં અધિકારી વર્ગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.