ક્રિકેટર યુવરાજ સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. યુવરાજ સિંહ સામે હરિયાણા પોલીસે એફઆઈઆર નોંધી છે. આ કેસ ગત વર્ષ એટલે કે 2020ના એક લાઈવ સેશનમાં દલિત સમુદાય માટે જાતિસૂચક શબ્દો વાપરવાના આરોપ સાથે સંબંધિત છે.
ક્રિકેટર યુવરાજ સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે
યુવરાજ પર આરોપ છે કે તેણે લાઈવ દરમિયાન દલિત સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી હતી
યુવરાજ સિંહ સામે હરિયાણા પોલીસે એફઆઈઆર નોંધી છે
ક્રિકેટર યુવરાજ સિંહ અનુસૂચિત સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના કેસમાં ફસાતો જોવા મળી રહ્યો છે. આ સંબંધમાં હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશનમાં યુવરાજ સિંહ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
દલિત અધિકાર કાર્યકર રજત કલસને યુવરાજ સિંહ વિરુદ્ધ હાંસીના પોલીસ અધિક્ષક પાસે ફરિયાદ કરીને તેની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમ હેઠળ કેસ કરવાની માંગ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે 1 જૂન, 2020ના રોજ ક્રિકેટર રોહિત શર્મા અને યુવરાજ સિંહ વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં યુવરાજ સિંહે અનુસૂચિત સમાજ પર અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ બાબતે ભારે હંગામો થયો હતો.
એડવોકેટ રજત કલસને આ અંગે જણાવ્યું કે તેણે તત્કાલીન એસપી લોકેન્દ્રને ફરિયાદ કરી હતી, જેમાં તેણે યુવરાજ સિંહ સામે દેશના અનુસૂચિત સમાજ સામે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા બદલ કેસની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે આ ટિપ્પણીને દેશભરના અનુસૂચિત સમાજના લોકો જોઇ ચૂક્યા છે અને આ ટિપ્પણીથી તેમને જ નહીં દલિત સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ અંગે તેણે હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજ સાથે પણ મુલાકાત કરી હતી, ત્યારબાદ તેમણે યોગ્ય કાર્યવાહીની ખાતરી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનો ફાળો આપનારા ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહની મુશ્કેલી વધી છે.