ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ જણાવ્યું છે કે સિડનીમાં ત્રીજી અને બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ યોજાશે.
CAના CEO નિક હોકલેએ મીડિયામાં વહેતા થયેલા સમાચારોને ખોટા ગણાવ્યા છે. સિડનીમાં કોરોનાના વધી રહેલા કેસ છતાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પર કોઈ જોખમ નથી.
પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે
બોર્ડે સાથે એવું પણ કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સિડનીમાં કોરોનાના ઘણા નવા કેસ સામે આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં ત્રીજી ટેસ્ટ મેચ તા. ૭ જાન્યુઆરીથી શરૂ થવાની છે, જ્યારે બ્રિસ્બેનમાં ૧૫થી ૧૯ જાન્યુઆરી દરમિયાન ચોથી ટેસ્ટ રમાવાની છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિક હોકલેએ કહ્યું, "અમે અમારા મેડિકલ એક્સ્પર્ટ્સના સંપર્કમાં છીએ. અમે અમારા ખેલાડીઓને સમગ્ર સિઝનમાં બાયો બબલમાં જ રાખ્યા છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ડરવાની કોઈ વાત નથી."
અમે બાયો બબલની વ્યવસ્થા કરી છે
તેમને એવું પૂછવામાં આવ્યું કે, "શું સિડની ટેસ્ટને લઈને કંઈ અનિશ્ચિતતા છે?" એ સવાલના જવાબમાં હોકલેએ કહ્યું, "મને એવું નથી લાગતું. આના માટે જ અમે બાયો બબલની વ્યવસ્થા કરી છે. મહિલા બિગ બેશ લીગ, બિગ બેશ લીગ, BCCI અને ઓસ્ટ્રેલિયન ટીમે બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે."
અમારી પ્રાથમિકતા સિડનીમાં જ ત્રીજી ટેસ્ટ યોજવાની છે.
ઓસ્ટ્રેલિયન અખબારોના અહેવાલો પ્રમાણે ત્રીજી અને ચોથી ટેસ્ટના વેન્યૂ બદલવા પર વિચારણા થઈ રહી છે. આ અંગે હોકલેએ જણાવ્યું, "ત્રીજી ટેસ્ટને હજુ અઢી સપ્તાહની વાર છે. ત્યાંની સ્થિતિ પર અમારી નજર છે. અમે અમારા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કર્યો નથી અને અમારી પ્રાથમિકતા સિડનીમાં જ ત્રીજી ટેસ્ટ યોજવાની છે.
એડિલેડમાં પ્રથમ ટેસ્ટ શરૂ થતાં પહેલાં જ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો પ્રકોપ વધુ હતો. તેમ છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટનું સફળ આયોજન કર્યું. અમે આવી જ સ્થિતિ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને લઈને પણ જોઈ હતી, પરંતુ હવે આ મેદાન બોક્સિંગ ડે ટેસ્ટની યજમાની કરવા જઈ રહ્યું છે."
સિડનીમાં કોરોનાના નવા કેસ આવતાં બ્રેટ લીએ પોતાના ઘેર પાછા ફરવાનો નિર્ણય કર્યો
ઉલ્લેખનીય છે કે સિડનીમાં કોરોનાના નવા કેસ આવતાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ફોક્સ ક્રિકેટના કોમેન્ટેટર બ્રેટ લીએ પોતાના સિડની સ્થિત ઘેર પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. પ્રસારણકર્તા ટીમના સિડનીમાં રહેતા બે સભ્ય પણ પાછા ફર્યા છે.