યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપે અંતિમ ત્રણ તબક્કા માટેના ઉમેદવારોના નામ શોર્ટ લિસ્ટ કર્યા છે. આ લિસ્ટમાં ઢગલાબંધ ધારાસભ્યોને ઘર ભેગા કરી દેશે.
UP વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને સોમવારે ભાજપની એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. જેમાં પાર્ટીના મોટા માથાઓએ ઉમેદવારોના લિસ્ટને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ વખતે લગભગ 80 જેટલા વર્તમાન ધારાસભ્યોને ભાજપ ઘરભેગા કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત લગભગ એક ડઝન જેટલી એવી સીટો છે, જેના પર ઉમેદવારો આમથી તેમ થઈ જશે.
પાર્ટીમાંથી ઠેકડીયું મારતા નેતાઓ માથાનો દુ:ખાવો
જણાવી દઈએ કે, ભાજપમાંથી મોટી સંખ્યામાં ટિકિટ કપાતા પાર્ટીમાં ફરી એક વાર હોબાળો મચી ગયો છે. હકીકતમાં આ અગાઉ ઓબીસી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય કેટલાય ભાજપના ધારાસભ્યો સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. હવે પાર્ટીને ચિંતા છે કે, હાલના ધારાસભ્યોની ટિકિટ કપાતા ક્યાંક ફરી વાર આવી નાસભાગ ન થાય તેની પણ ચિંતા સતાવી રહી છે.
સોમવારે થયેલી પાર્ટીની કોર કમિટીની બેઠક દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં થઈ હતી. તેમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શામેલ થયાં હતા. ત્યાર બાદ મંગળવારે ઉમેદવારોના લિસ્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે.
અંતિમ ત્રણ તબક્કા માટે ઉમેદવારોની યાદી
આપને જણાવી દઈએ કે, ભાજપ રાજ્યની કુલ 403 સીટમાંથી લગભગ 380 સીટો પર ચૂંટણી લડે તેવી આશા છે. બાકી વધેલી સીટો તેમના સહયોગીના ખાતામાં જશે. જેમાં અપના દળ અને નિષાદ પાર્ટી શામેલ છે. સોમવારે ભાજપ તરફથી સાત તબક્કાની ચૂંટણી માટે અંતિમ તબક્કાના ઉમેદવારોના નામને શોર્ટ લિસ્ટ કર્યા છે. જેમાં 172 સીટો શામેલ છે. પાર્ટી પહેલા જ 197 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુક્યું છે.
સૂત્રોએ કહ્યું છે કે, ભાજપ હાઈકમાન્ડ વધારે સંખ્યામાં વર્તનમાન ધારાસભ્યોની ટિકિટ કાપવાના પક્ષમાં હતું. પણ હાલમાં જ ત્રણ મંત્રીઓ અને લગભગ એક ડઝન જેટલાય ધારાસભ્યો પાર્ટીમાંથી બહાર થઈ જતાં, થોડી સાવધાની સાથે કામ લઈ રહ્યા છે.
ભાજપના સહયોગી દળની વાત કરીએ તો, અપના દળ 2017માં 11 સીટો પર ચૂંટણી લડી હતી. પણ આ વખતે ડબલ સીટોની માગ કરી રહ્યા છે. નિષાદ પાર્ટીનો પણ આવો જ મૂડ છે. હાલમાં ભાજપ કથિત રીતે અપના દળ માટે 2017થી બે- ત્રણ સીટોથી વધારે આપવાના મૂડમાં નથી.