ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂબ ભયાનક સ્તરે પહોંચી છે. આ દરમિયાન અમેરિકાએ છેલ્લા 14 દિવસથી ભારતમાં રહેતા લોકો પર અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
આ એ જ લોકો ઉપર લાગુ થશે જે અમેરિકાના નાગરિક નથી. જો કે, અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પત્રકારો અને અન્ય કેટલીક કેટેગરીના લોકોને ભારત પ્રવાસ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના સચિવ ટોની બ્લિન્કન દ્વારા આ છૂટની જાણકારી આપવામાં આવી છે.
બાયડન સરકારની આ ઘોષણા 4 મેથી અમલમાં આવશે. ભારતમાં કોવિડ -19ના વધતા કેસો અને અહીંના વાયરસના જોખમી વેરિઅંટ ઉભા થવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 14 દિવસથી ભારતમાં રહેતા તેમના દેશવાસીઓને ઓસ્ટ્રેલિયા પાછા ફરવા પર હંગામી ધોરણે પ્રતિબંધ લગાવી દીધો છે.
બાયડને કહ્યું આ પ્રતિબંધ પાછળનું કારણ
બાયડને કહ્યું કે WHOના જણાવ્યા પ્રમાણે ભારતમાં 1 કરોડ 83 લાખથી વધુ કેસ નોંધાયા છે અને મહામારી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. તેમણે કહ્યું કે દુનિયાના 1/3 નવા કેસો ફક્ત ભારતમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજ 3 લાખ કેસ સામે આવે છે.
આ નિર્ણય અમેરિકાની સરકારી આરોગ્ય સંસ્થા CDCની સલાહથી લેવાયો છે. બાયડનના મતે આ અમેરિકાના હિતમાં લેવાયેલો નિર્ણય છે.
રિપબ્લિકન સાંસદોએ કરી ટીકા
આ દરમિયાન રિપબ્લિકન સાંસદોએ બાયડનના ભારત પર ટ્રાવેલ પ્રતિબંધ લાદવાના નિર્ણયની ટીકા કરી હતી. સાંસદ ટિમ બર્ચેટે ટ્વિટ કર્યું હતું કે, "મેક્સિકો સાથે સરહદો ખુલ્લી રાખવી અને આપણા સાથી દેશ ભારત પર ટ્રાવેલ બેન લાદવો તે બુદ્ધિગમ્ય નથી." બુર્ચેટ સિવાય, જોડ એરીંગ્ટન અને લોરેન બોએબર્ટ સહિત ઘણા રિપબ્લિકન નેતાઓએ આ પ્રતિબંધોનો વિરોધ કર્યો છે, પરંતુ ભારતીય અમેરિકન સાંસદ રો ખન્ના નિર્ણયને ટેકો આપ્યો છે.