ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગરમાં ST બસનો ભયાનક અકસ્માત, કાબૂ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી
Last Updated: 12:33 PM, 26 August 2026
ADVERTISEMENT
ભાવનગરમાં વહેલી સવારનો સામાન્ય માહોલ અચાનક ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. સિહોર-ટાણા-વરલ રૂટની ST બસ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ પૂરપાટ ઝડપે બહાર આવી રહી હોવાના કારણે બ્રેક ન લાગતાં તે સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. ત્યારબાદ બસ ભરૂચા ક્લબની દીવાલ સાથે ભયાનક રીતે અથડાઈ હતી.
ADVERTISEMENT

બસ ફૂટપાથ પર ચડતા ત્યાં વાહનની રાહ જોઈને બેઠેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બસે ફૂટપાથ પર બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
અકસ્મતમાં રામધરી સણોસરા ગામના લલીતાબેન ગુલાબસિંહ પરમાર, ઉંમર 28 વર્ષ અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમારનું મોત થયું છે. જ્યારે મધુબેન લાલજીભાઈ વાઘેલા, ઉંમર 50 વર્ષ, ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ ST બસ ભાવનગર-સિહોર-ટાણા-વરલ રૂટ પર દોડતી હતી. બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસની બ્રેક ન લાગતા તે પૂરપાટ ઝડપે આગળ વધી હતી. આખરે બસ ફૂટપાથ પર ચડીને ભરૂચા ક્લબની દીવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દીવાલને પણ નુકસાન થયું હતું.
ADVERTISEMENT

આ અકસ્માત સમયે ફૂટપાથ પર કેટલાક લોકો વાહનની રાહ જોઈને બેઠા હતા. પ્રત્યક્ષદર્શી લાલજીભાઈ વાઘેલાએ સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેઓ રંઘોળાથી વાસણ લેવા આવ્યા હતા. ઈકો ગાડીમાંથી ઉતર્યા બાદ તેઓ બસ સ્ટેન્ડની સામે આવેલી દીવાલના ઓટા પર બેઠા હતા. ત્યારે અચાનક બસ આવી હતી અને દીવાલ તોડી નાખી હતી. તેમના જણાવ્યા પ્રમાણે બસે ચાર લોકોને અડફેટે લીધા હતા અને તેઓ જ લોકોને ત્યાંથી લઈને આવ્યા હતા.
ADVERTISEMENT
અકસ્મતાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતની સ્થિતિની તપાસ શરૂ કરી હતી અને બસને ત્યાંથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બસ રસ્તા પર હોવાના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. જેથી પોલીસ દ્વારા બસ હટાવીને ટ્રાફિક ફરી સામાન્ય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : થલતેજની 26 વર્ષીય દીપિકાએ 11મા માળેથી મોતની છલાંગ લગાવી, સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે થયો અને બસ પરનો કાબૂ કેમ ગુમાવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે બસની બ્રેક ન લાગવાના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે. એક તરફ માતા અને માત્ર 7 વર્ષની બાળકીનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, તો બીજી તરફ ઈજાગ્રસ્ત મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો