ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે પેપરલીક વિરોધી બિલને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. રાજ્યપાલની મંજૂરી બાદ તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે.
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક સર્વાનુમતે પસાર
આ બિલમાં કોઈ પ્રકારની ક્ષતિ, ભુલ રહી ગઈ હોય તો સુચન મોકલજો: હર્ષ સંઘવી
કાયદો જલદીથી જલદી લાગૂ થશે : સંઘવી
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગૃહમાં પરીક્ષા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિ સાથે મંજૂરી મળી ગઈ છે. ત્યારે વિપક્ષના સભ્યોએ મુદ્દો સુચવ્યો તેને પણ સરકારે ધ્યાને લેવામાં આવ્યા હતા. બિલમાં બોર્ડ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ કાયદા અંતર્ગત નહી આવે.
ધો.10-12 ના વિદ્યાર્થીઓ મુદ્દેના વિપક્ષના સૂચન પર તાત્કાલીક સુધારો કર્યો
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગૃહમાં પરીક્ષા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિ સાથે મંજૂરી મળી ગઈ છે. ત્યારે આ બાબતે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આ બિલમાં કોઈપણ પ્રકારની ક્ષતિ, ભૂલ રહી ગઈ હોય તે સૂચન મોકલજો. તેમજ હું તમામ લોકોના સૂચન અને ટીકા સાંભળવા તૈયાર છું. ગુજરાતની સરકાર, વિપક્ષે મહદઅંશે તમામ કલમોનું સમર્થન કર્યું છે. વિપક્ષના સભ્યોએ મુદ્દો સૂચવ્યો તેને સરકારે ધ્યાને લીધો. તેમજ ધો.10-12 ના વિદ્યાર્થીઓ મુદ્દેના વિપક્ષના સૂચન પર તાત્કાલીક સુધારો કર્યો છે. વિપક્ષના સદસ્યોના તમામ પ્રશ્નનાં જવાબ આપવામાં આવ્યા છે. આ કાયદો અસ્તિત્વમાં આવે પછી જ બીજી પરીક્ષાઓ લેવાશે: હર્ષ સંઘવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજની ક્ષણો વિધાનસભાની કામગીરી ઈતિહાસમાં લખાશે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા. ગુજરાતની ધરતી પર હવે કોઈ પરીક્ષાર્થી ભૂલ કરશે તો છટકબારી નહી મળે. કોઈએ શોર્ટ કટ પકડ્યો તો જીવનભર પરીક્ષા આપી નહી શકે. આ કાયદો અસ્તિત્વમાં આવે પછી જ બીજી પરીક્ષાઓ લેવાશે અને આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ થશે. આ કાયદા માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. બંધારણ પ્રમાણે જુના કેસોને આ કાયદા અંતર્ગત લાવી નહી શકાય. આવનારી પંચાયતની પરીક્ષા માટે હસમુખ પટેલને નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કોઈપણ વિદ્યાર્થી લેભાગુ શખ્સોનાં વિશ્વાસમાં ન આવે. આ કાયદામાં કોઈ છટકબારી રાખવામાં આવી નથી.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થઈ હતી. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલી, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ, દાઉદભાઈ પટેલ, મહિપતસિંહ જાડેજા તથા હરેશકુમાર ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા પેપરલીક મામલે તૈયાર કરવામાં આવેલા બિલને આજે સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ ગૃહમાં મૂકાયું હતું. જેને સર્વાનુંમતે મંજૂરી મળી ગઈ છે.
હર્ષ સંઘવીએ કર્યું હતું રજૂ
બિલને રજૂ કરતી વખતે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બિલ માટે વધુ બોલવા કરતા વધુ સાંભળવા આવ્યો છું, વિપક્ષ કે સત્તા પક્ષનું સૂચન આવશે તો ખુલ્લા મને વિચારી આગળ વધીશું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ શાંતિ છતા આદર્શ જીવનનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ધંધા અને સ્ટાર્ટઅપમાં સૌથી વધુ રોજગારી ગુજરાત પૂરી પાડે છે. યુવા દેવો ભવ અને શક્તિ દેવો ભવ ગુજરાતમાં માત્ર સૂત્ર નથી, 2002થી રોજગાર કચેરી દ્વારા રોજગાર પૂરૂ પાડવામાં ગુજરાત અગ્રેસર છે.
કડક કાયદો બનાવવા જઈ રહી છે સરકાર
ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું ગત 16 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. જાહેર પરીક્ષા અધિનિયમ બિલની કોપી ધારાસભ્યોને આપવામાં આવી હતી. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રાખવા જોગવાઈ છે.
10 વર્ષની સજાની જોગવાઈ
વિધેયકમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે.
1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!
પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં.
પ્રજાનાં હિતના બિલને ભૂતકાળમા પણ ટેકો આપ્યો છે આજે પણ આપીશુંઃશૈલેષ પરમાર
ગુજરાત કોંગ્રેસે પરીક્ષા વિધેયક બિલને આવકાર્યું છે. શૈલેષ પરમારે ગુજરાત જાહેર વિધેયકને આવકારતા કર્યું કે હું અને કોંગ્રેસ પાર્ટી હર્ષ સાથે બિલને આવકારીએ છીએ. યુવાનોનાં ભાવિ સાથે ચેડા કરનાર લોકોને સાંખી લેવામાં નહી આવે. પરીક્ષા વિધેયકને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રજા હિતના બિલને કોંગ્રેસે ભૂતકાળમાં ટેકો આપ્યો છે આજે પણ આપીશું.
વિધેયકની મુખ્ય જોગવાઈ
- પેપરલીક કરનારને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ
- ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ 10 વર્ષની સજા
- દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ થઈ શકશે
- પરીક્ષાનો ખર્ચ ભરપાઈ કરવા દોષિતની મિલકત ટાંચમાં લેવાશે
- આરોપી હશે તેની સામે બિનજામીનપાત્ર ગુનો
- PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ
- પરીક્ષામાં ગેરરીતિ આચરનારને 3 વર્ષ સુધીની જેલ
- ગેરરીતિ આચરનારને 1 લાખ સુધીનો દંડ
- 2 વર્ષ સુધી પરીક્ષાર્થી પરીક્ષા નહીં આપી શકે
- પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા
- ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો 5 થી 10 વર્ષની સજા
- અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું પણ ગુનો ગણાશે
વિધેયક પસાર થાય તે પહેલા જ બદલાવ કરાયો
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક બિલ વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે વિધેયક પસાર થાય તે પહેલા જ બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં બિલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીનો પણ હવે વિધેયકમાં સમાવેશ કરાશે નહી. ત્યારે ગેરરીતીના કેસમાં બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય આખરી રહેશે. ત્યારે બોર્ડ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ કાયદા અંતર્ગત નહી આવે.
પેપરલીક સામે કડક કાયદો અનિવાર્ય કેમ?
- ગુજરાતમાં સરકારી ભરતી માટેની પરીક્ષાના પેપર અનેકવાર ફૂટ્યા
- ઉમેદવારના ભાવિ સામે પ્રશ્ન ઉભા થયા
- 2023માં પણ પેપર ફૂટવાનો સિલસિલો યથાવત છે
- તાજેતરમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું
- ઉમેદવારોએ ઠેર-ઠેર વિરોધ કર્યો હતો
- અગાઉ પણ અનેક પેપર ફૂટ્યાની ઘટનાઓ બની