બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ફરી વાઈરલ તાવનો કહેર, હોસ્પિટલોની ઓપીડી હાઉસફુલ, 70 ટકાથી વધુ દર્દીઓ ડેન્ગ્યુથી પીડિત
Last Updated: 03:05 PM, 19 August 2026
શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે વાઈરલ તાવ અને પાણીજન્ય બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરની વિવિધ હોસ્પિટલ અને ક્લિનિકના ઓપીડી વિભાગોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તબીબોના જણાવ્યા મુજબ હાલ નોંધાતા કુલ કેસમાંથી 70 ટકાથી વધુ કેસ વાઈરલ ફીવર, ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ (ગેસ્ટ્રો), ઝાડા-ઊલટી, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો સાથે સંકળાયેલા છે.
ADVERTISEMENT

તબીબોના મતે ચોમાસામાં આવા કેસ સામાન્ય હોય છે, પરંતુ હાલ સતત વધી રહેલા દર્દીઓ ચિંતાનો વિષય છે. ખાસ કરીને વાઈરલ તાવ સાથે શરીરમાં દુખાવો, નબળાઈ અને થાકની ફરિયાદો વધુ જોવા મળી રહી છે. જીવરાજ મહેતા હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડો. હિતેશ પટેલે જણાવ્યું છે કે ઓપીડીમાં આવતા ૭૦ ટકાથી વધુ દર્દીઓ વાઈરલ ફીવરથી પીડાઈ રહ્યા છે, સાથે જ ઝાડા-ઊલટી, પેટમાં દુખાવો અને ડિહાઇડ્રેશનની ફરિયાદો પણ જોવા મળી રહી છે. મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુના કેટલાક કેસ પણ સામે આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ભારે વરસાદ, પાણી ભરાવાની સ્થિતિ અને પીવાના પાણીમાં સંભવિત દૂષણના કારણે ચેપ ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાય છે.
ADVERTISEMENT
ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિયેશન્સ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વચ્છરાજાનીએ જણાવ્યું કે અનિયમિત ચોમાસું અને વારંવાર બદલાતું હવામાન વાઈરલ તાવના વધતા કેસો પાછળનું એક કારણ છે. હાલ વાઈરલ ફીવર પાંચથી સાત દિવસ સુધી રહેતાે જોવા મળે છે, જ્યારે અગાઉ દર્દીઓ બે-ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ જતા હતા. ઘણા દર્દીઓમાં તાવ ઊતર્યા બાદ પણ વધુ નબળાઈ અને થાકની સમસ્યા જોવા મળી રહી છે. જો તાવ કે અન્ય તકલીફ ૨૪ કલાકથી વધુ સમય સુધી રહે તો તબીબની સલાહ લેવી જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પ્લોટ વિહોણાઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, જાણો વિગત
ADVERTISEMENT
ચોમાસું હજુ ચાલુ હોવાથી આરોગ્ય નિષ્ણાતોએ પીવાનું શુદ્ધ પાણી, ખોરાકની સ્વચ્છતા, ખુલ્લામાં વેચાતો ખોરાક ટાળવા અને ઘરની આસપાસ ભરાયેલું પાણી દૂર કરવાની સલાહ આપી છે. એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ અમદાવાદ (એપીએ)ના પ્રમુખ ડો. નેહલ સાધુએ જણાવ્યું કે આ ઋતુમાં વડીલો અને અગાઉની પેઢીઓની જેમ સિઝનલ ખોરાક લેવાની ટેવ સારી છે. તાજો રાંધેલો ખોરાક, ગરમ પાણી અને હળવી કસરત ઝડપથી સાજા થવામાં મદદરૂપ બને છે. તેમણે ખાસ કરીને મોર્નિંગ વોક માટે જતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે, કારણ કે ડેન્ગ્યુ ફેલાવનારા મચ્છરો સવારના સમયે વધુ સક્રિય હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.