મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રિલીફરોડ પર આવેલા તંત્રની માલિકીના પાંચ માળ ઊંચા યુસીડી ભવનને તોડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. તંત્રનો યુસીડી વિભાગ વર્ષો પહેલાં આ ભવનમાં કાર્યરત હતો, જેનું સંચાલન હવે બહેરામપુરાથી થઇ રહ્યું છે.
તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જર્જિરત યુસીડી ભવનનો મામલો ચર્ચાયો હતો. યુસીડી ભવન દાયકાઓ જૂનું હોઇ ભયજનક હાલતમાં છે અને તે રિલીફરોડના ટ્રાફિકની અવરજવર માટે જોખમરૂપ બન્યું છે તેવી દલીલ સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક સભ્યોએ કરી હતી, જોકે મ્યુનિસિપલ ભાજપના એક ટોચના હોદ્દેદારે યુસીડી ભવન તોડી તેને નવેસરથી ઊભું કરવાની કવાયતથી કોઇક લાગતા-વળગતાને લાભ તો પહોંચાડાઇ નથી રહ્યો ને તેવી વળતી દલીલ કરતાં સમગ્ર કોકડું ગૂંચવાયું હતું. આ હોદ્દેદારે તો યુસીડી ભવનની મુલાકાત લઇ તેને તોડી પાડવાનો નિર્ણય લેવા પર ભાર મૂક્યો હતો.
દરમિયાન મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અનેક માથાકૂટ બાદ યુસીડી ભવનને છેવટે ભયજનક બિલ્ડિંગ જાહેર કરાયું છે. જીપીએમસી એક્ટની કલમ -ર૬૪ હેઠળ યુસીડી ભવનને ભયજનક જાહેર કરાયું હોઇ સાત દિવસમાં ખાલી કરવાની અંતિમ ચેતવણી આ ભવનમાં દુકાન-ઓફિસ ધરાવતા ધંધાર્થીઓને અપાઇ હતી. હવે સાત દિવસની આ મુદત પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા તોડી પાડવાની કવાયત હાથ ધરાઇ છે.
જાણકાર સૂત્રો કહે છે, ભોંયતળિયું અને પાંચ માળની આ બિલ્ડિંગમાં નીચેના ભાગે દુકાન અને ઓફિસ છે, જ્યારે ચોથા અને પાંચમા માળે અગાઉ અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (યુસીડી) વિભાગની ઓફિસ કાર્યરત હતી. તેની નીચેના માળમાં આઇસીડીએસ વિભાગની ઓફિસ ધમધમતી હતી, જોકે તંત્ર દ્વારા યુસીડી વિભાગની ઓફિસ પહેલાં પાલડી ગામમાં આવેલી એલિસબ્રિજ મ્યુનિસિપલ શાળા નં. રરમાં ખસેડાઇ હતી અને હાલમાં બહેરામપુરામાં પરિક્ષીતલાલનગર રોડ પર કાર્યરત છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં સમગ્ર બિિલ્ડંગ તોડી પાડવા માટે શોર્ટ ટેન્ડર પ્રસિદ્ધ કરી તેનો કોન્ટ્રાક્ટ અપાશે અને બે મહિનામાં તેને તોડી પડાશે.