ભારત સરકારે જમ્મુ કાશ્મીરને લઈને 370 કલમ દૂર કરવાના ઐતિહાસીક નિર્ણયને લઈને દેશભરમા જશ્નનો માહોલ છે. દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર સરકારના આ નિર્ણયને લોકો બીરદાવીને ઉજવણીઓ કરી રહ્યાં છે.
કશ્મીરી પંડિતોમાં ખુશીનો માહોલ
જમ્મુ-કાશ્મીરમાં પંડિતોમાં એક ઐતિહાસિક તહેવાર જેવો માહોલ જોવા મળી મળ્યો છે. જમ્મુ-કાશ્મીરના કશ્મીરી પંડિતોએ વસ્ત્રાપુર તળાવ ખાતે કેન્દ્ર સરકારના નિર્ણયની ઉજવણી કરી છે. 30 વર્ષ પહેલા આ પંડિતો તેમના ઘર, ખેતી છોડીને અમદાવાદ આવ્યા હતાં. આંખોથી જોયેલા આતંકવાદના દ્રશ્યો તેમને હજુ પણ યાદ છે. ત્યારે આ નિર્ણયથી કશ્મીરી પંડિતોઓ ખુબ ખુશ જોવા મળ્યા છે. આતંકીઓ ત્યાં કશ્મીરી પંડિતોના ઘર સળગાવી નાખ્યા હતાં.
પ્રભાતચોકમાં ફટાકડા ફોડી મીઠાઇ વહેચી
અમદાવાદના પ્રભાતચોકમાં ઉજવણી કરવામાં આવી છે. ભારતના ઝંડા લહેરાવ્યા હતાં. તેમજ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતાં. તેમજ ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી હતી.
રીલીફ રોડ પર જશ્નનો માહોલ
શહેરના રીલીફ રોડ પર આવેલી ઈલેકટ્રોનીક વસ્તુઓના વેપારીઓએ તો ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને સેલિબ્રેશન કર્યુ હતું. રસ્તાઓમાં વાહન ચાલકોને મીઠાઈ ખવડાવીને આઝાદીના પર્વની જેમ જશ્ન મનાવ્યો હતો.
ટ્રાવેલ્સ એજન્સીના માલિકોમાં આનંદ
જમ્મૂ કશ્મીર મુદ્દે મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણયને આજે ટ્રાવેલ્સ એજન્સીના માલિકોએ બિરદાવ્યો છે. મોદી સરકારના નિર્ણયને લઈને એજન્સીના માલિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માલીકોએ ફટાકડા ફોડીને આ નિર્ણયને વધાવ્યો છે. સાથે જ એમને એ પણ જણાવ્યું કે ટુરિસ્ટો હવે સલામતીથી કાશ્મીરની યાત્રા કરશે.
મણિનગરમાં ધ્વજ ફરકાવી લોકોએ નારા લગાવ્યાં
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં PM નરેન્દ્ર મોદીના આ નિર્ણયને વધાવ્યો છે. મણિનગરમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી અને ભારત માતા કી જયના નારા લગાવીને નિર્ણયનો વધાવ્યો છે.
અમદાવાદમાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ છે. જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવાતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તેના ભાગરૂપે પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરિયાપુર, શાહપુર, કાલુપુર સહિતના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ઝોન-4 DCP, ACP, સહિત પોલીસ જવાનો આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાય છે.