બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખોખરામાં પ્રેમ સંબંધનો લોહિયાળ અંત! યુવકની છાતીમાં ખૂંચી રહી છરી, આરોપી ફરાર
Last Updated: 09:19 PM, 11 July 2026
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં પ્રેમપ્રકરણની જૂની અદાવત રાખીને બે શખ્સો દ્વારા એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે છરી સીધી યુવકની છાતીના ભાગે આરપાર ફસાઈ ગઈ હતી અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવક છાતીમાં ફસાયેલી છરી સાથે જ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, મૂળ ગોમતીપુર વિસ્તારના સલાડ નગરમાં રહેતો ગણેશ દંતાણી નામનો યુવક આશરે 6 મહિના પહેલાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી તેના જ સમાજની એક યુવતીને પ્રેમપ્રકરણમાં લઈને ભાગી ગયો હતો. જોકે, પાછળથી સમાજના આગેવાનોની મધ્યસ્થતાથી બંને પરિવારો વચ્ચે અંદરોઅંદર સમાધાન થઈ ગયું હતું અને યુવતીને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી હતી. આ વિવાદ બાદ ગણેશનો પરિવાર ગોમતીપુરનું મકાન ખાલી કરીને વાસણા વિસ્તારમાં રહેવા જતો રહ્યો હતો.

ADVERTISEMENT
ગઈકાલે 10 જુલાઈના રોજ અમરાઈવાડી વિસ્તારમાં ગણેશના કોઈ સંબંધી સાથે ઝઘડો થયો હોવાની માહિતી મળતા ગણેશ અને તેનો પરિવાર ત્યાં ગયો હતો. રાત્રિના સમયે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે અમરાઈવાડી જોગણી માતાના મંદિર પાસે ઉભેલા ગણેશને જોઈને યુવતીના કાકાનો દીકરો કમલેશ દંતાણી ત્યાં આવી પહોંચ્યો હતો. કમલેશે "તમે લોકો અહીંયા કેમ આવ્યા છો?" તેમ કહીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ત્યાં મામલો બિચકતાં ગણેશની માતા તેને રિક્ષામાં બેસાડીને ખોખરા એસીપી (ACP) ઓફિસની બહાર આવેલા હનુમાનજી મંદિર પાસે લઈ આવી હતી. જ્યાં પરિવારજનો રિક્ષા ઉભી રાખીને વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન જ કમલેશ દંતાણી અને તેનો મિત્ર જતીન પટણી બાઇક પર ત્યાં ધસી આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદ રથયાત્રામાં AIનો થશે ઉપયોગ, હજારો પોલીસ જવાનોને સેકન્ડોમાં મળશે માહિતી
ADVERTISEMENT
બંને હુમલાખોરોએ રિક્ષા પાસે આવીને ગણેશને ગમે તેમ ગાળો ભાંડી ગડદાપાટુનો નિર્મયી માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કમલેશે ગણેશને જાનથી મારી નાખવાના ઈરાદે કમરમાંથી તીક્ષ્ણ છરી કાઢીને સીધી ગણેશની છાતીમાં હુલાવી દીધી હતી. વાર એટલો જોરદાર હતો કે છરી ગણેશની છાતીના હાડકામાં ફસાઈ ગઈ હતી. ગણેશ લોહીલુહાણ થઈને ઢળી પડતાં જ કમલેશ અને જતીન ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ગણેશને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે છાતીમાં ફસાયેલી છરી સાથે જ હોસ્પિટલ ખસેડાયો હતો. ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા બંને નરાધમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.