અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુના રપ૦૦થી વધુ કેસ ઓગસ્ટ મહિનામાં નોંધાયા છે. ડેન્ગ્યુથી બેનાં મોત થયાં છે આ ઉપરાંત દૂષિત પાણીથી ઝાડા, ઊલટી, કમળો, ટાઇફોઇડ, કોલેરાના કેસમાં પણ ભારે વધારો થયો છે.
શહેરના પાલડી જેવા પોશ વિસ્તારમાં પણ ડેન્ગ્યુ, મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળ્યો હોઇ તંત્રમાં દોડધામ મચી છે. દરમ્યાન શહેરમાં વકરતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કારણે તંત્ર દ્વારા ર૦ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવાની દિશામાં હિલચાલ આરંભાઇ છે. આ તમામ મેડિકલ કેમ્પ સ્લમ અને ગરીબ વિસ્તારમાં થશે.
તાજેતરમાં મળેલી હેલ્થ અને સોલિડવેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં શહેરના અલગ અલગ સ્લમ અને ગરીબ વિસ્તારમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવાની દરખાસ્તને મંજૂરી અપાઇ હતી. આ દરખાસ્ત મુજબ શહેરમાં આગામી ૧૦ સપ્ટેમ્બરથી વિવિધ તારીખોમાં કુલ ર૦ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કરાશે. પ્રત્યેક કેમ્પ દીઠ રૂ.૧.પ લાખ ખર્ચાશે એટલે કે કુલ રૂ.૩૦ લાખની મર્યાદામાં આ તમામ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાશે. ત્યારબાદ વધારાના કેમ્પનું આયોજન કરવાની પણ તૈયારી તંત્ર દ્વારા દાખવાઇ છે.
જાણકાર સૂત્રો કહે છે ડેન્ગ્યુથી ખોખરામાં આવેલી એક ૧૧વર્ષની કિશોરીનું ખાનગી હોસ્પિટલમાં અને બહેરામપુરાના સેજલનગરની ૧૩ વર્ષની કિશોરીનું એલજી હોસ્પિટલમાં મોત થયું છે. મેલેરિયાથી પણ ગયા અઠવાડિયામાં એક દર્દીનું મોત થયું હતું. શહેરમાં ઓગસ્ટ મહિનામાં મેલેરિયાનાં તાવનાં લક્ષણ ધરાવતા ૧.૪૦ લાખ દર્દીના લોહીના નમૂના ચકાસણી માટે લેવાયા હતા. જ્યારે ડેન્ગ્યુના ર૩પ૩ દર્દીના સિરમના નમૂના ચકાસણી માટે લેવાયા હતા આમ કુલ ૧.૪૩ લાખ તાવના દર્દીઓ તંત્રના ચોપડે સત્તાવાર નોંધાયા હોઇ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગમાં ગભરાટ ફેલાયો છે.
આ ઉપરાંત દૂષિત પાણીથી ઝાડા, ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ પણ વધ્યા છે. ઓગસ્ટ મહિનામાં ઝાડા ઊલટીના પ૪૩, કમળાના ૩પ૩, ટાઇફોઇડના ૬૦૦ અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો. ટાઇફોડમાં ર૦૧૮ના ઓગસ્ટમાં પરપ કેસ હતા જે આ વર્ષે વધીને ૬૦૦ થયા હતા. દરમ્યાન મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા તાત્કાલીક ર૦ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હોઇ આ માટેના જે તે વોર્ડ કે સ્થળની પસંદગી એક બે દિવસમાં થઇ જશે.