બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રિયલ એસ્ટેટ કૌભાંડ પર EDની મોટી કાર્યવાહી, ₹129.80 કરોડની મિલકતો જપ્ત
Last Updated: 07:57 AM, 18 August 2026
અમદાવાદમાં નિર્દોષ ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો અને મધ્યમવર્ગીય પરિવારો સાથે રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે કડક કાર્યવાહી હાથ ધરી છે. EDએ રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રૂપ તેમજ અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) હેઠળ કાર્યવાહી કરીને કુલ ₹129.80 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત (Attach) કરી છે. આ કાર્યવાહીથી રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો સંદેશ ગયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સમગ્ર કેસમાં અમદાવાદના DCB ક્રાઈમ, સેટેલાઇટ, નવરંગપુરા અને બોપલ પોલીસ મથકમાં નોંધાયેલી કુલ પાંચ FIRના આધારે EDએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS)ની વિવિધ કલમો હેઠળ અગાઉથી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ FIR અને પુરાવાઓના આધારે EDએ મની લોન્ડરિંગની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
EDની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ સામાન્ય ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો, વેપારીઓ અને મધ્યમવર્ગીય પરિવારોને નિશાન બનાવી મોટા પાયે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ પોતાની રિયલ એસ્ટેટ યોજનાઓને અધિકૃત પ્રોજેક્ટ તરીકે રજૂ કરી આકર્ષક ‘પ્રી-લોન્ચ’ ભાવે ફ્લેટ અને દુકાનો ઓફર કરી હતી. આ ઉપરાંત રોકાણકારોને 54 ટકા થી 100 ટકા સુધીના ઊંચા ફિક્સ્ડ રિટર્નનું વચન આપીને રોકાણ કરવા પ્રેર્યા હતા.
ADVERTISEMENT
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ પ્રોજેક્ટ્સનું માર્કેટિંગ N.A. (બિન-ખેતી) પરવાનગી અને RERA રજિસ્ટ્રેશન જેવી ફરજિયાત કાયદાકીય મંજૂરીઓ વિના જ કરવામાં આવ્યું હતું. જેના કારણે ખરીદદારો અને રોકાણકારો ભ્રમમાં આવી ગયા હતા. 'છારોડી' સ્કીમમાં અંદાજે 250 જેટલા અને 'અક્ષર અનંત' સ્કીમમાં 44થી વધુ ખરીદદારો તથા રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, ન તો તેમને ફ્લેટ કે દુકાનોનો કબજો આપવામાં આવ્યો અને ન તો તેમની પાસેથી લેવાયેલા નાણાં પરત કરવામાં આવ્યા.
ADVERTISEMENT
તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો
EDની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. આરોપીઓએ ખોટા વાયદાઓ કરીને રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કર્યા બાદ તે ભંડોળનો અન્યત્ર ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ મિલકતોને છુપાવવા માટે સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. છારોડી પ્રોજેક્ટમાં RERA અને N.A.ની પ્રક્રિયા ચાલુ હોવાનું કહીને બાદમાં તે જમીન કેવલ મહેન્દ્રભાઈ પટેલ, આશિષ વિષ્ણુભાઈ પટેલ અને અન્યના નામે તબદીલ કરવામાં આવી હતી. તે જ રીતે શેલા વિસ્તારમાં આવેલા ‘અક્ષર અનંત’ પ્રોજેક્ટમાં MoU દર્શાવીને આખો પ્રોજેક્ટ બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ તે જમીન પુરવ રમેશચંદ્ર પટેલ, દીપરાજવીરસિંહ વિક્રમસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ પ્રદ્યુમનસિંહ ચુડાસમા તથા અન્ય લોકોના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. EDના જણાવ્યા અનુસાર આરોપીઓએ કોઈપણ વાસ્તવિક ચૂકવણી કર્યા વિના માત્ર બનાવટી વેચાણ દસ્તાવેજો (Dummy Sale Deeds) તૈયાર કર્યા હતા અને કાલ્પનિક વિગતો દાખલ કરીને સમગ્ર વ્યવહાર કાયદેસર હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. EDની આ કાર્યવાહી બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નિયમોનું પાલન અને રોકાણકારોના હિતોની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.