બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ સહિત 12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં પાંચ સિસ્ટમ સક્રિય
6 ફોટો ગેલેરી
Last Updated: 06:43 AM, 18 August 2026
1/6
ગુજરાતમાં 17થી 23 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલમાં કુલ પાંચ હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ રહેવાનો અંદાજ છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિત કુલ પાંચ હવામાન સિસ્ટમ સક્રિય છે. આ તમામ સિસ્ટમની અસરને કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.
3/6
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવાણ અને નવસારીના ખેરગામમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ સુરતના બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
4/6
સિઝનના કુલ વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાત પ્રદેશમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતાં 25 ટકા ઓછો વરસાદ થયો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય 505.7 મિમી સામે કુલ 506.5 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
5/6
હવામાન વિભાગે આજે સાંજે 4 વાગ્યા સુધી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદર હવેલીમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
6/6
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ હવામાન વિભાગે મહત્વની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ઝડપ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સમયે પવનના ઝાટકા 30 નોટ્સ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં જવા પર જોખમ વધી શકે હોવાથી તમામ માછીમારોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ