મૃતકને નામે રેશન અને પેન્શન લેવાનું પરિવારનું કામ હવે બંધ થઈ જશે કારણ કે આધાર ઓથોરિટી મૃતકના આધાર ઓટોમેટિક બંધ કરી નાખવાની યોજના બનાવી રહ્યું છે.
પરિવાર મૃતકને નામે નહીં લઈ શકે રેશન અને પેન્શન
આધાર ઓથોરીટી શરુ કરી છે નવી સિસ્ટમ
ડેથ સર્ટિફિકેટ જાહેર થતા જ આધાર કાર્ડ બની જશે ડિએક્ટીવેટ
દેશમાં આવા અનેક કિસ્સા બન્યા છે જેમાં વ્યક્તિના મૃત્યુ બાદ પણ પરિવાર રાશન અને પેન્શન સહિતની અન્ય સુવિધાઓ તેના નામે લેવાનું ચાલુ રાખે છે. પરંતુ હવે આવું નહીં થાય. આધાર આપનાર એજન્સી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) અને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા એક સિસ્ટમ બનાવી રહ્યાં છે જે હેઠળ ડેથ સર્ટિફિકેટ જાહેર થતા જ આધાર કાર્ડ નિષ્ક્રીય બની જશે અને આ રીતે પરિવાર મૃતકને નામે લાભ નહીં લઈ શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યવસ્થા હેઠળ સંબંધિત એજન્સી દ્વારા ડેથ સર્ટિફિકેટ આપવામાં આવે કે તરત જ તેની માહિતી મૃતકના પરિવારને મોકલવામાં આવશે અને તેમની સંમતિ બાદ નંબર ડિએક્ટિવેટ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મિકેનિઝમને લાગુ કરવા માટે રાજ્ય સરકારો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. ડેથ સર્ટિફિકેટ બનાવવા માટે પરિવારના સભ્યોએ મૃતકનો આધાર નંબર આપવો પડશે.
જન્મ પ્રમાણપત્ર આપતી વખતે આધાર ફાળવવાની યોજના
UIDAIએ જન્મ પ્રમાણપત્ર આપતી વખતે આધાર ફાળવવાની યોજના શરૂ કરી છે. અત્યાર સુધીમાં 20 રાજ્યોએ આ સિસ્ટમ લાગુ કરી છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ આ યોજના શરૂ કરે તેવી શક્યતા છે. આ સુવિધાઓ બેઝ 2.0નો ભાગ છે. આધાર 2.0 હેઠળ સરકાર પોતાની વિશ્વસનીયતા વધારવાની સાથે નવા ફીચર્સ લાવી રહી છે.
10 વર્ષ જુના આધાર અપડેટ કરાવવા પડશે
UIDAIએ મહત્વાકાંક્ષી અપડેશન કવાયત શરૂ કરી છે. જે લોકોને 10 વર્ષ પહેલા આધાર કાર્ડ આપવામાં આવ્યા છે તેમને પોતાના રેકોર્ડ અપડેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ચોક્કસ ડેટા હજી સુધી ઉપલબ્ધ નથી, પરંતુ એક અંદાજ મુજબ, ત્રણ કરોડથી વધુ લોકોએ તેમના આધારને અપડેટ કર્યું છે. આધારના ઉપયોગનો વ્યાપ વધી રહ્યો છે. તેનો ઉપયોગ હેલ્થ રેકોર્ડ, ઇન્કમ ટેક્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કરવામાં આવી રહ્યો છે. સરકાર એક એવી સિસ્ટમ બનાવવા માંગે છે જેમાં આધારની વિગતોમાં ફેરફાર સાથે આખો રેકોર્ડ આપમેળે અપડેટ થઈ જાય. પ્રથમ તબક્કામાં, આવા લોકોને શામેલ કરી શકાય છે જેઓ તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવા માટે ડિજિલોકરનો ઉપયોગ કરી રહ્યા છે.