ગુજરાત કેડરના 1988 બેચના IAS અધિકારી એ કે શર્માને છેલ્લે ગત એપ્રિલમાં ભારત સરકારમાં માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) ના સચિવ તરીકે મુકવામાં આવ્યા હતા.
IAS અધિકારી એ.કે. શર્મના તેમના નિયમિત રિટાયરમેન્ટના લગભગ 18 મહિના પહેલા જ સેવામાંથી અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતથી તેમની આગામી સમયની પ્રવૃત્તિઓ અંગે ઘણી અટકળો ઉભી થઇ છે. ગુજરાત કેડરના 1988 બેચના IAS અધિકારી એ કે શર્માને છેલ્લે ગત એપ્રિલમાં ભારત સરકારમાં માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) ના સચિવ તરીકે મુકવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદી સાથે 2014માં PMOમાં જોડાયા હતા
ઠીકઠાક મહત્વ ધરાવતા આ મંત્રાલયમાં સચિવ તરીકેની ફરજ પહેલા શર્મા PMOમાં એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હાઈ પ્રોફાઇલ અધિકારી હતા, તેઓ નરેન્દ્ર મોદી સાથે 2014માં PMOમાં જોડાયા હતા.
મોદી સાથે સૌથી લાંબો સમય કામ કરી ચૂકેલા અધિકારી ગણાય છે
શર્મા PM મોદી સાથે સૌથી લાંબો સમય કામ કરી ચૂકેલા અધિકારી ગણાય છે. તેમણે 2001માં મોદી ગુજરાતના CM બન્યા ત્યારથી શરુ કરીને એપ્રિલ 2020માં તેમની દિલ્હી PMOમાંથી બદલી થઇ ત્યાં સુધી મોદી સાથે કામ કર્યું છે. એકંદરે, શર્માએ ગુજરાત અને દિલ્હીમાં સાથે મળીને લગભગ 19 વર્ષ સુધી સીધા નરેન્દ્ર મોદી હેઠળ કામ કર્યું છે.
તેમનું પોસ્ટિંગ PMOની બહાર કેન્દ્ર સરકારના ઠીક ઠાક ગણાતા MSME મંત્રાલયમાં થવાને કારણે આ પાછળ શું કારણ હોઈ શકે તે મુદ્દે ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
તેમના પોસ્ટિંગના આઠ મહિનાથી ઓછા સમયમાં શર્માએ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેવાનો નિર્ણય કર્યો અને તે માટેની તેમની અરજીઉ પર પ્રક્રિયા કરવામાં આવી અને એક અઠવાડિયામાં તેને સ્વીકારવામાં આવી. આ કારણે આ ચર્ચાઓએ વધુ વેગ પકડ્યો કે આખરે A K શર્માની નિવૃત્તિ પછીની કારકિર્દી શું હોઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં વિધાનપરિષદના સભ્ય તરીકે શામેલ કરવામાં આવી શકે તેવી શક્યતા
સોશિયલ મીડિયા, મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રો અનુસાર શર્માને નજીકના ભવિષ્યમાં મહત્વની રાજકીય પોઝિશન મળે તેવી સંભાવના છે. મીડિયાના એક અહેવાલે એવું અનુમાન પણ લગાવ્યું છે કે તેમને તેમના વતન ઉત્તર પ્રદેશમાં વિધાનપરિષદના સભ્ય તરીકે શામેલ કરવામાં આવી શકે છે અને તેમને ત્યાંના રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટમાં મંત્રીની ભૂમિકા મળી શકે છે.
ગવર્નર કે લેફ્ટનન્ટ ગવર્નરનું પદ મળી શકે
તેમના વિશે બીજી અટકળ એ છે કે તેમને કોઈ રાજ્યનો કારોભાર સોંપાઈ શકે છે કારણ કે કેન્દ્ર દ્વારા આગામી સપ્તાહ સુધીમાં કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવે તેવી સંભાવના છે.
જો કે કેન્દ્ર સરકારના સૂત્રો પ્રમાણે શર્માને 'સેમી પોલિટિકલ પદ' મળે તેવી સંભાવના છે. દેશના કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ હોય છે.
દિલ્હી અથવા પોંડિચેરીમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સાંભળી શકે
તેઓ પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળે તેવી શક્યતા વધુ છે જ્યાં હાલના કિરણ બેદીનો કાર્યકાળ લગભગ સમાપ્ત થઈ ગયો છે. આ ઉપરાંત દિલ્હીમાં ડિસેમ્બર 2016માં નિમણૂક કરાયેલા વર્તમાન અનિલ બૈજલની બદલી કરવામાં આવે તેવી સંભાવના છે જેની બદલે A K શર્માને સ્થાન મળી શકે છે.
આગામી થોડા દિવસોમાં સ્પષ્ટ થઇ જશે કે શર્મા તેમની નિવૃત્તિ પછીની કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરશે. પરંતુ તે લગભગ નિશ્ચિત છે કે તેઓ એક નહીં તો બીજી રીતે રાજકારણમાં રહેશે.