અયોધ્યા રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. હવે આ ચુકાદા બાદ અયોધ્યામાં યાત્રીઓની સંખ્યા વધવાની સો ટકા શક્યતાઓ છે. થોડા મહિનાઓમાં ભવ્ય રામ મંદિર બનશે અને ત્યારબાદ રામમંદિના દર્શને જનારાઓની સંખ્યા વધશે તેમા શંકાને કોઈ સ્થાન નથી. જો તમે પણ અયોધ્યા જવાનો પ્લાન કરી રહ્યા હો તો તેની આસપાસના ખાસ સ્થાનોની માહિતી પણ લેતા જજો અને આ સ્થાનોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.
હનુમાન ગઢી
અયોધ્યામાં ઘણાં ભવ્ય ધાર્મિક સ્થાનો છે. તેમાં હનુમાન ગઢી સૌથી મહત્વનું છે. હનુમાનજીને સમર્પિત આ મંદિરનું નિર્માણ 10મી સદીમાં થયું હતું. પહાડ પર આવેલા આ મંદિર સુધી જવા માટે તમારે 76 સીડીઓ ચઢવી પડશે, પરંતુ અહીં આવીને તમને અદભુત આસ્થાનો અનુભવ થશે. ભગવાન રામની પૂજા, ભક્તિ અને કથા હનુમાનજી વગર એમ પણ અધૂરી છે. આ એ સ્થળ છે જ્યાં હનુમાનજીને બિરાજવાનો આદેશ સ્વયં રામે આપ્યો હતો. એવું કહેવાય છે કે આજે પણ હનુમાનજી અહીં બિરાજી રામના આદેશનું પાલન કરે છે.
કનક ભવન
કનક ભવન ગોલ્ડન હોમના નામે પણ જાણીતું છે. અહીં ભગવાન રામ અને સીતાની સોનાના મુગટવાળી મૂર્તિઓ છે. આ ખૂબ જ ભવ્ય અને સુંદર મહેલ છે. એવુ માનવામાં આવે છે કે વિવાહ બાદ કૌશલ્યા માતાએ સીતાજીને આ મહેલ મુંહદિખાઇની રસ્મ માટે આપ્યો હતો.
રામ કી પૈડી
અયોધ્યામાં સરયુ નદીનું એટલું જ મહત્ત્વ છે જેટલું હરદ્વારમાં ગંગા નદીનું. સરયુ એ નદી છે જેમાં શ્રીરામ પત્ની અને ભાઇઓ સાથે જળમગ્ન થઇને સદેહે વૈકુંઠ ચાલ્યા ગયા હતા. આ નદી પર રામકી પૈડીનું નિર્માણ કરાયુ છે. અહીં બ્રહ્મમુહુર્તમાં સ્નાન કરવાનું ખુબ પવિત્ર માનવામાં આવે છે. તેમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઇ જતા હોવાનું શ્રધ્ધાળુઓ માને છે.
દશરથ મહેલ
શહેરની વચ્ચે આવેલો દશરથમહેલ એ જગ્યા છે જેના વિશે કહેવાય છે કે ભગવાન રામના પિતા અને અયોધ્યાના રાજા દશરથનું આ નિવાસસ્થાન હતુ. આ એક ભવ્ય મહેલ છે જેને આજે પણ સારી રીતે સજાવાયો છે.
સીતા રસોઇ
સીતા રસોઇ કોઇ રસોડું નહી, પરંતુ એક મંદિર છે. એવું કહેવાય છે કે માતા સીતાની રસોઇ અહીં થતી હતી. મંદિરના એક ખુણામાં જુના રસોડાનું એક મોડલ છે. અહીં પ્રાચીન વાસણો મુકવામાં આવ્યા છે. અહીં માતા સીતાની સાથે તેમની દેરાણી ઉર્મિલા, માંડવી અને સુકીર્તિ ઉપરાંત ભગવાન રામ અને તેમના બધા ભાઇઓની પ્રતિમાઓ પણ છે.
સુઘ્રીવ કિલ્લો
માન્યતાઓ અનુસાર ત્રેતાયુગમાં બનેલો સુગ્રીવ કિલ્લો અયોધ્યાનું ઐતિહાસિક મંદિર છે, તેના દર્શન કરવાથી બધા શત્રુ સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે લંકા વિજય બાદ ભગવાન રામ સુગ્રીવ સાથે અયોધ્યા આવ્યા ત્યારે તેમણે સુગ્રીવને રહેવા માટે મુક્તા અને વૈદુર્ય મણિઓથી યુક્ત દિવ્ય મહેલ આપ્યો હતો જે સુગ્રીવ કિલ્લાના નામે જાણીતો છે. આજે પણ આ કિલ્લો પોતાની આધ્યાત્મિકતા માટે પ્રસિધ્ધ છે.
નાગેશ્વરનાથ મંદિર
એવું માનવામાં આવે છે કે અયોધ્યામાં નાગેશ્વરનાથનું મંદિર છે. નાગકન્યા પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટે અને તેમના સન્માનમાં શ્રીરામના પુત્ર કુશે આ મંદિર બનાવ્યુ હતુ. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીં શિવરાત્રિ કે અન્ય કોઇ શિવ પુજા સમયે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે.
તુલસી સ્મારક ભવન
તુલસી સ્મારક ભવન ગોસ્વામી તુલસીદાસજીની સ્મૃતિમાં બનાવાયુ હતુ. રામચરિત માનસની રચના કરવા માટે તેમને યાદ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તેમણે હનુમાનચાલીસાની રચના કરી હતી.
કાલારામ મંદિર
અયોધ્યામાં આવેલું આ એ સ્થળ છે જ્યાં શ્રીરામે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મુર્તિ કાળી રેતીથી બનેલી છે તેથી તેને કાલારામ મંદિર કહેવાય છે. આ મંદિરના દ્વાર વર્ષમાં એક દિવસ માત્ર દેવપ્રબોધિની એકાદશીએ ખુલે છે.