વજન ઉતારવા માટે ખાવાપીવામાં ધ્યાન રાખતા અને નિયમિત ચાલવાની કે અન્ય એકસર્સાઇઝ કરતા લોકો ઘણીવાર ફરિયાદ કરતા હોય છે કે તેમનું વજન ઘટતું નથી. આવા લોકોએ તે માટે તેમના મેટાબોલિઝમને દોષ દેવો જોઇએ. મેટાબોલિઝમ ધીમુ હોય તેવા લોકો માટે વજન ઉતારવું અને ખાસ કરીને પેટની ચરબી ઓગાળવી બહુ મુશ્કેલ બને છે. નિષ્ણાતો કહે છે કે આવા લોકોએ તેમના મેટાબોલિઝમને વધારવા પર ધ્યાન આપવું જોઇએ.
મેટાબોલિઝમ(ચયાપચય)ની વજન (Weight) સહિત શરીરના આરોગ્ય પર ગાઢ અસર હોય છે. આપણે જે પણ ખાઇએ,પીએ તે ઉર્જા(એનર્જી)માં ફેરવાય છે. શરીર વિવિધ કામગીરી માટે આ એનર્જીનો ઉપયોગ કરે છે. કેટલીક એનર્જી શરીરમાં સ્ટોર થાય છે, જેથી જરુર પડે તેનો ઉપયોગ થઇ શકે. તમે જેટલી કેલેરી પેટમાં પધરાવો તેટલી વપરાય નહીં તો તે ફેટના રુપે જમા થાય છે.
મેટાબોલિઝમ ફાસ્ટ હોય તો કેલેરી ઝડપથી બળે છે. મેટાબોલિઝમ પર ઉંમર,શારીરિક પ્રવૃતિ ઉપરાંત માતા-પિતા તરફથી વારસામાં મળેવા જીન્સ પણ જવાબદાર હોય છે. જીનિવાની ડેલનોર હોસ્પિટલના બેરિયાટ્રીક એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડો. એલિઝાબેથ તેમના સંશોધનના આધારે કહે છે કે જેમનું મેટાબોલિઝમ ધીમુ હોય તેમણે શરીરમાં મસલ માસ એટલે કે સ્નાયુઓનું પ્રમાણ વધારવા અને ચરબી ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
આ એક ડબલ ચેલેન્જ જેવું છે. શરીરની ચરબી ઓગાળવા માટે મેટાબોલિઝમ (Metabolism) વધારવું પડે અને ધીમું મેટાબોલિઝમ ચરબી જલ્દી ઓગળવા દેતું નથી. આ શરીરની એક એવી સાઇકલ છે જેને તોડવી પડશે. જો તમને લાગતું હોય કે તમારુ મેટાબોલિઝમ ધીમુ છે તો સૌથી પહેલું કામ તમારી કેલેરી પર કાપ મુકવાનું કરો. તેનો મતલબ એ કે તમે જેટલી કેલેરી બાળો છો તેનાથી 250 જેટલી ઓછી કેલેરી લો. તેની અસર એ થશે કે શરીરની ચરબી ધીમેધીમે ઓછી થશે. તેની સાથે મેટાબોલિઝમ પણ ધીમે ધીમે વધતું જશે.
ભોજનમાંથી ફેટ અને કાર્બોહાઇડ્રેટસનું પ્રમાણ ઘટાડીને પ્રોટિનયુકત ચીજો વધુ ખાવ,દરરોજ એકસર્સાઇઝ અને ખાસ કરીને કાર્ડિયો વધુ કરો. શરીરમાં ચરબીના થર બે જગ્યાએ હોય છે. એક જે તમારી સ્કીન નીચે છે જે જોઇ શકાય છે. જેમ કે પેટની ચરબી. બીજી જે તમારા અંગો પર જામેલી હોય છે. અંગો ફરતેની ચરબી વધુ જોખમી છે. તેથી જેમનું મેટાબોલિઝમ ધીમુ હોય તેમણે ધીરજ રાખવી જરુરી છે. વજન જોઇએ તેવું ન ઘટવાથી નિરાશ લોકો એકસર્સાઇઝ છોડી દે છે તે સૌથી મોટી સમસ્યા છે.