બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:33 PM, 21 June 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનામાં પડેલા ભંગાણ અને સાંસદોના પક્ષ પલટાને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બળવાખોર સાંસદ સંજય દિના પાટિલના ગઢ ગણાતા મુંબઈના ભાંડુપમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરો અને ભાજપ વિરુદ્ધ લોખંડી મોરચો ખોલ્યો છે. રેલીમાં ઉમટેલી ભારે ભીડ તરફ ઈશારો કરીને ઉદ્ધવ ઠાકરેએ ભાવુક અને આક્રમક અંદાજમાં કહ્યું, 'મારી સામે આજે માત્ર શિવસૈનિકો જ નથી, પરંતુ અન્યાય સામે લડતી સળગતી મશાલ ઊભી છે. હું આ ગદ્દારો અને તેમના આકાઓનો આભાર માનું છું કે તેમણે આ મશાલોને ફરીથી પ્રજ્વલિત કરી દીધી છે.'
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ પક્ષના સ્થાપના દિવસે કરેલા વાદાને યાદ કરતા જણાવ્યું કે, જ્યાં-જ્યાં પક્ષ સાથે વિશ્વાસઘાત થયો છે, ત્યાં તેઓ પોતે જઈને મતદારોની માફી માંગી રહ્યા છે. તેમણે કહ્યું કે, જનતાએ જે સાંસદોને ચૂંટ્યા હતા તે શિવસેના અને 'મશાલ' ચૂંટણી ચિહ્ન જોઈને વોટ આપ્યા હતા. આવા પક્ષપલટો કરનારા લોકોને ઉમેદવાર બનાવવા તે અમારી મોટી ભૂલ હતી અને તે માટે હું આપ સૌની ક્ષમા માંગુ છું. શિવસેનાને તોડવાના અને નબળા કરવાના અનેક પ્રયાસો થયા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે ભાજપે હંમેશા શિવસેનાને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું છે, જ્યારે કોંગ્રેસે ક્યારેય આવો પ્રયાસ કર્યો નથી.
કોંગ્રેસ સાથેના જોડાણ પર બોલતા તેમણે ઉમેર્યું, 'અમે 30 વર્ષ સુધી કોંગ્રેસ સામે લડત આપી, પરંતુ તેમણે ક્યારેય અમારા નેતાઓની ચોરી કરીને શિવસેનાને એ રીતે ખતમ કરવાનો પ્રયાસ નથી કર્યો જેવો ભાજપે કર્યો છે. જ્યારે ભાજપને રસ્તા પર કોઈ પૂછતું ન હતું, ત્યારે બાળાસાહેબે તેમનો હાથ પકડીને તેમને મોટા કર્યા હતા. તે સમયે આખા દેશમાં તેમની પાસે માત્ર 2 MP હતા. ભાજપ પાસે પોતાનું કશું જ નથી, આ પાર્ટી બીજાના બાળકો ચોરીને મોટી થયેલી પાર્ટી છે.'
ADVERTISEMENT

ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ પડકાર ફેંક્યો કે જેઓ લડવા માંગે છે તેઓ ખુલ્લા મેદાનમાં આવીને લડે. તેમણે કહ્યું, 'ગઈકાલે એક બહારની વ્યક્તિ કોલ્હાપુર આવી હતી. હું તેમને સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે શિવસેના એક જ છે અને તે મારી, અમારી અને વંદનીય બાળાસાહેબની છે. ભાજપમાં કોઈ પણ નેતા બની શકે છે, પરંતુ બહારના લોકો એ નક્કી ન કરી શકે કે શિવસેનાનું નેતૃત્વ કોણ કરશે. લોકો તમારાથી માત્ર એ ખુરશીના કારણે ડરે છે જેના પર તમે અત્યારે બેઠા છો, ખુરશી હટતા જ તમારી કોઈ ઓળખ નહીં બચે.'
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલ્હાપુરની રેલીમાં દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના જ અસલી શિવસેના છે. બાળાસાહેબ ઠાકરેએ 1966 માં શિવસેનાની સ્થાપના કરી હતી, પરંતુ June 2022 માં એકનાથ શિંદેના નેતૃત્વમાં થયેલા મોટા બળવા બાદ પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. ત્યારબાદ February 2023 માં ચૂંટણી પંચે શિંદે જૂથને સત્તાવાર શિવસેના તરીકે માન્યતા આપીને નામ અને પ્રતીક (ધનુષ-બાણ) ફાળવ્યું હતું, જ્યારે ઉદ્ધવ જૂથને 'શિવસેના (UBT)' નામ અને 'મશાલ' ચૂંટણી ચિહ્ન મળ્યું હતું.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બળવાખોર સાંસદો પર કટાક્ષ કરતા કહ્યું, 'હું આ ગદ્દારોને પૂછું છું કે તેમની દાઢી પણ પોતાની છે કે તે પણ ભાડે લીધેલી છે? તમે ગાડી, ખુરશી કે દાઢી ભાડે લાવી શકો છો, પરંતુ તમારા માટે જીવ આપવા તૈયાર હોય તેવા વફાદાર શિવસૈનિકો ક્યારેય ખરીદી શકતા નથી.' તેમણે ભાજપ પર વચનભંગનો આરોપ લગાવતા કહ્યું કે ખેડૂતોની દેવામાફીનું વચન તેમની સરકારે પૂરું કર્યું હતું. તેમણે ભાજપને પડકાર આપ્યો કે જો આગામી ચૂંટણીમાં તેઓ આ બેઠક છોડવાના હોય, તો અત્યારે જ જાહેરાત કરે કે આ સીટ એકનાથ શિંદેને આપી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ડેડલાઈન પૂરી... હાલ જ કરો આ કામ, નહીંતર કાલથી બંધ થઈ જશે LPG સપ્લાય
દિલ્હીમાં 17 June ના રોજ યોજાયેલી શિવસેના (UBT) ની સંસદીય દળની બેઠકમાં સાંસદ સંજય દિના પાટિલ (મુંબઈ ઉત્તર-પૂર્વ), સંજય દેશમુખ (યવતમાળ), સંજય જાધવ (પરભણી), ભાઉસાહેબ વાકચૌરે (શિરડી), નાગેશ પાટિલ-આષ્ટીકર (હિંગોલી) અને ઓમપ્રકાશ રાજે નિંબાલકર (ધારાશિવ) ગેરહાજર રહ્યા હતા. ત્યાર બાદ આ નેતાઓના પક્ષપલટાની અટકળો તેજ થઈ હતી. રવિવારે નિંબાલકર અને આષ્ટીકરે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવાની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 માં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના 9 સાંસદો ચૂંટાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.