ભાવનગરઃ આજે અખાત્રીજના એટલે ભાવનગર જન્મદિવસ આજે ભાવનગર 295 વર્ષ પુરા કરીને 296માં વર્ષમા પ્રવેશી રહ્યું છે. અહીંના રાજવીઓ દીર્ઘદ્રષ્ટિ વાળા હોવાના કારણે આજે પણ પ્રજા લોકશાહી દેશમાં રાજાશાહીના સમયને યાદ કરે છે. દેશના વિલીનીકરણના સમયે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું ગોહિલવાડ રાજ્ય સરદારપટેલના ચરણોમાં અખંડ ભારત બનાવવા માટે ધરી દીધુ હતું. જે ઘટના આજે ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે.
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે કરી હતી. આજનું જે ગોળ બજાર છે ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું. ભાવનગરના પાદર દેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે. અહીં રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે તો ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે. આવા સુંદર મુહર્ત ભાવનગરની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગનું ભોજન કરાવવામાં આવ્યું.
ઠાકોર ભાવસિંહજી રતનસિંહજીએ ભાવનગરની સ્થાપના કરી અને તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું હતું. સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીક સ્થળ પસંદ કરવામાં આવ્યું. મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બાંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા હતા. આ સમયે ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા. આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે ભાવનગરની જગ્યા પસંદ કરવામાં આવી હતી તેમ ઇતિહાસવિદોનું માનવું છે.
આજ કરતાં પણ વધુ વિકસિત જૂનું રાજ્ય હતું ભાવનગર
ભાવનગર જૂના રાજ્યમાં રેલવે માર્ગ વાહન વ્યવહાર માટેના ધોરી માર્ગ બ્રિટિશ દરજ્જાના બંદરો એરપોર્ટ ટેલિફોન એક્સચેન્જ ટપાલ ખાતું વિશાળ તળાવ પાણીની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અહીંયા સુપેરે સંપન્ન થયા છે. આપણે સૌ જાણીને આનંદ થશે કે આજ કરતાં પણ વધુ વિકસિત ભાવનગર જૂનું રાજ્ય હતું. ભાવનગર રાજ્ય સમયે અહીં ઈ.સ.૧૮૫૧ ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી. ઇ.સ ૧૮૫૨ પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું. ઇ.સ ૧૮૫૬ માધ્યમિક શાળાઓની સ્થાપના કરવામાં આવી હતી.
ભાવનગરના બારમાસી તરીકે ઓળખાતા મહુવા ઘોઘા અને અન્ય બંદરો જમીનદોસ્ત
ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ. જો કે આજે ભાવનગર જિલ્લાના બારમાસી તરીકે ઓળખાતા એવા મહુવા ઘોઘા અને અન્ય બંદરો જમીનદોસ્ત થઈ ગયા છે. દરિયાઈ માર્ગે જે વેપારો થતા હતા તે બંધ થઈ ગયા છે. ઇ.સ.૧૮૭૨ બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું. રેલવે વિરમગામથી વઢવાણ સુધી લંબાવવામાં આવી આ બ્રોડગેજ લાઇન હતી. ભાવનગર ગોંડલ બોટાદ રેલવે લાઇનનું કામ તથા ભાવનગરથી વઢવાણ ગોંડલ ધોરાજી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવેલુ સર તખ્તસિંહજી હોસ્પિટલની શરૂઆત કરાઇ હતી. અહીં ગંગાદેરી ગાંધીસ્મૃર્તિ ફિલ્ટર પલાન્ટ તેમજ અનેક સુવિધા રાજાશાહી સમયમાં ઉભી કરવામાં આવી હતી. જો કે આજે આ વસ્તુ ઓ સાચવવાના બદલે ધીમે ધીમે બંધ થતી જાય છે તેમ લોકો કહી રહ્યા છે.
મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી
જે તે સમયમાં અહીંના રાજવીઓએ પાણીની સુવિધા માટે અનેક તળાવો ડેમ અને નદી નાળાના નિર્માણો કાર્ય હતા. જલસંગ્રહ માટે પણ સારું એવું કામ કર્યું હતું. બોર તળાવનું નવીનીકરણ આ જ સમયમાં કરવામાં આવ્યું. બોરતળાવની ડિઝાઇન મૈસુર સ્ટેટ શ્રી વિશ્વેશ સુરૈયાજીએ કર્યું. વિશ્વેશ સુરાજીના નામે અત્યારે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવા મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી બોરતળાવ માનવ નિર્મિત આડબંધ પાળો બનાવીને બનાવેલું તળાવ છે. મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે આજે વિક્ટોરિયા પાર્કના નામે ઓળખાય છે.
ભાવેણા વાસીઓને એ વાતનું દુઃખ છે કે...
ભાવનગરના રાજવીઓએ પ્રજાલક્ષી કરેલા કામોને આજે પણ લોકો યાદ કરે છે. આ પરિવાર પ્રત્યે આજે પણ આદરપ્રેમથી સન્માન આપે છે. જો ભાવેણા વાસીઓને એ વાતનું દુઃખ છે કે જે રાજવીની સંધિ ઉપર એમ કહ્યું છે કે મારી પ્રજાનું કલ્યાણ થજો તે વાત આજના રાજકીય લોકો ભૂલી ગયા છે અને પોતાનું કલ્યાણ કરવા લાગ્યા છે.