ઉતરાયણનું પર્વ સુર્ય દેવતાને સમર્પિત હોય છે અને આ દિવસે સુર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ કહેવાય છે.
સંક્રાતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ. સૂર્ય દર એક મહિને રાશિ બદલે છે એટલે આમ તો સંક્રાતિ દર મહિને થાય છે. સૂર્ય જ્યારે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરે તેને મેષ સંક્રાતિ થઈ કહેવાય છે. મેષ સંક્રાતિએ નવા સૌર વર્ષની શરૂઆત થાય છે. સૂર્ય જ્યારે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે તેને વૃષભ સંક્રાતિ થઈ કહેવાય. આ રીતે સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાતિ કહે છે. મકર સંક્રાતિ આગવું મહત્વ ધરાવે છે.
મકર સંક્રાતિના દિવસથી સૂર્ય ક્રમે ક્રમે પૃથ્વીની ઉત્તર તરફ આગળ વધે છે. આથી જ તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. આમ તો ઉત્તરાયણની શરૂઆત જ્યારે સાયન સૂર્ય ૨૨મી ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી થઈ જાય છે. પરંતુ નિરયન સૂર્ય ૧૪મી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ભારતીય જ્યોતિષ મુજબ ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. પરંતું આ વર્ષે અનેક શુભ સંયોગો સાથે ત્રણ વર્ષ પછી મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ આવી રહી છે.
આ પહેલાં વર્ષ 2012માં પણ મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ હતી. જ્યોતિષિયો મુજબ 14 જાન્યુઆરીની સાંજ 7.27 વાગ્યાથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. પણ સાંજે 5.58 વાગ્યે જ સૂર્ય અસ્ત થઈ જશે.
સંક્રાંતિ(ઉત્તરાયણ) સૂર્યનો તહેવાર છે. તેથી સૂર્યના સાક્ષી ન હોવાથી આ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. સ્નાન. દાન-પુણ્ય માટે પણ 15 જાન્યુઆરીના ઉદય કાળમાં જ સંક્રાંતિ સર્વશ્રેષ્ઠ રહેશે. જ્યોતિષાચાર્ય પં. શ્યામનારાયણ વ્યાસ મુજબ 15 જાન્યુઆરીના રોજ સંક્રાંતિની સાથે ઉચ્ચના ગુરૂ સાથે સૂર્ય સહિત ત્રણ મુખ્ય ગ્રહોનો સમસપ્તક યોગ બની રહ્યો છે. આ શુભ સંયોગ 83 વર્ષ પછી આવ્યો છે. આગળ આ 35 વર્ષ પછી આવશે.
ઉત્તરાયણથી દેવતાઓનાં દિવસની શરૂઆત થાય છે અને અસુરોની રાત્રિ શરૂ થાય છે. જ્યારે દક્ષિણાયનથી દેવતાઓની રાત્રિની શરૂઆત થાય છે અને અસુરોનો દિવસ શરૂ થાય છે. ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયનને પિતૃયાણ કહેવામાં આવે છે. ઉત્તરાયણથી દેવતાઓનો દિવસ શરૂ થતો હોવાથી તે તમામ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે આપણે ઘણાં કામો ન કરવા જોઇએ. આ દિવસે અમુક અણસમજણમાં થયેલાં કર્યોથી ધંધા પર અને આપણા વ્યક્તિત્વ પર ઘણી ખરાબ અસર થાય છે. આજે અમે તમને જણાવશું કે ઉતરાયણના દિવસે કેવા કામો ન કરવા જોઇએ.
મકર સંક્રાંતિના દિવસે ભુલથી પણ લસણ ડુંગળી અને માંસાહારી કોઇપણ વસ્તું ન ખાવી જોઇએ. આ ઉપરાંત આ દિવસે દરેક માણસે પોતાની વાણી પર સંયમ રાખવો જોઇએ. કોઇ સાથે ખરાબ વ્યવહાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને મધુર વાણીનો ઉપયોગ કરવો જોઇએ.
આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા વગર ભોજન ન કરવું જોઇએ. માન્યતાઓ તો એવી છે કે આ દિવસે જો શક્ય હોય તો ગંગા કે અન્ય નદીમાં જઇને સ્નાન કરવું જોઇએ પરંતુ શક્ય ન હોય તો ઘરમાં ગરમ પાણીથી સ્નાન કર્યા બાદ જ ભોજન લેવું જોઇએ.
જ્યોતિશ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઇએ. આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિએ આ દિવસે કોઇ વૃક્ષ ન કાપવું જોઇએ.