ઈંગ્લેન્ડ સામેની બીજી ટી-20 માં ભારતનો દબદબાભર્યો વિજય થયો હતો જેમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઘૂંટણીયે પાડી દીધું હતું. ભારત તરફથી પ્રથમ ટી-20 અર્ધશતક ફટકારનાર ઇશાન કિશનને મેન ઓફ ધ મેચ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.
પ્રથમ ટી-૨૦માં મોટી હાર, પછી બે દિવસ બાદ એનાથી પણ મોટી જીત.
ગઈ કાલે ભારતે મહેમાન ઈંગ્લેન્ડની ટીમને સાત વિકેટે હરાવી દીધી. ટીમ ઇન્ડિયાની આ શાનદાર જીતના ઘણાં કારણો છે, પરંતુ ડેથ ઓવર્સમાં ફાસ્ટ બોલર્સના સ્લોઅર બોલ ઘણા મહત્ત્વના સાબિત થયા, જ્યારે યુવા બેટ્સમેનોની પાવર હિટિંગ બેટિંગે ગુજ્જુ ક્રિકેટ ચાહકોને ગેલમાં લાવી દીધા.
ટોસ મહત્ત્વનો સાબિત થયો
ભારતના કેપ્ટન કોહલીએ ટોસ જીત્યો એ બહુ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયો. ભારતે છેલ્લાં ત્રણ વર્ષથી લક્ષ્યનો પીછો કરતા ૭૮ ટકા મેચ જીતી છે. ગઈ કાલની મેચમાં પણ એ વાત સાબિત થઈ કે ટીમ ઇન્ડિયાને લક્ષ્યનો પીછો કરવો વધુ પસંદ છે.
૪૫૯ દિવસ બાદ ભુવીએ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી
ભુવનેશ્વરે મેચના ત્રીજા જ બોલ પર જોસ બટલર (શૂન્ય રન)ને આઉટ કરી દીધો. સામાન્ય રીતે પ્રથમ બોલથી જ આક્રમક રમતનું પ્રદર્શન કરનારી ઈંગ્લેન્ડની ટીમ આ ઝટકાને કારણે પાવર પ્લેની છ ઓવરમાં ૪૪ રન જ બનાવી શકી. ઈજામાંથી વાપસી કરતા ભુવીએ ૪૫૯ દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ ઝડપી. ભુવીએ ૧૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ મુંબઈમાં વિન્ડીઝ સામે પોતાની અંતિમ વિકેટ ઝડપી હતી.
સ્પિનર્સે ૬૩ રન આપીને ત્રણ શિકાર કર્યા
ભારતીય સ્પિનર્સ માટે પણ આ મેચ સારી રહી. સુંદર અને યુઝવેન્દ્ર ચહલે કુલ ૮ ઓવરમાં ૬૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી. સુંદરે જેસન રોય અને જોની બેયરસ્ટો જેવા ખતરનાક બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા, જ્યારે ચહલે ડેવિડ મલાનનો શિકાર કર્યો.
ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ
સ્પિનર્સે મિડલ ઓવરમાં અંગ્રેજ બેટ્સમેનોને પરેશાન કરી મૂક્યા, જ્યારે ફાસ્ટ બોલર્સે ડેથ ઓવર્સમાં સ્લોઅર બોલનો ઉપયોગ કરીને મહેમાન ટીમને ૧૬૪ રનના સ્કોર પર રોકી દીધી. શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યાએ અંતિમ પાંચ ઓવરના ૩૦ બોલમાં ૨૨ સ્લોઅર બોલ ફેંક્યા. આ જ કારણે ઈંગ્લિશ ટીમ ૧૬થી ૨૦ ઓવરમાં માત્ર ૩૪ રન જ બનાવી શકી.
ટોપ ઓર્ડરની શાનદાર બેટિંગ
પ્રથમ મેચ રમી રહેલા યુવા બેટ્સમેન ઇશાન-કિશન અને વિરાટ કોહલીએ ધુંઆધાર બેટિંગ કરતાં અર્ધ-શતક નોંધાવી ભારતીય ટીમને વિજયના રસ્તે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇશાન કિશનને તેની બેટિંગ માટે મેં ઓફ ધ મેચનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.
સ્ટેડિયમમાં માસ્કનું વિતરણ કરાયું
ગઈ કાલે અમદાવાદીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને છલકાવી દીધું હતું. મેચ તો ૭.૦૦ વાગ્યાથી શરૂ થવાની હતી, પરંતુ દર્શકોએ તો બપોરના ચારેક વાગ્યાથી સ્ટેડિયમમાં પહોંચવાનું શરૂ કરી દીધું અને મેચ શરૂ થવાના એકાદ પહેલાં તો આખું સ્ટેડિયમ ચિક્કાર ભરાઈ ગયું હતું. GCA પણ જાણતું હતું કે રવિવાર હોવાથી દર્શકો સ્ટેડિયમ છલકાવી દેશે. આથી જ GCAના ઇતિહાસના સૌથી યુવા પ્રેસિડેન્ટ જય શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ દરેક બાબતની પૂરતી કાળજી રાખી હતી અને સ્ટેડિયમમાં પ્રવેશતા ચાહકો માટે વિના મૂલ્યે માસ્કના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ ગમે તે કહે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આટલો મોટો માનવ મહેરામણ ઊમટી પડ્યો હોવા છતાં સુંદર વ્યવસ્થાને કારણે ક્યાંય પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો નહોતો અને GCAએ અમદાવાદીઓનો સન્ડે સુધારી દીધો હતો.