દેશના તમામ નગરોની પ્રજા જે સમસ્યાઓથી ત્રાસી ગઈ છે તેમાંની એક સૌથી મોટી સમસ્યા વારંવાર તૂટી જતાં રોડ છે. ભ્રષ્ટાચારથી અપાયેલા કોન્ટ્રાક્ટના રોડ એક જ વરસાદમાં ધોવાઇ જાય છે અને ત્યાર બાદ તંત્ર અલગ અલગ બહાના આપ્યા કરે છે જેમાં સૌથી કોમન બહાનું એ હોય છે કે તેઓ કયા રસ્તાઓ તૂટ્યાં છે તેનું લોકેશન જાણતા નથી. જો કે હવે તંત્રના આ બહાના પણ નહીં ચાલે કારણ કે તેનો ડિજિટલ ઉપાય સુરતના ઍન્જિનિયર્સે શોધી કાઢ્યો છે.
ભારતના શહેરોમાં તૂટી જતા રસ્તા મજાકનું કારણ બની ચુક્યા છે. આ વિષે લોકો રમુજી વાતો લખે છે, ગીતો અને ડાન્સ પરફોર્મ કરે છે. પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. અધિકારીઓ એક બહાનું આપે છે કે તેમને કઈ જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે તેવી સચોટ જાણકારીઓ મળતી નથી.
શું છે આનો ઉપાય?
હવે કોઈ આ બહાનું ન આપે તે માટે સુરતની સાર્વજનિક કોલેજ ઓફ ટેકનોલોજીના એન્જીન્યર્સ મિશાલ જરીવાલા અને દીપેન બાબરિયાએ એક સિસ્ટમ ડેવલપ કરી છે. આ સિસ્ટમ GPSની મદદથી ગુગલ મેપ્સની જેમ રોડ રસ્તાની પરિસ્થિતિનો હાલ જાણીને તેને મોનીટર કરશે અને તેનો ડેટા સેવ કરશે.
શું છે આ ટેકનોલોજી?
આ એક પ્રકારની સેન્સીંગ ટેકનોલોજી છે જેના વિષે આ બંને ઈન્જીન્યર્સએ તેમના કોલેજમાં કોર્સમાં શીખ્યા હતા.આ સિસ્ટમ મુજબ ગાડીમાં કેમેરા ફીટ કરેલા હશે જે ઈમેજ સેન્સીંગ આર્ટીફીશ્ય્લ ઇન્ટેલીજન્સની મદદથી રોડ ઉપર આવતા ખાડા ટેકરા અને તિરાડોને પોતાના ડેટા બેઝમાં સેવ કરી લેશે અને રસ્તા અને ખાડાની લોકેશનને નેવિગેશન સિસ્ટમની મદદથી મેપ્સમાં સેવ કરી રાખશે.
SMC આ ટેકનોલોજી અપનાવે તેવી શક્યતા
આ પ્રોજેક્ટ હાલમાં રોડમેટ્રીક્સ નામની એક કંપનીને અંતર્ગત ચલાવવામાં આવે છે. તેમને અગાઉ આ પ્રોજેક્ટ સુરત મહા નગર પાલિકા SMCને બતાવ્યો હતો અને SMC આ પ્રોજેક્ટને વાપરવામાં રસ દાખવ્યો હતો.
શું છે મુખ્ય ફાયદા?
દીપેનના કહેવા મુજબ આ એપના ઉપયોગ વડે રોડ પર થયેલું નાનું નુકશાન વધુ મોટા નુકશાનમાં પરિવર્તિત થાય તેની પહેલા રોકીને રીપેર કરી શકાય છે. આ એપના કેટલાક ફાયદા આ મુજબ છે:
રસ્તાની સ્થિતિ ગાડી પસાર થતા ઓટોમેટીકલી રેકોર્ડ થઇ જાય છે.
કોઈ માણસોને રોકવા પડતા નથી જે માનવ સંસાધન અને ખર્ચ બચાવે છે.
સમગ્ર ડેટા ડીજીટલ છે માટે તેને સારી રીતે સ્ટોર અને સરળતાથી શેર કરી શકાય છે.
એક વખત મળેલી માહિતી જેતે સ્થળે જઈને ચેક કરી શકાય છે.
આ ફક્ત ડ્રાઈવિંગને સરળ જ નહિ પણ સુરક્ષિત પણ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં દેશમાં ખાડાઓના કારણે થયેલા અકસ્માતોમાં ૩૫૯૭ લોકોએ તેમના જીવ ગુમાયા અને ૨૫૦૦૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ૨૦૧૮માં દેશમાં દરરોજ ૧૦ વ્યક્તિઓના મોત રોડ અકસ્માતમાં થયા છે.