દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી દુનિયાભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. બહુ ટૂંકા સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓની સંખ્યા 50 લાખને પર કરી ગઈ છે.
ગુજરાતનાં નર્મદા જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગને મળ્યો વેગ
સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા
31 ઓકટોબર 2018 ના દિવસે થયું હતું લોકાર્પણ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત પ્રવાસન સ્થળ બની ગયું છે. દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષી રહેલું આ સ્થળ હવે સ્થાનિક સહેલાણીઓ માટે પણ હોટસ્પોટ સમાન બની ગયું છે. ગુજરાતનાં નર્મદા જિલ્લામાં કેવડીયા વિસ્તારમાં આવેલી આ પ્રતિમાનું 31 ઑક્ટરોબર 2018 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રવાસીઓની સંખ્યા 50 લાખને પાર
ગુજરાતનાં વન અને પર્યાવરણ વિભાગના સચિવ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ મુજબ અંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ સ્થળ એટલું તો પ્રચલિત થયું છે કે બે વર્ષથી ઓછા સમયગાળામાં દેશવિદેશમાંથી આવતા 50 લાખ પર્યટકો તેની મુલાકાત લઈ ચૂક્યા છે.
માત્ર 553 કામના દિવસોમાં 5 મિલિયન પ્રવાસી
ગુજરાતનાં વન અને પર્યાવરણ વિભાગના સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વિટ કરીને આ માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રતિમા આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રચલિત થઈ રહી છે. માત્ર 553 જેટલા કામના દિવસોમાં અહીં 50 લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો જેની જાહેરાત તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે કરી હતી. આ સ્થળે 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપરાંત ફ્લાવર વેલી, બટરફ્લાય ગાર્ડન, કેકટસ ગાર્ડન, રિવર રાફટિંગ, ચિલ્ડ્રન પાર્ક અને સફારી પાર્ક જેવા ઘણા આકર્ષક સ્થળો આવેલા છે.
પ્રતિમાની પાસે એક મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આઝાદી પહેલાના ભારતના 562 દેશી રજવાડાઓનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના ભગીરથ પ્રયાસોથી આ રજવાડાઓને અખંડ ભારતમાં વિલીન કરી દેવામાં આવ્યા હતા.