બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:22 PM, 30 December 2025
મલયાલમ સિનેમાના દિગ્ગજ અને દક્ષિણ ભારતના સુપરસ્ટાર મોહનલાલ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. આજે 30 ડિસેમ્બરે તેમની માતાનું અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર સામે આવતાની સાથે જ મોહનલાલના પરિવાર ઉપરાંત સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે. ચાહકો, સહકલાકારો અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહી છે અને મોહનલાલને આ દુઃખની ઘડીમાં હિંમત આપવાની પ્રાર્થના કરી રહી છે.
ADVERTISEMENT
મોહનલાલની માતાની ઉંમર 90 વર્ષ હતી. તેમણે કોચ્ચીના એલામક્કારા સ્થિત અભિનેતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરથી પીડાઈ રહી હતી અને તેમનો ઈલાજ અમૃતા હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. ડૉક્ટરો દ્વારા તેમના અવસાનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. પરિવારજનો માટે આ ક્ષણ અત્યંત વેદનાદાયક છે, કારણ કે મોહનલાલ પોતાની માતા સાથે ખૂબ જ લાગણીસભર સંબંધ ધરાવતા હતા.

ADVERTISEMENT
મોહનલાલ અનેક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે તેમની સફળતા પાછળ સૌથી મોટું યોગદાન તેમની માતાનું રહ્યું છે. બાળપણથી લઈ સુપરસ્ટાર બનવાની સફર સુધી તેમની માતાએ હંમેશા તેમને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ ઘણી વખત જાહેર મંચ પર પોતાની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. આજે તેમના જીવનમાંથી આ મજબૂત આધાર દૂર થતાં અભિનેતા અંદરથી તૂટી ગયા હોવાની લાગણી ચાહકો અનુભવી રહ્યા છે.
મોહનલાલની માતાના નિધનના સમાચાર સાંભળતા જ મલયાલમ, તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થનાઓ અને શ્રદ્ધાંજલિ સંદેશાઓની ભરમાર જોવા મળી રહી છે. ચાહકો પણ પોતાના પ્રિય અભિનેતાના દુઃખમાં સહભાગી બન્યા છે અને તેમના પરિવાર માટે હિંમત અને શાંતિની કામના કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ દુઃખદ ઘટનાએ તે સમયને વધુ ભાવુક બનાવી દીધો છે, જ્યારે મોહનલાલને આ વર્ષે તેમના અદભૂત સિનેમાઈ યોગદાન બદલ 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ 2025માં દાદાસાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન તરીકે ઓળખાતો આ પુરસ્કાર મળ્યા બાદ મોહનલાલના જીવનમાં ખુશીની લહેર હતી, પરંતુ હવે આ સન્માનની વચ્ચે આ મોટું અંગત દુઃખ આવી પડ્યું છે.
આ પણ વાંચોઃ જોરદાર સ્ટાઇલિશ છે પ્રિયંકા ગાંધીની વહુ અવીવા બેગ, જુઓ લુક્સ
ADVERTISEMENT
મોહનલાલ માત્ર એક સુપરસ્ટાર જ નથી, પરંતુ અનેક પેઢીઓ માટે પ્રેરણારૂપ કલાકાર રહ્યા છે. તેમણે પોતાના કારકિર્દીમાં અનેક નેશનલ એવોર્ડ્સ, બેસ્ટ એક્ટર પુરસ્કારો અને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ્સ જીત્યા છે. તેમની દરેક નવી ફિલ્મ માટે ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે અને તેમની અભિનય ક્ષમતાને હંમેશા વખાણવામાં આવી છે. આજે જ્યારે તેઓ પોતાની માતાના અવસાનના દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ફિલ્મ જગત અને ચાહકો તેમની સાથે ઊભા છે. દરેક કોઈ તેમની માતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યું છે અને મોહનલાલ તથા તેમના પરિવારને આ અપૂરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.