સોશિયલ મીડિયા આજકાલ નીલકંઠ વિવાદને કારણે ભડકે બળી રહ્યું છે. એક અમથી ચિનગારીથી ચંપાયેલી આગ હવે સ્વામીનારાયણ સંપ્રદાય કે મોરારીબાપુ બે માંથી એકેયના કાબૂમાં નથી રહી. સંતસમાજનું આ વીડિયો યુધ્ધ સામાન્ય નાગરિક સુધી પહોંચી ગયું છે. એક તરફ બાપુને સમર્થનમાં સંત સમાજ અને કલાકારો મેદાને પડ્યા છે. મોરારી બાપૂના સમર્થમાં 8 જેટલાં દિગ્ગજ સંતો અને કલાકારો અને લેખકોએ એક સુરમાં કહ્યું ‘મોરારી બાપુ અમરો બાપ છે’
મોરારી બાપૂનો વિવાદ હવે વાઈરલ વીડિયોમાં પરીણમ્યો છે. એક પછી એક બાપુઓ અને સ્વામીઓ તેમજ કલાકારો બાપુના સમર્થનમાં પોત પોતાના સ્ટેટમેન્ટ અને વીડિયો વાઈરલ કરી રહ્યા છે. તે તમામનો સૂર એક જ છે કે બાપુ માફી નહી માંગે. જો કે મુરારી બાપુએ માફી માંગી લીધી છે તેમ છતાં એક પછી એક તેમના સમર્થન અને વિરોધના સૂર વીડિયો સ્વરૂપે તો સ્ટેટમેન્ટ સ્વરુપે સોશિયલ મીડિયામાં હોટ ટોપીક બની ગયા છે જે હવે સામાન્ય જનજન સુધી પહોંચી ગયો છે. સંતો સિવાય સામાન્ય જન પણ હવે આ ઘટનાને લઈને હિન્દી ધર્મના ઓળા હેઠળ દલિલ બાજીએ ચઢ્યા છે. શાંતીની અપીલ માટેના વીડિયો આ આગમાં ઘી હોમી રહ્યા છે.
જાણો કોણે શું કહ્યું?
પરાણે બનીબેઠેલા ભગવાનો વૈદિક હિન્દુ નથીઃ રમેશ ઓઝા
જ્યાં વેદ પ્રામાણ્ય નથી અને તેને સ્વીકારવામાં આવતું ન હોય, લોક શાસ્ત્રાર્થમાં પણ વેદ પ્રામાણ્ય જોઈએ, દલીલો કે તર્કથી શાસ્ત્રાર્થ થતું નથી. એવામાં કેટલાક લોકોએ તો ધર્મના નામે નવા ભગવાન, નવા માતાજી, નવા દેવતા અને કેટલીક નવી કથાઓ ઊભી કરી નાંખી છે. સાથે જ જબરદસ્તીથી તેનું પુરાણ સાથે કનેકશન બનાવી દેવામાં આવ્યું છે. એવામાં લાગી રહ્યું છે કે આપણે ભગવાનનું મેન્યુફેક્ચરીંગ કરી રહ્યા છીએ. જીવતા અને મરતા આપણને ભગવાન શીખવાડે છે. વેદને જે ન સ્વીકારે તે નાસ્તિક છે. આપણો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. ક્યાં ટકવું, ક્યાંથી છટકવું જો આ બધું માણસ સમજી લે તો તે ક્યારેય ભટકશે નહીં. કરોળિયાની જેમ જાળું બનાવાઈ, રેશમના કીડાની જેમ નહિ. નહિતર આપણી રચનાને આપણો સંસાર જ ગળી જશે.
બાપુ માફી નહીં માંગે અને અમે માંગવા પણ નઈ દઈએઃ ઈન્દ્રભારતી બાપુ
મોરારી બાપુ માફી માંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ કહે છે કે મોરારી બાપુ માફી માંગે, મોરારી બાપુ શું કામ માફી માંગે? નિલકંઠ તો નિલકંઠ જ હોય અને નિલકંઠ મહાદેવ જ કહેવાય! મોરારી બાપુ અમારો બાપ છે. અમારો ધર્મ પ્રચારક છે. મોરારી બાપુ કોઈ પણ હિસાબે માફી નહીં માંગે અમે માફી માંગવા નહીં દઈએ. એમણે રાષ્ટ્રમાં ધર્મનો પ્રચાર કર્યો છે, આવા વ્યક્તિને માફી માંગવાનું કહો છો, તુચ્છ ગણો છો?
તમારા ગુરુ ભગવાન તો અમારા શું કમ છે? માયાભાઈ આહિર
હાસ્યકલાકાર માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, મારોરિ બાપુ અમારો બાપ છે, કોઇ દિવસ કોઇની લાગણી દુભાવે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ધ્યાન રાખવું જોઇએ. મેં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન અત્યાર સુધીમાં સાંભળ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા મળ્યું નથી. આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે સમગ્ર રાષ્ટ્રને એક કરવા નીકળ્યા છીએ ત્યારે સામાન્ય બાબતને લઇને વિવાદને વધુને વધુ વિકરાળ ન બનાવીએ. આજુબાજુના દેશો આપણા પર આક્રમણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવાની જરૂર છે.
બાપુ અમારો બાપ છે અને મારા માટે ભગવાન છેઃ સાંઇરામ દવે
હાસ્યકલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, બાપુ મારા માટે ભગવાન છે. બાપુની કરૂણા કિન્નરો સુધી પહોંચી છે ત્યારે બાપુ માટે કેટલી સન્માનની વાત કહેવાય. બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે મને કલાકાર તરીકે મને દુખ થાય છે. સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો મુકીને આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરીએ તેવી મારી પ્રાર્થના છે. આપણે રોજ નવા મેસેજ મુકીને આગને હવા દેવાનું કામ કરી રહ્યા છીએ.
બાપુ તમારા મારા જેવા કેટલાયના બાપ છે: કિર્તિદાન ગઢવી
લોકગાયક કિર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હિન્દુઓનો સૌપ્રથમ ધર્મ હોય તો તે સનાતન ધર્મ છે. બાપુને કોઇ ધર્મ સાથે વાંધો વિરોધ નથી. કોઇને ઠેંસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. પ્રમુખસ્વામીનો દેહવિલય થયો ત્યારે છેલ્લી આરતીમાં બાપુને જોયા હતા. આપણે ચેતવું જોઇએ કે હિન્દુઓની વસ્તી વિશ્વમાં ખૂબ ઓછી છે. આપણે અંદરો અંદર વાદ વિવાદ કરીએ તો આનો અંત ક્યારે આવશે. બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે. બાપુ વિશે જરા પણ કોઇ કંઇ બોલે તે મારા માટે સહન ન થાય.
બાપુ વિશે આવી ભાષા તમને શોભાતી નથીઃ રાજભા ગઢવીએ
રાજભાએ કહ્યું કે મોરારી બાપુના નિલકંઠ વાળા નિવેદનથી વિવાદ થયો છે. ત્યારે બાપુને માફી માગવાની વાત સામે આવી છે. ત્યારે બધા ધર્મને આદર આપવાનું બાપુએ અમને શિખવાડ્યું છે. પરંતુ કેટલાક લોકો બાપુ માટે કેટલાક એવા શબ્દો વાપરે છે જે અયોગ્ય છે. રાજભાએ કહ્યું હિન્દુ ધર્મનું વટવૃક્ષ છે. તેમાં અનેક ડાળો છે પરંતુ કોઇ તેમના મૂળને કાપી નાખે તો ધર્મ ભાંગી પડે અને ડાળો પણ ભાંગી પડે.
આક્ષેપ અને વિવાદ એ સાધુત્વ નથી: કાજલ ઓઝા વૈદ્ય
કુબ્જા ના મોહ ને મુક્તિ માં પલટવા સ્વયમ કૃષ્ણ એને ઘેર ગયા...ગોપીઓ ના આકર્ષણ ને સમર્પણ માં ફેરવ્યું. જે વિકાર ને સ્વીકાર માં,વિવાદ ને સંવાદ માં ફેરવે...જે સંદેહ ને સમજણ માં,ક્લેશ ને કરુણા માં ફેરવે તે સાધુ! બાપુ એ જે નમ્રતા થી માફી માગી એ વાત ને વંદન છે, કારણકે એમને મધપૂડા છંછેડવા માં રસ નથી, એને ઉછેરી ને એનું મધ સૌને વહેંચવાનો પ્રયાસ કરવા માં રસ છે! વિવાદ ઉશ્કેરવા સહેલા છે શમાવવા અઘરા છે. સામે પડવું સહેલું છે, ક્ષમા માગવા ની સહજતા અને સરળતા અઘરી છે.ડરી ને કે હારી ને નહિ, સજ્જનતા ના સ્વભાવે અને કોઈ ને દુઃખ ના પહોંચે માટે જે ક્ષમા માંગી શકે એ સાચો સાધુ!!! આક્ષેપ અને વિવાદ એ સાધુત્વ નથી, ક્ષમા અને સહજ સ્વીકાર એ સાચું સાધુત્વ છે!
મુશ્કેલીના સમયે એક થાય તે ધર્મ ?: અંકિત ત્રિવેદી
આટલા ફાંટા પછી બીજો એક ફાટો ? સત્ય , પ્રેમને કરુણાના માર્ગે ચાલવાનું સહેલું છે? બાપ પોતે જ સ્વીકારે છે .... માફી માંગ્યા પછી માંફી આપવી એ ધર્મ નહીં ? સનાતન ધર્મએ આપણો નાભિશ્વાસ નહિ ? શાસ્ત્રો શસ્ત્ર માટે ? ધર્મ અને સંપ્રદયક બધાને મુબારક ... ખાનદાની પણ કોરી ખાવી જોઈએ ... કોઈના ચરિત્ર પર લખતા પહેલા આપણી માનસિકતા તપાસવી જોઈએ .. આપણા પ્રસંગમાં ના આવ્યાએટલે આ વેર લેવાનો આ મોકો છે ? ( સાધુઓને પોતે ખબર હશે જ ) જાહેરજીવનમાં રહીને સાધુપણું જાળવવું તે ? આપણે આપણા ધર્મ સંભાળવા ...આજ સુધી કોઈ આવી પોસ્ટ નથી મૂકી પણ જરૂરી લાગ્યું એટલે લખ્યું . નવરા હતા ને સમયસર આ જ આંખે ચડ્યું ? બીજું ઘણું નથી દેખાતું જે આંખે ચડવું જોઈએ ?મારો કોઈ વિરોધ નથી જ નથી મારો આદરપૂર્વકની ગ્લાનિ છે ..."અંતરાત્મા" નેપૂછી જો જો ...કોઈનો વિરોધી નથી ને સર્જક તરીકે નથી જ. પણ હરીન્દ્ર દવેની ભાષમાં કહું તો "સૂર્યની નજીક જવાનો અનુભવ " ચન્દ્ર શીતળતા આપે એવો છે
શું છે નીલકંઠ વિવાદ ?
જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરીવાર વિવાદમાં સપડાયા છે. તેમણે એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.
અભિષેક કોના ઉપર હોય?
જેણે ઝેર પીધુ હોય તેના ઉપર અભિષેક થાય. મોરારી બાપુ જે કથા કરી રહ્યા હતા તે કથાનું નામ હતુ 'માનસ રૂદ્રાભિષેક' નવ દિવસની આ કથામાં બાપુએ લાડુડી શબ્દ વાપર્યો હતો.
'લાડુડી'ની લોભામણી લાલચ
લાડુડી કોઈ સ્વામીનારાયણ શબ્દ નથી. લાડુડીની લાલચે આજકાલના ગુરુઓ છેતરી રહ્યા છે તેમ કહી લાડુડીને ભક્તોને લોભાવવાની જાળ કહી હતી.
નીલકંઠ એટલે શું?
નીલકંઠ એટલે જેણે ઝેર પીધુ હોય. અને તે ઝેરને પોતાના કંઠમાં ધારણ કર્યુ હોય. હળાહળ ધારણ કરનારને નીલકંઠ કહેવાય.
નીલકંઠ વર્ણી એટલે શું?
નીલકંઠ વર્ણી એટલે જેનો રંગ હરિયાળો હોય તે, સંત હંમેશા હરિયાળા હોય એટલે ઘનશ્યામ મહારાજ નીલકંઠ કહેવાયા.