દેશમાં ફરી એક વાર વિધિવત રીતે શાળાઓ ખોલવા માટે કેન્દ્રની મોદી સરકાર એક મોડલ પર કામ કરી રહી છે. સાથે જ વાલીઓ પણ હવે શાળા ખોલવા માટે ભલામણ કરી રહ્યા છે.
દેશમાં શાળાઓ ફરીથી શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર કરી રહી છે કામ
દિલ્હીમાં શાળાઓ ખોલવા માટે વાલીઓએ કરી છે અપીલ
મહારાષ્ટ્રમાં 1-12 ધોરણના ક્લાસ શરૂ
રાજધાની દિલ્હી અને દેશના બાકીના ભાગમાં શાળાઓ ખોલવાની માગ ઉગ્ર બનતી જાય છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વાલીઓની માગને ધ્યાને રાખીને શાળા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર પણ કોરોના પ્રોટોકોલ અંતર્ગત શાળા ખોલવાને લઈને એક મોડલ પર કામ કરી રહી છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ તમામ રાજ્યોએ ઓફલાઈન ક્લાસ બંધ કરવાની જાહેરાત કરી હતી.
છેલ્લા બે વર્ષથી ઓનલાઈન ક્લાસ
કોરોના મહામારી બાદથી બાળકો ઓનલાઈન ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે. ગત વર્ષ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કોરોના કેસો સામે આવ્યા બાદ અમુક રાજ્યોમાં શાળાઓ ફરીથી બંધ કરી દીધી હતી. હવે દેશમાં અલગ અલગ રાજ્યોમાં પેરેન્ટ્સ શાળા ખોલવાની વાત કરી રહ્યા છે. ત્યારે આવા સમયે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સ્કૂલ ખોલવાને લઈને નવા પ્લાન પર કામ કરી રહ્યા છે.
શાળા ખોલવા માટે કેન્દ્રનો શું છે પ્લાન
કેન્દ્ર સરકાર ઓફલાઈન ક્લાસિઝ માટે શાળા ખોલવા માટે એક નવા મોડલ પર કામ કરી રહી છે. આ એક એવી યોજના પર કામ થઈ રહ્યું છે, જેમાં સ્કૂલોને કોરોનાનું ધ્યાન રાખતા ક્રમબદ્ધ રીતે ખોલી શકાય. હરિયાણામાં એક ફેબ્રુઆરીથી દશમાં અને બારમાં ધોરણના ક્લાસ ખોલવાને લઈને ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. એ જ વિદ્યાર્થીઓને એન્ટ્રી મળશે, જેમણે ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. ઓનલાઈન ક્લાસ ચાલું જ રહેશે, હરિયાણામાં સાંજે 6 વાગ્યાની જગ્યાએ 7 વાદગ્યા સુધી મોલ અને દુકાનો ખુલી રહેશે.
વાલીઓ કરી રહ્યા છે સ્કૂલ ખોલવાની માગ
મહામારી વિજ્ઞાની અને સાર્વજનિક નીતિ નિષ્ણાંત ચંદ્રકાંત લહરિયા અને સેન્ટર ફોર પોલિસી રિસર્ચના અધ્યક્ષ યામિની અય્યરના નેતૃત્વમાં માતા-પિતાનું એક પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સાથે મુલાકાત કરીને 1600થી વધારે વાલીઓની સહી કરેલું આવેદન સોંપ્યું હતું. જેમાં શાળાઓને ફરીથી ખોલવાની માગ કરવામાં આવી હતી. અમુક રાજ્યોમાં પણ આ પ્રકારની માગ કરવામાં આવી છે. જો કે, વાલીઓને અન્ય એક વર્ગ ઓનલાઈન ક્લાસના સમર્થનમાં પણ છે.
દિલ્હીમાં શાળા ખોલવાનો નિર્ણય હાલમાં નથી
દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ તો ખતમ કરી દેવામાં આવ્યું છે પણ સ્કૂલ ખોલવાનો નિર્ણય હજૂ પણ કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર સાથે પેરેન્ટ્સની બેઠકમાં સ્કૂલ ખોલવાનો લઈને સહમતી થઈ હતી, પણ DDMA આ વખતે કોઈ નિર્ણય કર્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે, હવે આગામી મહિને રાજ્યની શાળા ખોલવાને લઈને કોઈ નિર્ણય થઈ શકે છે.
મુંબઈમાં 24 જાન્યુઆરીથી ખુલી ગઈ શાળાઓ
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના કેસોમાં કમી જોતા અને વાલીઓની માગને ધ્યાને રાખીને 24 જાન્યુઆરીથી શાળાઓ 1થી 12 સુધીની સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી હતી. સરકારે શાળાઓને એ જિલ્લામાં અને વિસ્તારમાં ખોલવાની મંજૂરી આપી છે, જ્યાં કોરોનાના કેસો સરેરાશ ઓછા છે. આ ઉપરાંત સ્કૂલ ખોલવાનો નિર્ણય એકદમ સ્થાનિક પ્રશાસનીય એટલે કે, મહાનગર પાલિકા, નગર પાલિકા, જિલ્લા પરિષદનો રહેશે. સ્કૂલ ખોલ્યા બાદ વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
હરિયાણામાં 1 ફેબ્રુઆરીથી શાળાઓ ખુલી જશે
હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરે એક ફેબ્રુઆરીથી શાળાઓ ખોલવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 10-12 ધોરણ સુધી સ્કૂલ ખોલવાની જાહેરાત કરતા એક વિસ્તૃત દિશા નિર્દેશો જાહેર કર્યા છે.