બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:13 PM, 28 July 2026
Private Railway Station : આજના સમયમાં ધનવાન લોકો પ્રાઈવેટ જેટ, લક્ઝરી કાર અને મોટા મોટા કાફલા માટે જાણીતા છે ત્યારે એક સમય એવો પણ હતો, જ્યારે શાહી ઠાઠમાઠની પરિભાષા કંઈક અલગ જ હતી. ઉત્તરપ્રદેશના રામપુર રજવાડાના નવમા નવાબ હામિદ અલી ખાનની જિંદગી આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમની શાનનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેમના મહેલની અંદર સુધી ટ્રેન જતી હતી અને તેમની પાસે ખુદનું રેલવે સ્ટેશન પણ હતું. નવાબ હામિદ અલી ખાનની સફર સામાન્ય નહીં, બલકે સંપૂર્ણપણે શાહી રહેતી હતી. તેઓ હંમેશાં પોતાની પ્રાઈવેટ ટ્રેનમાં જ સફર કરતા હતા. તેમના માટે ટ્રેન માત્ર એક સાધન નહીં, પરંતુ તેમની રોયલ લાઈફસ્ટાઈલનો હિસ્સો હતી.
ADVERTISEMENT
વર્ષ ૧૯૨૫માં નવાબે વડોદરા સ્ટેટ રેલવે બિલ્ડર્સને એક ખાસ શાહી ટ્રેન કરવાનો ઓર્ડર આપ્યો હતો, જેને 'ધ સલૂન' નામ આપવામાં આવ્યું હતું. ચાર ડબાની આ ટ્રેન પોતાની ભવ્યતા અને સુવિધાઓના કારણે બહુ જ ખાસ લાગતી હતી. આ ટ્રેનના દરેક ડબામાં ફારસી કાર્પેટ બિછાવાઈ હતી અને સાગવાનનું નકશીદાર ફર્નિચર ટ્રેનની શાનને વધારતું હતું. સુંદર પડદા અને શાનદાર ઝુમ્મર આ ટ્રેનને કોઈ મહેલ જેવો લૂક આપતાં હતાં. આમાં નવાબ માટે શાહી બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને સંપૂર્ણ કિચન રહેતું હતું. મનોરંજન માટે અલગ રૂમ પણ બનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં, નવાબ સાથે યાત્રા કરનારા નોકર, સુરક્ષાકર્મીઓ અને રસોઈયાઓ માટે પણ અલગ ડબાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધું મળીને આ ટ્રેન હકીકતમાં એક હાલતો-ચાલતો મહેલ હતી.
નવાબની શાહી જિંદગીનું સૌથી આશ્ચર્યજનક પાસું તેમનું પોતાનું પ્રાઈવેટ રેલવે સ્ટેશન હતું. એવું કહેવામાં આવે છે કે નવાબે પોતાના મહેલની અંદર જ એક ખાનગી રેલવે સ્ટેશન બનાવ્યું હતું. મિલકથી રામપુર સુધી લગભગ ૪૦ કિલોમીટર લાંબી રેલવે લાઈન બિછાવવામાં આવી હતી, જે સીધી મહેલને મુખ્ય રેલવે લાઈન સાથે જોડતી હતી એટલે કે ટ્રેન સીધી નવાબના મહેલની અંદર પહોંચતી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : PT લેક્ચર દરમિયાન કરુણ દુર્ઘટના! ધાબા પર વીજપોલને અડતાં વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ
ઐતિહાસિક જાણકારીઓ અનુસાર રામપુર પેલેસની અંદર બનેલું આ રેલવે સ્ટેશનની કિંમત લગભગ ૧૧૩ કરોડ રૂપિયા હતી. આ કિંમત ઘણાં આધુનિક રેલવે સ્ટેશનો કરતાં પણ વધારે માનવામાં આવે છે. વર્ષ ૧૯૪૭માં જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે પરિસ્થિતિ બહુ જ મુશ્કેલ હતી. ઘણા લોકો ભારતથી પાકિસ્તાન જઈ રહ્યા હતા અને ઘણા લોકો ત્યાંથી ભારત પાછા ફરી રહ્યા. એ સમયે નવાબ હામિદ અલી ખાને પોતાની અંગત ટ્રેનનો ઉપયોગ જરૂરિયાતવાળા પરિવારોની મદદ માટે કર્યો હતો. તેમણે ઘણા લોકોને સુરક્ષિત પાકિસ્તાન પહોંચાડવા માટે મદદ કરી હતી. આ ઘટના તેમના માનવીય અને દયાળુ સ્વભાવને દર્શાવે છે. નવાબના નિધન બાદ ધીમે ધીમે એ શાહી સ્ટેશનની રોનક ઓછી થવા લાગી. ૧૯૬૦ના અંત સુધી આ સ્ટેશન સંપૂર્ણપણે વેરાન થઈ ગયું. નવાબની શાહી ટ્રેન પણ ધીમે ધીમે ઈતિહાસનો હિસ્સો બની ગઈ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.