Salangpur Temple Controversy News: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ ચર્ચાઈ રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલ ધર્મ સંમેલન પૂર્ણ થયું છે. આજના ધર્મ સંમેલનમાં રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ કરાયો છે. આજના ધર્મ સંમેલનમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કાયદાકીય લડત આપવાની રણનીતિ બનાવી છે.
વધુ 8 મુદ્દે થયા ઠરાવ
રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દા અંગે ઠરાવ થયા છે. સાથે જ સ્વામિનારાયણના સંપ્રદાયના પુસ્તકો નદીમાં પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે. જૂનાગઢમાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન થશે. કમિટીની રચના બાદ હાઈકોર્ટમાં પિટિશન કરાશે, સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર થયા છે. કોર્ટમાં 187 જેટલા પૂરાવા રજૂ કરવામાં આવશે.
મોટી સંખ્યામાં સાધુ-સંતો રહ્યા હાજર
આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા મનદીપ પાર્ટી પ્લોટમાં સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં દિલીપ દાસજી, ઋષિ ભારતી બાપુ, લાલદાસ બાપુ, જ્યોતિર્નાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, અવધબિહારી દાસજી, નિશ્ચલદાસજી, ગીતાદીદી, શેરનાથ બાપુ સહિત ગુજરાત અને દેશભરમાંથી મહામંડલેશ્વરો, સાધુ-સંતો હાજર રહ્યા હતા. આજના ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
એક તખતી હટાવવાથી સમાધાન થતું નથીઃ જ્યોતિર્નાથ મહારાજ
ધર્મ સંમેલનમાં જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, ગઈકાલે જે સમાધાન થયું છે, એ સમાધાન કરનારા લોકો તો આ લડતમાં જ નહોતા, તો સમાધાન કેવી રીતે થયું? એક તખતી હટાવવાથી સમાધાન થતું નથી. તેમણે કહ્યું કે, માત્ર ભીંતચિત્રો નહીં, એમના મગજના ચિત્રો હટાવવાની જરૂર છે. આમણે તો ખાલી ભીંતચિત્રો જ હટાવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા મંદિરોમાં અડેધડ લખાણો છાપેલા છે, મૂર્તિઓ બનાવેલી છે. જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, સમાજમાં વ્યાપારીકરણ અપનાવતા આ સંપ્રદાયને સબક શિખવાડવાનો સમય આવી ગયો છે. અમારી પરંપરાને અસર કરનારાને અમે માફ કરતા નથી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લડાઈ ચાલું જ છે.
શું છે સાધુ-સંતોની માંગ?
- હનુમાનજીની મૂર્તિ પર લાગેલ સ્વામિનારાયણ તિલક હટાવવામાં આવે.
- હનુમાન દાદા અને સનાતન ધર્મનાં દેવી-દેવતાનું અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.
- ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી થાય એવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનાં નામ લેવાં નહીં.
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મનાં શાસ્ત્રો, જેવા કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.
- સ્વામિનારાયણ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મનાં હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય એ ભાગને કાયમી દૂર કરવામાં આવે.
- સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેમનાં તાત્કાલિક રાજીનામાં લેવાં.
- સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોને સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
- સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન ભૂસીને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.
- સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો
- સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો હોય એ જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી