સામાન્ય રીતે લોકો ગુજરાતીઓને દાળભાતિયા ગુજરાતી કહીને મજાક ઉડાવતા હોય છે અને દેશમાં ગુજરાતી સૈનિકો ઓછા હોવાનું અફવા ફેલાવતા હોય છે. ત્યારે ગુજરાતનું એક એવુ ગામ છે જે આવી વાહીયાત વાતો કરનારાઓનું મો બંધ કરવા માટે કાફી છે.
કારણ કે આ ગામમાં ઘરે ઘરે એક એક જવાન દેશના સીમાડાઓની રક્ષા કરે છે. ત્યારે વીરોની ભૂમિ તરીકે ઓળખાતા આ ગામ વિશે જાણીએ.
ગુજરાતનું એવું ગામ જ્યાં ઘરે-ઘરે સૈનિક
ગુજરાતનું એક એવું ગામ છે, જ્યા ઘરે ઘરે દેશ ભક્તો જન્મે છે. અહીના યુવાનોની રગ રગમાં દેશભક્તિ વહે છે. આ ગામના 70 ટકા જેટલા લોકો દેશની સેવામાં જોડાયેલા છે. સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાનુ કોડીયાવાડા ગામ. ભારતનું કોઈ પણ સુરક્ષા દળ હોય અને એમાં તમને આ ગામનો એક યુવાન ફરજ બજાવતો ચોક્કસ પણે જોવા મળશે જ. આ ગામની વસતી 4 હજારની આસપાસ છે અને તેમાં 750થી વધુ સૈનિકો અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએ દેશની રક્ષા કરી રહ્યા છે. તો અત્યાર સુધી આ ગામના 150થી વધુ નિવૃત થયા છે અને ગામના બાળકો પણ દેશ સેવા કરવા માટે થનગની રહ્યા છે.
શહીદ જવાનના પરિજનના ન્યાય માટે વલખા
આ વીરોની ભૂમિ હુજ પણ જવાનો આપવા માટે તત્પર છે પરંતુ અહી સુવિધાઓના અભાવને કારણે અહીના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કોડીયાવાડા ગામમાં ઘર દીઠ એક વ્યક્તિ સુરક્ષા દળમાં ફરજ બનાવીને દેશની રક્ષા કરે છે. અને આ ગામ દર વર્ષે નવા જવાનો પણ આપે છે. પરંતુ આ ગામમાં સુવિધાઓનો અભાવ છે. બીજી તરફ ગામમાંથી શહીદ થયેલા જવાનના પરિજનને પણ ન્યાય માટે વલખા મારવા પડે છે.
શહીદની પત્નીને નથી મળતી કોઇ સહાય
શહીદ જિજ્ઞેશ પટેલ વીરગતિને પામ્યાના 5 વર્ષ થયા બાદ પણ તેમના ધર્મ પત્નિને કોઈ સહાય મળતી નથી કે નથી કોઈ નોકરી મળતી. પોતાના પતિના વિરહમાં બે સહારા બનેલી આ મહિલા આજે પણ પોતાના ભરથારને યાદ કરીને કલ્પાંત કરે છે. જે ગામે દેશને આટલા સપૂતો આપ્યા છે અને હજુ પણ આટલા યુવાનો દેશ સેવા કરવા માટે તત્પર છે તેના દેશપ્રેમના ઝનુનની પાછળનું કારણ એક જવાનના મતે કંઇક આવું છે.
દેશને આપી રત્નોની ભેટ પરંતુ સુવિધાથી વંચિત
આ ગામ શૌર્યતાની ખાણ છે પરંતુ અફસોસ એ છે કે, જે ગામે દેશને આટલા બધા રત્નોની ભેટ આપી છે તે ગામને સરકાર પાયાની સુવિધા પણ નથી અપાવી શકી. ગામના આટલા જવાનો હોવા છતા કેન્ટિનની સેવા માટે અમદાવાદના ધક્કા ખાવા પડે છે. લોકો 15 ઓગસ્ટ અને 26મી જાન્યઆરી ક્ષણિક રાષ્ટ્રવાદના ઉભરામાં જવાનોને યાદ કરે છે પરંતુ ત્યાર બાદ કોઈ ધ્યાન આપતુ નથી. અસુવિધાની વચ્ચે પણ દેશ માટે મરી છુટવા તૈયારી કોડીયાવાડા ગામને જેટલા પણ વંદન કરીએ તેટલા ઓછા છે.