બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે આજે સવારે મુંબઇમાં નિધન થયું હતું. ઋષિ કપૂર છેલ્લા 2 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતા. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર લોકડાઉનના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ઋષિ કપૂરનો મૃતદેહ હોસ્પિટલથી સીધો સ્મશાન ગૃહ લઇ જવામાં આવશે. ઋષિ કપૂરની દિકરી રિદ્ધિમાને દિલ્હી પોલીસે મુવમેંટ પાસ આપ્યો છે. રિદ્ધિમાને મુંબઇ જવા માટે દિલ્હી પોલીસે મંજૂરી આપી છે. ઋષિ કપૂરની દિકરી રિદ્ધિમા કપૂર દક્ષિણ ઇસ્ટ દિલ્હીમાં આવેલ ફ્રેંડસ કોલોની ઇસ્ટમાં રહે છે.
સોશિયલ ડિસ્ટેન્સિંગનું રાખવામાં આવશે ધ્યાન
ઋષિ કપૂરનું આજે મુંબઇની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થઇ ગયું. એક મળતા અહેવાલ મુજબ ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઇની મરીન લાઇન્સ ચંદનવાડી સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. સ્મશાન બહાર અને અંદર પોલીસ તહેનાત કરવામાં આવી છે.
આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે. તેમની સ્મશાન યાત્રામાં નિયમ મુજબ 20 લોકો સામેલ થશે. ઋષિ કપૂરના પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લોકોને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ 2 વાગ્યા બાદ અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. આ અગાઉ શમ્મી કપૂરને પણ આ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર આપવામાં આવ્યાં હતા.
પરિવારે કહ્યું કાયદાનું પાલન થાય
ઋષિ કપૂર છેલ્લા 2 વર્ષથી લ્યૂકેમિયાના રોગ સામે સંઘર્ષ કરી રહ્યાં હતા. જો કે આજે સવારે લાંબી બિમારી બાદ તેઓનું નિધન થયું. ડોકટર્સ અને મેડિકલ સ્ટાફ દ્વારા જણાવામાં આવ્યું કે તેઓ અંતિમ સમય સુધી અમારી સાથે મનોરંજન કરતા રહ્યા હતાં. જો કે પરિવારજનોએ જણાવ્યું છે કે હાલ કોરોના વાયરસને લઇને લોકડાઉન જાહેર હોવાથી લોકોના આવન-જાવન પર કડકાઇથી અમલ કરવામાં આવી રહ્યો છે. અમે બધા મિત્રો, ચાહકો અને પરિવારના દોસ્તોને અપીલ કરીએ છીએ કે કાયદાનું પાલન કરે.