ગરમીમાં ત્વચા ઓઈલી થઇ જાય છે. એવામાં જો ચહેરો સારી રીતે સાફ રાખવામાં ન આવે તો ખીલની સમસ્યા ઉદભવે છે. તો ચાલો જાણીએ અચૂક ઉપાય, જે ખીલને જડમૂળથી ખતમ કરી દેશે.
ગરમીમાં ત્વચા ઓઈલી થવાના કારણે વધે છે ખીલની સમસ્યા
એવા ઉપાય જે ખીલને જડમૂળથી ખતમ કરી દેશે
ગમે તે ઉંમરે ખીલની સમસ્યા પરેશાન કરી શકે છે
ચહેરા પર વારંવાર ખીલ થતાં હોય તો કઇ યુવતીને ગમે? ચહેરો ધોયા પછી ત્વચાના પ્રકારને અનુરૂપ મોઇશ્વરાઇઝર કે ટોનર લગાવવાનું અવશ્ય યાદ રાખો. એવું નથી કે ખીલ માત્ર યુવાનીમાં જ થાય. ગમે તે ઉંમરે ખીલની સમસ્યા પરેશાન કરી શકે છે. જો તમારી ત્વચા તૈલીય હશે તો ખીલ થવાની સમસ્યા વધારે પરેશાન કરશે. ખાસ કરીને ઉનાળામાં ખીલની સમસ્યા વધારે વકરે છે, પણ જો એને દૂર કરવા માટે પ્રયત્ન કરશો, તો ખીલ વધારે થશે. તેના બદલે ખીલથી કાયમ માટે છુટકારો કેવી રીતે મેળવવો તેના ઉપાય વિચારવાની જરૂર છે.
ખીલને દૂર કરવાના કેટલાક ઉપાય
ઉનાળો આવે ત્યારે આપણી ત્વચા મોટા ભાગે તૈલી થઇ જાય છે. એમાં વળી પ્રદૂષણ તથા ચહેરો સારી રીતે સાફ ન કરવાથી ખીલ થઇ જાય છે. ચહેરાને સાફ રાખવા માટે ચણાના લોટમાં કાકડીનો રસ ભેળવીને પેસ્ટ બનાવી તેનાથી ચહેરો ધૂઓ. તમે ઇચ્છો તો આનો ઉપયોગ તમે ફેસપેક તરીકે પણ કરી શકો છો.
ગુલાબજળમાં કપૂર ભેળવીને તેને એક બોટલમાં ભરી તેને ફ્રીજમાં મૂકી રાખો. જ્યારે વધારે પડતા ખીલ થયા હોય ત્યારે રૂના પૂમડાને આ મિશ્રણવાળું કરી તેને આખા ચહેરા પર લગાવો અને સૂકાવા દો. આનાથી ધીરે ધીરે ખીલ ઓછા થઇ જશે.
ગરમ પાણીમાં હળદર નાખી સ્ટીમ લેવાથી રોમછિદ્રો ખુલી જશે અને તેમાં જમા થયેલો મેલ નીકળી જશે. આમ કરવાથી ચહેરાની ત્વચા સાફ થઇ જવાને લીધે ખીલ પણ વધારે નહીં થાય.
જો ખૂબ જ ખીલ થયાં હોય તો હળદરમાં લીમડાના પાન વાટીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને આખા ચહેરા પર લગાવી સૂકાઇ જાય એટલે ધોઇ લો. આનાથી ખીલ ધીરે ધીરે કરમાઇ જશે કારણ કે હળદર અને લીમડો એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. આ બંનેના લીધે ખીલ ઓછા થાય છે.
મુલતાની માટીમાં જરૂર પૂરતું પાણી ઉમેરી પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો. આ ઉપરાંત, મુલતાની માટીમાં દહીં ભેળવીને ફેસપેક તરીકે લગાવવાથી ચહેરા પરની ચીકાશ ઓછી થશે.
તુલસી અને લીમડાનાં પાનની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ખીલ વધારે નહીં થાય.
સુખડના પાઉડરમાં પાણી ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાને ઠંડક મળવાની સાથે ત્વચા પણ ચમકદાર બનશે.