બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / "મારો દીકરો બીમાર છે, હોસ્પિટલ લઈ જવાનો છે!" પિતાએ પોલીસને જાણ કરી, પોલીસ પહોંચી તો થયો મોટો ખુલાસો!
Last Updated: 03:47 PM, 14 August 2026
રાજકોટના ન્યૂ નહેરૂનગરમાં 13 ઓગસ્ટની સાંજે એક પરિવારનો ઝઘડો અચાનક લોહિયાળ બની ગયો. જે પુત્ર વારંવાર પિતાને તેમની કુટેવો છોડીને સુધરી જવા કહેતો હતો, એ જ 33 વર્ષીય પુત્રની પિતાએ હથોડાના ઘા મારી હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને કહ્યું કે તેનો દીકરો બીમાર છે અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો છે. જોકે, પોલીસની કડક પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી અને પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી હોવાનું કબૂલી લીધું.
ADVERTISEMENT
ન્યૂ નહેરૂનગર શેરી નં. 7માં બાબુભાઈ રઘાભાઈ સવસેટા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમનો 33 વર્ષીય પુત્ર રામ અવારનવાર પિતાને કુટેવો છોડીને સુધરી જવા કહેતો હતો. જોકે, પિતાને પુત્રની આ વાત પસંદ નહોતી. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા.પરિવારની ફરિયાદ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પિતાની કુટેવો અને સ્ત્રી સંગતને લઈને પણ બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો.
ADVERTISEMENT
પિતા-પુત્ર વચ્ચેના વિવાદની સ્થિતિ એવી બની ગઈ હતી કે બાબુભાઈ પોતાના પુત્રને મારવા માટે લોખંડના પાઇપ, કુહાડા અને હથોડા જેવા હથિયારો ઘરમાં રાખતા હતા. પરિવારજનો આ હથિયારો છુપાવી દેતા હતા. 13 ઓગસ્ટે બપોરના સમયે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, ત્યાર બાદ સાંજ પડતાં આ ઝઘડાએ એવું સ્વરૂપ ધારણ કર્યું કે રામનો જીવ જતો રહ્યો.
ADVERTISEMENT
13 ઓગસ્ટની સાંજે આશરે સાડા સાત વાગ્યે રામની માતા હંસાબેન પોતાની પુત્રીના ઘરે હતા. દરમિયાન તેમના જમાઈ રાજેશભાઈ તેમને લેવા પહોંચ્યા હતા. ત્યારે બાબુભાઈએ રામની હત્યા કરી હોવાની જાણ કરવામાં આવી. હંસાબેન ઘરે પહોંચ્યા ત્યારે રામ અન્ય રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તેના માથામાં, ખાસ કરીને ડાબી આંખ ઉપર તથા અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. રૂમમાં લોહી ફેલાયેલું હતું. હથોડાના ઘાથી રામને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પુત્રની હત્યા કર્યા બાદ બાબુભાઈ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોલીસને કહ્યું કે તેમનો દીકરો બીમાર છે અને તેને દવાખાને લઈ જવો પડે તેમ છે. પોલીસને શંકા જતા પૂછપરછ કરવામાં આવી. શરૂઆતની વાતથી અલગ હકીકત બહાર આવી અને કડક પૂછપરછ દરમિયાન બાબુભાઈએ પોતે જ પોતાના પુત્રની હત્યા કરી હોવાનું જણાવ્યું. આ વાત સામે આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો- પતિને છેતરી પત્નીએ કર્યું એવું કામ.. મકાન વેચવા મજબૂર થયો પતિ
ADVERTISEMENT
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ રામ અગાઉ મોબાઇલની દુકાનમાં કામ કરતો હતો. જોકે, છેલ્લા છ મહિનાથી તે કોઈ કામ કરતો ન હતો. રામના લગ્ન થયા ન હતા અને બનાવના બીજા જ દિવસે તેનો જન્મદિવસ હતો. એક તરફ જન્મદિવસની પૂર્વસંધ્યાએ 33 વર્ષીય રામની હત્યા થઈ અને બીજી તરફ પરિવાર માટે ખુશીનો દિવસ શોકમાં ફેરવાઈ ગયો.
આ અંગે રાજકોટના ACP ભાવેશ જાધવે જણાવ્યું હતું કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે. પિતાએ પુત્રના માથાના ભાગે હથોડો મારી તેની હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે. ACPના જણાવ્યા મુજબ આરોપી પિતાને કુટેવ હતી અને સ્ત્રી સંગતને લઈને પણ બંને વચ્ચે વિવાદ થતા હતા. હાલ આરોપી પિતા પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે મૃતકની માતા હંસાબેનની ફરિયાદના આધારે બાબુભાઈ રઘાભાઈ સવસેટા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1), 223 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.