રાજકોટમાં કોરોનાના સરકારી મોતના આંકડા અને ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર મળી રહેલા આંકડામાં મોટો તફાવત આવતા ખળભળાટ મચી ગયો છે.
મીડિયા અહેવાલો પ્રમાણે રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓના જેટલા પ્રમાણમાં મોત થઇ રહ્યા છે તેટલા પ્રમાણમાં સરકારી આંકડાઓમાં દેખાડવામાં આવી રહ્યા નથી. રાજકોટના સ્થાનિક મીડિયા દ્વારા હોસ્પિટલથી સ્મશાનગૃહ સુધી સતત ચાંપતી નજર રાખવામાં આવતા આશ્ચર્યજનક અહેવાલો સામે આવી રહ્યા છે.
એક શબવાહિનીમાં બે લાશો લઇ જવી પડે છે
એવું જાણવા મળ્યું છે કે એક શબવાહિની જેમાં 1 લાશ લઇ જવામાં આવે છે એમાં એકસાથે બે લાશ લઇ જવી પડે છે. અહેવાલ પ્રમાણે શબવાહિનીના ડ્રાઈવરે જણાવ્યું હતું કે સવારથી તે હોસ્પિટલથી સ્મશાનગૃહના 6 ફેરા કરી ચુક્યો છે અને દરેક ફેરે બે-બે લાશો લઇ આવે છે. આ ચોંકાવનારો ખુલાસો સામે આવતા સરકારનો ભાંડો ફૂટી ગયો હોય એમ લાગી રહ્યું છે.
બીજી બાજુ રામનાથપરા સ્મશાનમાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. એક કર્મચારીએ જણાવ્યું હતું કે સ્માશનની ભઠ્ઠી સતત ચાલુ જ રહે છે. છેલ્લા 20 દિવસથી સતત મૃતદેહો આવી રહ્યા છે એટલે સુવાનો પણ સમય મળતો નથી અને 24 કલાક કામ ચાલુ રહે છે. એક એક લાશનો સંપૂર્ણ અગ્નિસંસ્કાર થતા દોઢથી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. આ કામના ઓવરલોડને કારણે એક વાર ઓવરહિટ થઇને મોટર પણ બંધ થઇ ગઈ હતી.
સૌથી વધુ લાશો રાતે આવે છે
સૌથી વિસ્મયની વાત એ છે કે સૌથી વધુ લાશો રાતે જ લાવવામાં આવે છે. તેનું કારણ હજુ પણ રહસ્યમયી છે પરંતુ રાત્રીના 9થી સવારના 7 વાગ્યા સુધી 7 થી 10 જેટલા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
મીડિયાના અહેવાલ પ્રમાણે રાજકોટમાં અત્યાર સુધી સ્માશનમાં કોરોનાના પ્રોટોકોલથી થયેલા અંતિમ સંસ્કારને ગણીએ તો 700થી વધુ મોત થયા છે જયારે સરકારી ચોપડે આ આંકડો ફક્ત 92 જેટલો છે.
મોત છુપાવવા ડેથ ઓડિટ કમિટીનું ગતકડું
આ ઉપરાંત સરકારી તંત્રએ ડેથ ઓડિટ કમિટી નામનું ગતકડું કાઢ્યું છે. આ કમિટીમાં જે કોરોનાગ્રસ્ત દર્દીઓ હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટીસ, શ્વાસના રોગો, કિડનીની તકલીફ જેવી બીમારીથી પીડાતા હોય તેમનું મોત કોરોનાથી થયું નથી તેવી રીતે મોતની ગણતરી કરવામાં આવે છે.
રાજકોટમાં ક્યાં કેટલી અંતિમવિધિઓ કરાઈ
રામનાથપરા સ્મશાન
507
80 ફૂટ રિંગ રોડ સ્મશાન
145
મોટામવા સ્મશાન
91
સદર કબ્રસ્તાન
38
કુલ
781
આરોગ્ય સચિવનો હશે આ નેક્સ્ટ એક્શન પ્લાન
રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ જિલ્લાની મુલાકાતે છે. આજે સતત 5માં દિવસે બેઠક યોજી હતી. જેમાં જિલ્લાના 600 ગામોમાં ઘરે-ઘરે ચકાસણી કરવાને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. આગામ સમયમાં તમામ ગામડાઓમાં ચકાસણી હાથ ધરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા 1200 કર્મચારીઓની ટીમ ઉતારવામાં આવી છે. આમ આરોગ્ય સચિવના રોકાણ બાદ તંત્ર એલર્ટ જોવા મળ્યું છે.
રાજકોટમાં કોરોના કહેરને લઇ મહત્વના સમાચાર : શહેરમાં સ્મશાનમાં લાગે છે લાંબી કતારો, રામનાથપરા ઉપરાંત શહેરના 4 સ્મશાનમાં વેઇટીંગ. અંતિમવિધિ માટે કતાર લાગતા ઇતિહાસમાં પહેલીવાર તંત્રએ અંતિમવિધિ માટે ખાસ કંટ્રોલરૂમ શરૂ કર્યો. #rajkot#Gujarat#coronavirus#COVID19@GujHFWDeptpic.twitter.com/vcwwGXsl1B